ગૌતમ ગંભીર બાદ વધુ એક વર્લ્ડ ચેમ્પિયનની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી! મળશે મોટી જવાબદારી
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બની ગયો છે અને હવે સમાચાર આવી રહ્યા છે કે તેમની કોચિંગ ટીમમાં કેટલાક નવા નામ જોડાવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ખેલાડી ટીમ ઈન્ડિયા સાથે બોલિંગ કોચ તરીકે જોડાઈ શકે છે. આ રેસમાં વધુ બે નામ પણ સામેલ છે.
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બન્યો છે, BCCI સેક્રેટરી જય શાહે મંગળવારે તેના નામની જાહેરાત કરી હતી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે તેની કોચિંગ ટીમમાં બીજું કોણ જોડાશે? એવા અહેવાલો છે કે ગૌતમ ગંભીરની કોચિંગ ટીમમાં નવા બેટિંગ કોચ અને બોલિંગ કોચનો ઉમેરો થવા જઈ રહ્યો છે. આ પદો માટે ઘણા મોટા ખેલાડીઓના નામ સામે આવી રહ્યા છે. મોટા સમાચાર એ છે કે ટીમ ઈન્ડિયાને 2011માં વર્લ્ડ કપ જીતાડનાર ફાસ્ટ બોલર ઝહીર ખાન બોલિંગ કોચ બનવાની રેસમાં છે.
ઝહીર ખાન બનશે ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ?
ANIના અહેવાલ મુજબ ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બનવાની રેસમાં છે. માત્ર ઝહીર જ નહીં પૂર્વ ફાસ્ટ બોલર લક્ષ્મીપતિ બાલાજી પણ ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ બનવાના દાવેદાર છે. જો કે, આ પદ માટે અન્ય એક દાવેદાર છે અને તે છે ભૂતપૂર્વ ઝડપી બોલર આર વિનય કુમાર.
Zaheer Khan & Balaji on the BCCI’s bucket list for the next Indian bowling coach. [Vipul Kashyap from ANI] pic.twitter.com/Ug7M448pLd
— Johns. (@CricCrazyJohns) July 10, 2024
ઝહીર ખાન કોચ બનશે તો મોટો ફાયદો થશે
જો ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બને છે તો તેનાથી રોહિત અને કંપનીને ઘણો ફાયદો થશે. કારણ કે ઝહીર ખાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો લાંબો અનુભવ છે. તે દુનિયાના ખૂણે-ખૂણે ક્રિકેટ રમ્યો છે. ઉપરાંત, તે ટીમ સિસ્ટમને સારી રીતે જાણે છે. તે ટીમ અને ખેલાડીઓને મેનેજ કરવાનું કામ સારી રીતે સમજે છે. ઝહીર ખાને ટીમ ઈન્ડિયા માટે 200 વનડેમાં 282 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે. IPLમાં પણ તેણે 100 મેચમાં 102 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા આગામી 2 વર્ષમાં 5 ICC ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની છે. જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી, ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને બે ટેસ્ટ ચેમ્પિયનશિપ સામેલ છે.
અભિષેક નાયરની એન્ટ્રી કન્ફર્મ?
ઝહીર ખાન ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બનશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ અભિષેક નાયર બેટિંગ કોચ ચોક્કસ બની શકે છે. અભિષેક નાયર KKRના આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યા છે અને તેમને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો લાંબો અનુભવ પણ છે. ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાના નવા કોચિંગ સ્ટાફનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા બાદ ગૌતમ ગંભીરે 140 કરોડ દેશવાસીઓને આપ્યું વચન