Cricket: શૂન્ય રને વિકેટ ગુમાવવામાં આ દેશના ખેલાડીઓ છે માહેર, બુમરાહ 1000મો ભારતીય ખેલાડી નોંધાયો
પોતાના ખેલાડીની શૂન્ય રને વિકેટ ગુમાવવાનો અફસોસ દરેક ટીમને રહેતો હોય છે. પરંતુ સૌથી વધુ શૂન્ય રને વિકેટ ગુમાવવાનો રેકોર્ડ પણ ટીમને માટે શરમજનક રહેતો હોય છે.
વિશ્વ ટેસ્ટ ચમ્પિયનશીપ (World Test Championship) ફાઈનલને જીતીને ન્યુઝીલેન્ડ વિશ્વ ચેમ્પિયન બની ચુક્યુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે સાઉથમ્પટનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતના હિસ્સામાં નિરાશા જ આવી હતી. ભારતે વધુ એક ICC ટ્રોફી ગુમાવી હતી. સાથે જ ભારતીય ટીમ ખાસ પ્રદર્શન પણ કરી શકી નહોતી તો વળી આ મેચ દરમ્યાન જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) ભલે કોઈ વિકેટ ના ઝડપી હોય, પરંતુ છતાં તેના નામે એક રેકોર્ડ દર્જ થયો છે.
બુમરાહના નામે નોંધાયેલો રેકોર્ડ આમ તો ભારતીય ટીમને હરખાવવા જેવો રેકોર્ડ નથી. કારણ કે બુમરાહ તે રેકોર્ડને યાદ રાખવા માટે સહેજ પણ ઈચ્છા નહીં રાખે. ફાઈનલ મેચની બીજી ઈનીંગ દરમ્યાન બુમરાહ શૂન્ય રન પર આઉટ થયો હતો. તેના આ આઉટ થવાની સાથે તે ભારતીય ટેસ્ટ ક્રિકેટની શૂન્ય પર આઉટ થનારી 1000મી વિકેટ હતી તો વળી બુમરાહ મેચની બંનેમાંથી એક પણ ઈનીંગમાં એક પણ રન બનાવી શક્યો નહોતો.
ઝડપી બોલર બુમરાહ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમ્યાન 10 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 15 ઈનીંગ રમી છે. જે પૈકી તે 6 વખત શૂન્ય રન પર જ પેવિલયન પરત ફર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલીયન ઝડપી બોલર પેટ કમિન્સ ટેસ્ટ ચેમ્પિયશીપ દરમ્યાન 20 ઈનીંગ રમીને 5 વખત શૂન્ય રને વિકેટ ગુમાવી છે.
ઈંગ્લેન્ડ અવવ્લ
શૂન્ય પર વિકેટ ગુમાવવાના રેકોર્ડની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડની ટીમ અવ્વલ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે શૂન્ય રન પર વિકેટ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ ગુમાવી છે. ઈંગ્લેન્ડે રમેલી 1,036 ટેસ્ટ મેચ પૈકી 1,834 વખત તેમના ખેલાડી શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠા છે. ઈંગ્લેન્ડને માટે શરમજનક રેકોર્ડ આગામી વર્ષોમાં પોતાના માથેથી ઉતરી શકે એમ નથી. કારણ કે બીજા ક્રમાંકની ટીમ ક્યાંય દુર છે.
ભારતીય ખેલાડીઓ ચોથા ક્રમાંકે
જ્યારે ઓસ્ટ્રેલિયા આ મામલામાં દ્વિતીય સ્થાન ધરાવે છે. ઓસ્ટ્રેલિયા 834 ટેસ્ટ મેચ રમી ચુક્યુ છે. જેમાં તેના 1,469 ખેલાડીઓ શૂન્ય રને આઉટ થયા છે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો ભારતીય ટીમ શૂન્ય પર વિકેટ ગુમાવવાના મામલામાં ચોથો ક્રમ ધરાવે છે. ભારતીય ટીમ અત્યાર સુધીમાં 551 ટેસ્ટ મેચ રમી ચુક્યુ છે. જેમાં તેણે 1000 વિકેટ શૂન્ય પર ગુમાવી છે.
ઈશાંત અને ઝહીર ખાન શૂન્ય પર વિકેટ ગુમાવવામાં આગળ
ભારતીય ટીમમાં વર્તમાન બોલર ઈશાંત શર્મા શૂન્ય રને વિકેટ ગુમાવવામાં સૌથી આગળ છે. ઈશાંત શર્મા ભારતીય ટીમ વતીથી સૌથી વધુ વખત ટેસ્ટ ક્રિકેટમાં શૂન્ય રન પર વિકેટ ગુમાવી ચુક્યો છે. તેણે 102 ટેસ્ટ મેચ રમીને 137 વખત બેટીંગ ઈનીંગ રમી છે. જેમાંથી તે 33 ઈનીંગ શૂન્ય રને જ સમેટી લીધી છે. તેના પછીના ક્રમે ઝહીર ખાન છે, જેણે 29 વખત પોતાની વિકેટ શૂન્ય રન પર ગુમાવી છે.