Cricket: મુંબઇની ટીમ ઓમાનનો પ્રવાસ ખેડશે, ઓમાનની રાષ્ટ્રીય ટીમ T20 વિશ્વકપ પહેલા મુંબઇ સાથે રમશે ક્રિકેટ
ઓમાન હાલમાં T20 વિશ્વકપને લઇને ચર્ચામાં છે. ઓમાનને T20 વિશ્વકપનુ UAE સાથે સયુંક્ત યજમાન પદ મળ્યુ છે. જેને લઇ ઓમાનમાં ખુશીઓનો માહોલ છે.
T20 વિશ્વકપનુ (World Cup) યજમાન UAE સાથે સંયુક્ત રીતે ઓમાન પણ બની રહ્યુ છે. જેને લઇને ઓમાન ક્રિકેટ (Oman Cricket ) માં નવા પ્રાણ ફુંકાયા છે. ઓમાનમાં તેને લઇને ઉત્સાહ છે અને હવે પોતાના દેશમાં ક્રિકેટને વધુ ઉંચે લઇ જવા માટે પ્રયાસો કરવા લાગ્યુ છે. ઓમાને જાણે પોતાની યોજનાની શરુઆત ભારતીય ક્રિકેટ સાથે સબંધો વિસ્તારીને આગળ વધારી હોય એમ લાગે છે. મુંબઇ ક્રિકેટ એસોશીએશન (MCA) ની ટીમને ઓમાને T20 ક્રિકેટ રમવા માટે નિમંત્રણ આપ્યુ છે.
જેને લઇને હવે મુંબઇની ટીમ આગામી બે સપ્તાહ બાદ ઓમાન જવા રવાના થશે. તો વળી ઓમાનને મુંબઇની ટીમ (Mumbai Team) સાથે રમીને વિશ્વકપ પહેલા તૈયારીઓનો મોકો પણ મળી રહશે. મુંબઇને 5-6 મેચો રમવા માટે ઓમાન બોલાવવામાં આવ્યુ છે. આ પહેલ ઓમાન ક્રિકેટના અધ્યક્ષ પંકજ ખિમજીએ કરી છે. ઓમાન પોતે પણ T20 વિશ્વકપ રમનારી ટીમ છે.
મીડિયા રીપોર્ટનુસાર, ઓમાન ક્રિકેટના સીઇઓ દિલીપ મેન્ડિસે આ નિમંત્રણ પાઠવ્યુ હતું. મુંબઇ ક્રિકેટ એસોશીએશને તેનો સ્વિકાર કર્યો છે. આમ મુંબઇની ટીમ ઓમાનની સફર કરશે. મેન્ડીસે આ અંગે પુષ્ટી કરી હતી. જે મુજબ આગામી 19 ઓગષ્ટે મુંબઇની ટીમ ઓમાન માટે રવાના થશે. જ્યાં મસ્કત પહોંચીને બંને ટીમો T20 ક્રિકેટ રમશે. જે બંને ટીમોને માટે લાભકારક નિવડશે. ઓમાનને T20 વિશ્વકપ પહેલા ગુણવત્તાના સુધારા માટે ઓમાનને અભ્યાસ મળી રહેશે. જ્યારે મુંબઇને રાષ્ટ્રીય ટીમ સામે રમવાની તક મળશે.
જોકે મુંબઇની ટીમના કેપ્ટન પૃથ્વી શો હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. તો સૂર્યકુમાર યાદવ પણ ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે. જ્યારે શ્રેયસ ઐય્યર યુએઇમાં આઇપીએલની તૈયારી માટે જઇ શકે છે. આવી સ્થિતીમાં મુંબઇની ટીમે કેપ્ટન સાથે ટીમની પસંદગી પ્રક્રિયા આ પહેલા કરવી પડશે. મુખ્ય ખેલાડીઓ વિના જ મુંબઇ એ ઓમાનમાં રમત રમી દર્શાવવી પડશે.