Breaking News: જે દિવસે ભારત માટે રમી પહેલી મેચ, 19 વર્ષ બાદ તે જ દિવસે મળ્યો પદ્મશ્રી એવોર્ડ, રોહિત શર્મા સાથે બન્યો ગજબ સંયોગ
ભારતીય ક્રિકેટના દિગ્ગજ રોહિત શર્મા માટે 23 જૂન 2026નો દિવસ ખાસ યાદગાર બની ગયો હતો. રમતગમત ક્ષેત્રે તેના અમૂલ્ય યોગદાન બદલ તેને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે બરાબર 19 વર્ષ પહેલા આ જ તારીખે રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જેના કારણે આ સન્માન વધુ વિશેષ બની ગયું છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ‘હિટમેન’ તરીકે ઓળખાતા રોહિત શર્માને દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં તેને આ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ક્રિકેટમાં તેના લાંબા અને સફળ યોગદાન માટે ભારત સરકારે આ સન્માન આપ્યું હતું.
19 વર્ષ જૂનો સંયોગ બન્યો ખાસ
23 જૂનનો દિવસ રોહિત શર્મા માટે હંમેશા યાદગાર રહેશે. બરાબર 19 વર્ષ પહેલા, 23 જૂન 2007 ના રોજ તેણે આયર્લેન્ડના બેલફાસ્ટમાં ભારત માટે પોતાની પ્રથમ વનડે મેચ રમી હતી. હવે એ જ તારીખે તેને પદ્મશ્રી એવોર્ડ મળતા એક અનોખો અને ઈમોશનલ સંયોગ સર્જાયો હતો.
A highly prestigious honour for a great of the game
President of India, Smt Droupadi Murmuji @rashtrapatibhvn confers former #TeamIndia captain Rohit Sharma @ImRo45 with the Padma Shri award pic.twitter.com/6EyffHr1A4
— BCCI (@BCCI) June 23, 2026
કેપ્ટન તરીકે અપાવી મોટી સફળતાઓ
રોહિતે માત્ર બેટ્સમેન તરીકે જ નહીં, પરંતુ સફળ કેપ્ટન તરીકે પણ ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. તેના નેતૃત્વમાં ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026 નો ખિતાબ જીત્યો હતો. ઉપરાંત, 2023 ના વનડે વર્લ્ડ કપમાં ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
રેકોર્ડોથી ભરપૂર કારકિર્દી
આક્રમક બેટિંગ માટે જાણીતા રોહિત શર્માએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અનેક યાદગાર રેકોર્ડ બનાવ્યા છે. તે વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. તેની બેટિંગે વર્ષો સુધી ભારતને અનેક ઐતિહાસિક જીત અપાવી છે.
A fitting honour for a legend of the game
Congratulations, Rohit Sharma, on receiving the prestigious Padma Shri! pic.twitter.com/fEWglurUTF
— Mumbai Indians (@mipaltan) June 23, 2026
19 વર્ષમાં બનાવ્યો અનોખો વારસો
રોહિત શર્માએ અત્યાર સુધી 511 આંતરરાષ્ટ્રીય મેચોમાં 19,702 રન નોંધાવ્યા છે. તેના નામે 50 આંતરરાષ્ટ્રીય સદી પણ નોંધાયેલી છે. ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ તે વનડે ક્રિકેટમાં ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી તરીકે યોગદાન આપી રહ્યો છે. પદ્મશ્રી એવોર્ડ તેની શાનદાર કારકિર્દી પર વધુ એક ગૌરવશાળી તાજ સમાન છે.
