જળ સંકટ પર NGTની મોટી કાર્યવાહી! દેશના ત્રણ જાણીતા ક્રિકેટ સ્ટેડિયમોમાં રમતગમતની પ્રવૃત્તિઓ પર લગાવી રોક
જળ સંરક્ષણના મામલે કડક વલણ અપનાવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ દેશના ત્રણ મોટા ક્રિકેટ સ્ટેડિયમોમાં આગામી સુનાવણી સુધી પરવાનગી વગર કોઈપણ રમતગમતના આયોજન પર પ્રતિબંધ મૂકી દીધો છે.

જળ સંરક્ષણ સાથે જોડાયેલા એક મામલામાં કડક વલણ અપનાવતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ ત્રણ ક્રિકેટ સ્ટેડિયમોને આગામી સુનાવણી સુધી તેની પરવાનગી વિના કોઈપણ રમતગમતની પ્રવૃત્તિના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે આ સ્ટેડિયમોએ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA) અને NGT દ્વારા જારી કરાયેલી અનેક નોટિસો છતાં પોતાનો જવાબ દાખલ કર્યો ન હતો.
આ વચગાળાનો આદેશ ક્રિકેટ મેદાનોની જાળવણીમાં ‘સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)’ ના શુદ્ધ કરેલા પાણીના સ્થાને ભૂગર્ભ જળ (ગ્રાઉન્ડ વોટર) અથવા પીવાના શુદ્ધ પાણીના ઉપયોગ અને ભૂગર્ભ જળ સંરક્ષણ માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ (વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ) સ્થાપિત ન કરવા સંબંધિત મામલામાં આપવામાં આવ્યો છે.
એપ્રિલમાં NGT એ જારી કરી હતી નોટિસ
આ પહેલા એપ્રિલમાં એનજીટીએ દેશના છ ક્રિકેટ સ્ટેડિયમોને નોટિસ જારી કરીને પૂછ્યું હતું કે, મેદાન અને પિચની જાળવણીમાં ઉપયોગમાં લેવાતા પાણીના સ્ત્રોતની માહિતી CGWA ને ન આપવા બદલ તેમની પ્રવૃત્તિઓ પર કેમ રોક લગાવવામાં ન આવે?
આ સ્ટેડિયમોમાં નવી દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ, રાયપુરનું શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ, મુંબઈનું ડો. ડીવાય પાટિલ સ્ટેડિયમ, લખનૌનું ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ અને કટકનું બારાબતી સ્ટેડિયમ સામેલ હતા.
બારાબતી સ્ટેડિયમે સમય માંગ્યો
2 જુલાઈએ પસાર કરાયેલા અને શુક્રવારે ઉપલબ્ધ કરાવવામાં આવેલા વચગાળાના આદેશમાં NGT ના અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ અને નિષ્ણાત સભ્ય અફરોઝ અહેમદની બેન્ચે જણાવ્યું હતું કે બારાબતી સ્ટેડિયમે જવાબ દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે, જ્યારે લખનૌ સ્ટેડિયમ અને અરુણ જેટલી સ્ટેડિયમ પોતાનો જવાબ દાખલ કરી ચૂક્યા છે. ત્યારબાદ CGWA એ કેટલીક વધારાની માહિતી માંગી છે.
અરજીકર્તા વતી હાજર રહેલા એડવોકેટ્સ અદનાન, સત્યમ શેખર અને અભિક ચંદ્રાએ બેન્ચને જણાવ્યું કે બાકીના ત્રણ સ્ટેડિયમો વારંવાર નોટિસ જારી કરવા છતાં પણ કોઈ જવાબ આપી રહ્યા નથી.
NGT એ શું કહ્યું?
એનજીટીએ જણાવ્યું હતું કે, ‘દેશના વિવિધ ભાગોમાં જળ સંકટની ગંભીર સ્થિતિને જોતા અમને આશા હતી કે આ સ્ટેડિયમો ટ્રિબ્યુનલની નોટિસનો યોગ્ય જવાબ આપશે અને જરૂરી સુધારાત્મક પગલાં લેશે. પરંતુ ટ્રિબ્યુનલ અને CGWA દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં આ ત્રણેય સ્ટેડિયમોએ જવાબ દાખલ કરવાની તસ્દી લીધી નથી.’
તેમણે ઉમેર્યું કે, ‘આવી સ્થિતિમાં વચગાળાના નિર્દેશ તરીકે અમે શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, સવાઈ માનસિંહ સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમને આગામી સુનાવણી સુધી ટ્રિબ્યુનલની પરવાનગી વિના સ્ટેડિયમમાં કોઈપણ રમતગમતની પ્રવૃત્તિના સંચાલન પર રોક લગાવીએ છીએ.’ આ મામલે આગામી સુનાવણી 17 ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે.
