Uttarakhand : સીએમ તીરથસિંહ રાવતના રાજીનામા બાદ કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર, કહ્યું પ્રજા ચૂંટણીની રાહ જોઈ રહી છે
સુરજેવાલાએ આક્ષેપ કર્યો કે, રાજ્યના લોકોએ ભાજપને સંપૂર્ણ બહુમતી આપીને સરકાર બનાવવાની તક આપી, પરંતુ ભાજપે માત્ર સત્તા મેળવવા અને તેની વહેંચણીનું કામ કર્યું. ભાજપ માટે આ તક સત્તાનો ફાયદો ઉઠાવવાની તક બની ગઈ છે.
ઉત્તરાખંડ(Uttarakhand ) ના સીએમ તીરથસિંહ રાવતના રાજીનામાં બાદ રાજકીય સમીકરણો બદલાય રહ્યાં છે. જો કે આ દરમ્યાન કોંગ્રેસે(Congress) ઉત્તરાખંડના સીએમ તીરથસિંહ રાવતના રાજીનામા બાદ ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ભાજપ પર સત્તાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. તેમજ કહ્યું કે પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા મુખ્ય પ્રધાનને રમકડાંની જેમ બદલી રહ્યાં છે.આ અંગે કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે હવે ઉત્તરાખંડની પ્રજા ચૂંટણીની રાહ જોઈ રહી છે કારણ કે સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે કોંગ્રેસને તક આપી શકે.
ભાજપ માટે આ તક સત્તાનો ફાયદો ઉઠાવવાની તક બની
તેમણે પત્રકારોને કહ્યું કે, ઉત્તરાખંડની દેવભૂમિ, ભાજપની સત્તાની લાલચ, સત્તા મેળવવા માટે હરીફાઈ અને ભાજપની નિષ્ફળતાનું ઉદાહરણ બની રહી છે.સુરજેવાલાએ આક્ષેપ કર્યો કે, રાજ્યના લોકોએ ભાજપને સંપૂર્ણ બહુમતી આપીને સરકાર બનાવવાની તક આપી, પરંતુ ભાજપે માત્ર સત્તા મેળવવા અને તેની વહેંચણીનું કામ કર્યું. ભાજપ માટે આ તક સત્તાનો ફાયદો ઉઠાવવાની તક બની ગઈ છે.
આ ઉપરાંત દિલ્હી, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં ભૂતકાળની ભાજપ સરકારોમાં અનેક મુખ્ય પ્રધાનો બદલવાના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભાજપ પાસે એક જ ટર્મમાં મુખ્ય પ્રધાનો બદલવાનો ઇતિહાસ છે.રમકડાની જેમ ભાજપ મુખ્યમંત્રી બદલી નાખે છે. ઉત્તરાખંડમાં આવું જ થઈ રહ્યું છે. સૂરજેવાલાએ આરોપ લગાવ્યો કે આ સ્થિતિ માટે પીએમ મોદી અને જેપી નડ્ડા જવાબદાર છે.
3 મુખ્ય પ્રધાનો પહેલા પણ બદલાયા છે
ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, “અગાઉ પણ ઉત્તરાખંડમાં ભાજપે ત્રણ મુખ્ય પ્રધાનો બદલ્યા હતા અને આ વખતે પણ ત્રીજા મુખ્યમંત્રી બનાવવાની તૈયારી છે. અમે કહીશું કે આવતા છ મહિનામાં, બે-ત્રણ વધુ બદલો જેથી દેશમાં મહત્તમ મુખ્યમંત્રીઓની સંખ્યા બદલવાનો રેકોર્ડ સ્થાપિત થાય.
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી દેવેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો કે, તે ભાજપના નેતૃત્વની બેદરકારી હતી જેમણે ઉત્તરાખંડમાં એક એવા મુખ્યમંત્રીને બેસાડી દીધા હતા જે વિધાનસભાના સભ્ય નથી. ભાજપે ખુશહાલ દેવભૂમિને બદહાલ કરવા માટે આ બધુ કર્યું છે.
રાજીનામાનું મુખ્ય કારણ બંધારણીય સંકટ હતું
ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમા ઉભા થયેલા રાજકીય સંકટ વચ્ચે સીએમ તીરથસિંહ રાવતે ચાર મહિનાના ટૂંકા ગાળામાં સીએમ પદેથી શુક્રવારે રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજ્યપાલ બેબી રાની મૌર્યને રાજીનામું સોંપ્યું હતું. રાજભવન પહોંચ્યા અને રાજીનામું આપ્યા બાદ મુખ્ય પ્રધાન રાવતે પત્રકારોને કહ્યું કે તેમના રાજીનામાનું મુખ્ય કારણ બંધારણીય સંકટ હતું જેમાં ચૂંટણી પંચને પેટા-ચૂંટણીઓ યોજવી મુશ્કેલ હતી. તેમણે કહ્યું કે, બંધારણીય કટોકટીના સંજોગોને જોતાં મેં રાજીનામું આપવું યોગ્ય માન્યું.
આ પણ વાંચો : Gujarat Top News : એક ક્લિકમાં જાણો ગુજરાતના મોટા સમાચાર
આ પણ વાંચો : IPO : 7 જુલાઈએ આવી રહી છે રોકાણ માટેની ઉત્તમ તક, આ બે કંપનીઓ લાવી રહી છે IPO , જાણો વિગતવાર