Breaking News: દિલ્હી કેપિટલ્સની IPL 2026 માં પ્લેઓફમાં પહોંચવાની આશાને મોટો ઝટકો, અક્ષર પટેલે વ્યક્ત કરી નિરાશા
IPL 2026ની 51મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે દિલ્હી કેપિટલ્સને હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ પ્લેઓફમાં પહોંચવાની DCની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન અક્ષર પટેલે ટીમની બેટિંગ અને બોલિંગની ખામીઓ સ્વીકારી છે અને આગામી મેચોમાં સુધારાની જરૂર હોવાનું જણાવ્યું છે.

દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ દિલ્હી કેપિટલ્સને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો. આ હારે દિલ્હીના પ્લેઓફમાં પહોંચવાના સપનાને લગભગ ચકનાચૂર કરી નાખ્યા છે. હવે દિલ્હીની રાહ ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે અને કોઈ ચમત્કાર જ તેમને આગલા રાઉન્ડમાં પહોંચાડી શકે છે. મેચ બાદ કેપ્ટન અક્ષર પટેલે ટીમના પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી હતી.
દિલ્હી કેપિટલ્સ 142 રન જ બનાવી શક્યું
દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 142 રન જ બનાવી શક્યા હતા. શરૂઆતથી જ ટીમ લયમાં ન રહી અને સતત વિકેટો ગુમાવતી રહી, જેના કારણે દિલ્હી કેપિટલ્સ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યું.
કોલકાતા નાઈટ રાઈડર્સની જીત
143 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે ફિન એલનની સદીની મદદથી સરળતાથી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે KKRએ ટુર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી અને 9 પોઈન્ટ સુધી પહોંચ્યું. જ્યારે દિલ્હી માટે આ હાર ચિંતાજનક સાબિત થઈ.
— Delhi Capitals (@DelhiCapitals) May 8, 2026
કેપ્ટન અક્ષર પટેલે નિરાશા વ્યક્ત કરી
મેચ બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે ટીમે મહત્વના ક્ષણોમાં ઘણી ભૂલો કરી. તેણે જણાવ્યું કે સ્પિનરોએ પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી અને ટીમે વચ્ચેના ઓવરમાં જ લય ગુમાવી દીધી હતી. અક્ષરે વધુમાં કહ્યું કે સતત વિકેટો પડવાથી બેટિંગ દબાણમાં આવી ગઈ હતી અને નવા બેટ્સમેન માટે સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. તેણે સ્વીકાર્યું કે આ પ્રકારની ભૂલો મોટી મેચોમાં ભારે પડે છે.
પ્લેઓફમાં પહોંચવાનું ગણિત બગડ્યું
હાલ દિલ્હી કેપિટલ્સે 11 મેચમાંથી 4 જીત અને 7 હાર સાથે 8 પોઈન્ટ મેળવ્યા છે. હવે બાકી ત્રણેય મેચ જીતવા છતાં DC માત્ર 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકે તેમ છે, જેના કારણે પ્લેઓફમાં પહોંચવાનું દિલ્હી કેપિટલ્સનું ગણિત અત્યંત મુશ્કેલ બની ગયું છે.
