Breaking News: એક પણ બોલ ફેંક્યા વિના વરસાદમાં ધોવાઈ ભારત-અફઘાનિસ્તાન મેચ? જાણો કેવું રહેશે હવામાન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 13 સપ્ટેમ્બરે દિલ્હીમાં રમાનારી પ્રથમ T20 મેચ પર વરસાદનું સંકટ ઘેરાયું છે. હવામાન આગાહી મુજબ મેચ શરૂ થવાના સમયે વરસાદની શક્યતા ખૂબ વધારે છે. જો વરસાદને કારણે રમત શરૂ ન થઈ શકે, તો ભારત-અફઘાનિસ્તાનની આ મેચ એક પણ બોલ ફેંકાયા વિના રદ થવાની શક્યતા છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી 13 સપ્ટેમ્બર, રવિવારના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શરૂ થવાની છે. જોકે, મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મેચના દિવસે દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે પ્રથમ T20 મેચ જોખમમાં મુકાઈ ગઈ છે.
મેચના દિવસે હવામાન કેવું રહેશે?
AccuWeather અને હવામાન વિભાગના અહેવાલો અનુસાર, રવિવારે રાજધાની દિલ્હીમાં વરસાદની 55 ટકા શક્યતા છે. સૌથી મોટી ચિંતા મેચનો સમય છે, કારણ કે મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની છે, અને સાંજે વરસાદની સંભાવના 89 ટકા હોવાનો અંદાજ છે. દરમિયાન, રાજધાનીમાં હવામાન પહેલાથી જ બદલાઈ ગયું છે. શુક્રવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો, અને શનિવારે પણ વચ્ચે-વચ્ચે વરસાદની આગાહી છે.
મેચના દિવસે વરસાદની શક્યતા
દરમિયાન, મેચના દિવસે બપોરે વરસાદ પડવાની 25 ટકા શક્યતા છે, પરંતુ જેમ-જેમ સાંજ અને રાત્રિ નજીક આવશે તેમ તેમ વાદળછાયું વાતાવરણ વધશે. સાંજે વરસાદની 55% શક્યતા અને રાત્રે વરસાદની 89% શક્યતા હોવાથી, આઉટફિલ્ડ અને પિચ સૂકવવી એ ગ્રાઉન્ડ સ્ટાફ માટે એક મુશ્કેલ પડકાર બની શકે છે. જો હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થાય, તો એક પણ બોલ ફેંક્યા વિના આખી મેચ ધોવાઈ શકે છે.
વિજેતા નક્કી કરવાકેટલી ઓવર રમવી જરૂરી?
T20 આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર, મેચનો વિજેતા નક્કી કરવા માટે બંને ટીમોએ ઓછામાં ઓછી પાંચ ઓવરનો રમત પૂર્ણ કરવી આવશ્યક છે. જો મેચ રદ કરવામાં આવે તો, બંને ટીમો સીધી આગામી મેચમાં રમશે. શ્રેણીની બીજી T20 મેચ મંગળવાર, 15 સપ્ટેમ્બર અને ત્રીજી મેચ ગુરુવાર, 17 સપ્ટેમ્બરના રોજ રમવાની છે. ભારત અને અફઘાનિસ્તાન અત્યાર સુધીમાં નવ T20 મેચ રમી ચૂક્યા છે. આમાંથી ફક્ત એક મેચ 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સ દરમિયાન વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતીય ટીમે બાકીની બધી મેચ જીતી છે.
