IND VS SA: કેએલ રાહુલે છઠ્ઠા બોલર તરીકે વેંકટેશ અય્યરને ના આપ્યો બોલ, રણનિતી પર સવાલો થી ઘેરાઇ ગયો કેપ્ટન
વેંકટેશ અય્યરે (Venkatesh Iyer) દક્ષિણ આફ્રિકા સામે પાર્લ (India vs South Africa, 1st ODI ) મેચમાં ODI ડેબ્યૂ કર્યુ હતુ, જે ખેલાડી ઓલરાઉન્ડર તરીકે ટીમમાં જોડાયો હતો તેને એક પણ ઓવર આપવામાં આવી ન હતી.
“તે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી છે. તે અમારો નંબર છ બોલર છે. છઠ્ઠા બોલરનું ઘણું મહત્વ છે.’ આ એ જ નિવેદન છે જે કેએલ રાહુલે (KL Rahul) ODI શ્રેણીની શરૂઆત પહેલા વેંકટેશ અય્યર (Venkatesh Iyer) ને લઇ કહ્યું હતું, પરંતુ જ્યારે પાર્લમાં મેચ શરૂ થઈ ત્યારે કેપ્ટનના શબ્દો અને કાર્યોમાં ઘણો મોટો તફાવત હતો. દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં (India vs South Africa, 1st ODI), કેએલ રાહુલને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરની એક ઓવર પણ મળી ન હતી. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ થયેલા વેંકટેશને એક પણ ઓવર ન આપ્યા બાદ કેએલ રાહુલની રણનીતિ પર સવાલો ઉભા થઈ રહ્યા છે.
અદ્ભુત વાત એ છે કે ટીમ ઈન્ડિયાના પાંચ રેગ્યુલર બોલર જ્યારે વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવા માટે તલપાપડ હતા. ત્યારે પણ કેપ્ટન કેએલ રાહુલને વેંકટેશ અય્યર યાદ નહોતો આવ્યો. વેંકટેશ અય્યર ફિલ્ડિંગ કરતો રહ્યો પરંતુ કેપ્ટને તેને બોલ સોંપવાની જરૂર સમજાઇ નહિ. કેએલ રાહુલની આ રણનીતિ પર ગૌતમ ગંભીરે પણ સવાલ ઉઠાવ્યા છે. કોમેન્ટ્રી દરમિયાન ગંભીરે કહ્યું, ‘વેંકટેશ અય્યર બોલિંગ કરવાનો તમારો છઠ્ઠો વિકલ્પ હતો, તે ઓલરાઉન્ડર છે, તેથી તેણે બોલિંગ કરવી જોઈતી હતી.’
વિજય હજારેએ બોલ વડે પોતાનો દમ દેખાડ્યો
જણાવી દઈએ કે વેંકટેશ અય્યરે વિજય હજારે ટ્રોફીમાં માત્ર પોતાના બેટથી જ નહીં પરંતુ બોલથી પણ પોતાની તાકાત બતાવી હતી. વેંકટેશ અય્યરે વિજય હજારે ટ્રોફીમાં 9 વિકેટ લીધી હતી અને તેનો ઈકોનોમી રેટ 6 રન પ્રતિ ઓવર કરતા ઓછો હતો. કેપ્ટન કેએલ રાહુલે પોતે તેને બોલિંગ કરવાનો વિકલ્પ જણાવ્યો હતો અને પછી તેની પાસેથી બોલીંગ કરાવી નહોતી, જે ખરેખર આશ્ચર્યજનક છે.
ભારતની બોલિંગની વાત કરીએ તો પ્રથમ 20 ઓવરમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. દક્ષિણ આફ્રિકાના ઓપનર યેનેમન મલાન અને ડી કોક ખુલીને રન બનાવી શક્યા ન હતા અને 2 વિકેટ વહેલી પડી ગઈ હતી પરંતુ આ પછી વિરોધી કેપ્ટન ટેમ્બા બાવુમા અને રાસી વાન ડેર દુસાઈએ ચોથી વિકેટ માટે 204 રન જોડ્યા હતા. આ બંને બેટ્સમેનોએ સદી ફટકારી અને દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 296 રન સુધી પહોંચી ગઈ હતી.
બોલરોનું પ્રદર્શન કેવું રહ્યું?
બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ સિવાય તમામ બોલરો એવરેજ દેખાતા હતા. બુમરાહે 10 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ લીધી હતી. પરંતુ શાર્દુલ ઠાકુરે 10 ઓવરમાં 72 રન આપી દીધા હતા. ભુવનેશ્વર કુમારે 64 રન આપ્યા હતા. અશ્વિન અને ચહલે 53-53 રન આપ્યા હતા.
ઠાકુરના ખરાબ પ્રદર્શન છતાં વેંકટેશ અય્યરને બોલિંગ પર મૂકવામાં આવ્યો ન હતો. જો કે, તમને જણાવી દઈએ કે તેની ઈજા વિશે એવી કોઈ માહિતી નથી કે તે બોલિંગ માટે અયોગ્ય છે.