“15 વર્ષના ખેલાડી સાથે અન્યાય…” વૈભવ સૂર્યવંશીને ટીમમાં બહાર કરવા પર ભડક્યા સુનિલ ગાવસ્કર
વૈભવ સૂર્યવંશીને માત્ર ત્રણ મેચ બાદ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાના નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટે છેલ્લી ટી-20માં અનુભવીને પ્રાથમિક્તા દેતા સંજુ સેમસનને પાછો લાવ્યો છે. સુનિલ ગાવસ્કર અને ગ્રીમ સ્વાન માને છે કે T-20 સિરીઝનું પરિણામ પહેલેથી નક્કી થઈ ગયુ હતુ તો એવામાં યુવા બેટ્સમેને વધુ એક તક આપવી જોઈતી હતી.

ઈંગલેન્ડ સામેની 5મી અને છેલ્લી T-20 માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પ્લેઈગ 11માંથી બહાર કરી દેવાયો છે. 11 જૂલાઈ એ સાઉથમ્પટનમા આયોજિત આ મેચમાં વૈભવના સ્થાને સંજુ સેમસન ની વાપસી થઈ છે. ત્યારે સુનિલ ગાવસ્કરને આ બિલકુલ ગમ્યુ નથી અમે તેમણે ખુલીને તેના પર નારાજગી વ્યક્ત કરી છે.
ઇંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન સંજુ સેમસનની જગ્યાએ વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે ત્રણ મેચમાં કુલ 42 રન બનાવ્યા. વૈભવે આક્રમક બેટિંગની ઝલક દેખાડી, પણ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરો દ્વારા પેદા થયેલા વધારાના ઉછાળા સામે તેને સંઘર્ષ કરવો પડ્યો. જોકે, ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટની માત્ર ત્રણ મેચ પછી તેને બહાર કરવાના નિર્ણયની ટીકા કરી છે.
તેમનું માનવું છે કે T-20 સિરીઝનું પરિણામ પહેલાથી જ નક્કી થઈ ગયું હોવાથી, યુવા બેટ્સમેનને બીજી તક આપવી જોઈતી હતી. વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાના નિર્ણય પર ટિપ્પણી કરતા ગાવસ્કરે કહ્યું, “ટીમમાં તેને ન જોવો અત્યંત નિરાશાજનક છે.” ગાવસ્કર માને છે કે સફેદ બોલ ક્રિકેટમાં, જો જરૂર પડે તો ઓપનિંગ બેટ્સમેન મિડલ ઓર્ડરમાં પણ રમી શકે છે.
સુનિલ ગાવસ્કરે કહ્યું, “ઓપનિંગ બેટ્સમેનોની સૌથી મોટી વાત એ છે કે તેઓ સફેદ બોલ ક્રિકેટમાં નીચેના ક્રમમાં પણ બેટિંગ કરી શકે છે. તેણે પોતાની પ્રતિભા બતાવી છે. જો આ કરો યા મરો મેચ હોત, તો હું અનુભવી ખેલાડીને રમવાના નિર્ણય સાથે સંમત થાત, પરંતુ આ મેચ શ્રેણીના પરિણામને અસર કરશે નહીં. મને લાગે છે કે આપણે એક તક ગુમાવી દીધી.”
ટીમ મેનેજમેન્ટને કરી ખાસ અપીલ
વૈભવ સૂર્યવંશીની ઉંમર પર ભાર મૂકતા, સુનિલ ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટને આ યુવાન ખેલાડીને સંભાળવા વિનંતી કરી. તેમણે કહ્યું, “મને આશા છે કે કોઈ તેના ખભા પર હાથ મૂકીને કહેશે કે આ અંત નથી. મને લાગે છે કે માત્ર ત્રણ મેચ પછી 15 વર્ષના ખેલાડીને પડતો મૂકવો એ થોડું કઠોર છે.” વૈભવની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં પરત ફરેલા સંજુ સેમસનનું યુરોપિયન પ્રવાસ દરમિયાન સારું પ્રદર્શન નહોતું થયું. પરિણામે, સંજુને બીજી તક આપવાના પક્ષમાં યુવાન ખેલાડીને પડતો મૂકવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે
ઈંગલિશ દિગ્ગજ પ્લેયરે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સ્પિનર ગ્રીમ સ્વાને પણ ટીમ ઇન્ડિયાના નિર્ણયની ટીકા કરી હતી. તેમનું માનવું છે કે જો ટીમ મેનેજમેન્ટ ખરેખર વૈભવને એક અસાધારણ પ્રતિભા માને છે, તો તેને ફક્ત ત્રણ મેચમાં તેના પ્રદર્શનના આધારે પડતો મૂકવો જોઈએ નહીં. સ્વાને કહ્યું, “તેણે તે ત્રણ મેચમાં બતાવ્યું કે તે શું સક્ષમ છે. જો તે તે રમતોમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોત તો આ નિર્ણય સમજાયો હોત. તમે સંજુને પાછો લાવી રહ્યા છો, જેણે 5, 0 અને 1 રન બનાવ્યા હતા. ઓછામાં ઓછા આ બાળકે 14, 13 અને 15 રન તો બનાવ્યા હતા.”
