ખેલ રત્નનું નામ બદલવા સામે કોંગ્રેસે કહ્યુ મોદી અને જેટલી સ્ટેડીયમનુ પણ બદલો નામ
રણદિપ સુરજેવાલે કહ્યું કે, હવે અમે આશા રાખીએ છીએ કે વધુને વધુ ખેલાડીઓ અને યોજનાઓ દેશના ખેલાડીઓના નામ સાથે જોડવામાં આવે. સૌ પ્રથમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલો, અરુણ જેટલી સ્ટેડિયમનું નામ પણ બદલવુ જોઈએ.
કોંગ્રેસે શુક્રવારે ‘રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ’ નું નામ બદલીને ‘મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ’ રાખવાના નિર્ણયને આવકાર્યો છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર મહાન હોકી ખેલાડીના નામનો રાજકીય હેતુ માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું કે હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમનું નામ પણ બદલવું જોઈએ.
કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ખેલ રત્નનુ નામ બદલવા અંગે એમ પણ કહ્યું કે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી દેશના હીરો છે, તેઓ માત્ર પુરસ્કારથી જ નહી, તેઓ શહીદી, વિચાર અને આધુનિક ભારતના નિર્માણ માટે જાણીતા છે. સુરજેવાલાએ કહ્યું, “રાજીવ ગાંધી આ દેશ માટે હીરો હતા, છે અને રહેશે.
તેમણે કહ્યું, “હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને આદર આપવા અંગે કોંગ્રેસ સ્વાગત કરે છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય હેતુ માટે તેમનું નામ વટાવ્યુ ના હોત તો સારૂ હતું. જોકે, મેજર ધ્યાનચંદ પછી ખેલ રત્ન એવોર્ડના નામનું અમે સ્વાગત કરીએ છીએ.
તેમણે આરોપ લગાવ્યો કે, “જ્યારે ઓલિમ્પિક વર્ષમાં રમતો માટેનું બજેટ ઘટાડવામાં આવ્યું હતું, ત્યારે નરેન્દ્ર મોદીએ લોકોનુ ધ્યાન અન્યત્ર ભટકાવવાનુ કામ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી ક્યારેક ખેડૂતોની સમસ્યામાંથી ધ્યાન હટાવી રહ્યા છે, ક્યારેક પેગાસસ જાસૂસીની બાબતથી અને ક્યારેક મોંઘવારીના મુદ્દેથી લોકોનું ધ્યાન અન્યત્ર ભટકાવી રહ્યાં છે.
કોંગ્રેસ મહાસચિવે રણદિપ સુરજેવાલે કહ્યું કે, હવે અમે આશા રાખીએ છીએ કે વધુને વધુ ખેલાડીઓ અને યોજનાઓ દેશના ખેલાડીઓના નામ સાથે જોડવામાં આવે. સૌ પ્રથમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલો, અરુણ જેટલી સ્ટેડિયમનું નામ પણ બદલવુ, ભાજપના નેતાઓના નામ જ્યા જોડાયા હોય તેવા સ્ટેડીયમનુ નામ પણ બદલવુ જોઈએ.
હવે સ્ટેડિયમને પીટી ઉષા, મિલ્ખા સિંહ, સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, અભિનવ બિન્દ્રા, લિએન્ડર પેસ, પુલેલા ગોપીચંદ અને સાનિયા મિર્ઝાના નામ સાથે જોડવું જોઈએ. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, વડાપ્રધાન મોદી પોતાની લીટી મોટી નથી કરતા પણ બીજાની લીટી નાની કરીને ભૂંસી રહ્યાં છે.
આ પણ વાંચોઃ જો વોડાફોન-આઈડિયા બંધ થશે તો 28 કરોડ ગ્રાહકો અને 8 મોટી બેંકોને થશે અસર, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકીની ઐતિહાસિક જીત બાદ MS Dhoni છવાયો, કારણ છે 7 વર્ષ જૂનું