સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા, જુઓ Video
અમદાવાદમાં રથયાત્રા પૂર્વે સરસપુરમાં ભગવાનના મોસાળ પક્ષે મામેરાના દર્શન યોજાયા છે. ભાવિક ભક્તો રાત્રે 9 વાગ્યા સુધી સોના-ચાંદીના અલંકારો અને રજવાડી વસ્ત્રોથી સુશોભિત ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શનનો લાભ લઈ શકશે.
અમદાવાદમાં રથયાત્રાના આગમન પૂર્વે ભગવાન જગન્નાથજીના મોસાળ, સરસપુરમાં મામેરાના દર્શનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભક્તો માટે આ મામેરું દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું છે અને રાત્રે 9 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ આ દર્શનનો લાભ લઈ શકશે.
આ પ્રસંગે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને સોના-ચાંદીના મૂલ્યવાન અલંકારો અર્પણ કરવામાં આવ્યા છે. બહેન સુભદ્રાજીને પાર્વતી શણગારથી સુશોભિત કરાયા છે, જ્યારે ભગવાનને રજવાડી વસ્ત્રો સાથે વિશિષ્ટ છગાવાળી અણિયાળી પાઘડી ભેટ ધરવામાં આવી છે. આ લાખેણા મામેરાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની મોટી ભીડ ઉમટી પડી છે.
ભક્તોમાં આ પ્રસંગે અને આગામી રથયાત્રાને લઈને અત્યંત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક ભક્તોએ પાંચથી સાત વર્ષની પ્રતીક્ષા બાદ મામેરું કરવાનો અવસર મળ્યો હોવાનું જણાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ઘરમાં લગ્ન જેવો માહોલ હોવાનું પણ ભક્તોએ ઉમેર્યું હતું.
અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટરમાં બની ઘટના, મોકડ્રીલ દરમિયાન ટીયર ગેસ લીક થતા અફરાતફરી
