જો વોડાફોન-આઈડિયા બંધ થશે તો 28 કરોડ ગ્રાહકો અને 8 મોટી બેંકોને થશે અસર, જાણો સમગ્ર મામલો
હકીકતમાં, કંપનીનું દેવું વધી રહ્યું છે, તેમજ નવા રોકાણના ના થવાને કારણે સમસ્યાઓ વધી છે. જેના કારણે વોડાફોન-આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કંપનીમાં પોતાનો હિસ્સો સરકારને વેચવાની ઓફર કરી હતી.
ભારતનું ટેલિકોમ ક્ષેત્ર આ દિવસોમાં ચર્ચામાં છે. ખાસ કરીને વોડાફોન-આઈડિયા (Vodafone Idea ) વિશે. હકીકતમાં, કંપનીની વધતી જતી ખોટ અને નવા રોકાણો બંધ થવાને કારણે કંપનીની મુશ્કેલીઓ દિન પ્રતિદિન વધી રહી છે. કંપનીના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તમામ પ્રયાસો છતાં કંપનીની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. આવી સ્થિતિમાં, જો કંપની બંધ થાય, તો તેની અસર કંપનીના દેશવ્યાપી 28 કરોડ ગ્રાહકો પર પડશે, તેમજ તેની સીધી અસર દેશની 8 મોટી બેંકો ઉપર સીધી કે આડકતરી રીતે જોવા મળશે.
વોડાફોન આઈડિયાની (Vodafone Idea ) મુશ્કેલીઓમાં વધારો થતાં SBI સહિત દેશની 8 મોટી બેંકોને પણ અસર થશે. ખરેખર, કંપની પર 1.80 લાખ કરોડનું દેવું છે, જે તેણે અલગ અલગ રીતે લોન સ્વરૂપે લીધું છે. જો વોડાફોન આઈડિયા બંધ થઈ જાય, તો આ બેંકોની મોટી રકમ પણ ડિફોલ્ટ થઈ શકે છે.
બેંક | રકમ ( કરોડમાં) | ટકાવારી ( કુલ લોનની) |
આઈડીએફસી બેંક | 3240 | 2.9 |
યસ બેંક | 4000 | 2.4 |
પંજાબ નેશનલ બેંક | 3000 | 0.44 |
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા | 11000 | 0.43 |
આઈસીઆઈસીઆઈ | 1700 | 0.23 |
એક્સિસ બેંક | 1300 | 0.21 |
એચડીએફસી | 1000 | 0.09 |
ઈન્ડસઈન્ડ બેંક | 3500 | 1.65 |
28 કરોડ ગ્રાહકોને પણ અસર થઈ
જો વોડાફોન આઈડિયા (Vodafone Idea ) બંધ થઈ જાય તો તેની અસર દેશના મોબાઈલ વપરાશકર્તા મોટાભાગના ગ્રાહક પર પણ જોવા મળશે. વોડાફોન આઈડિયા પાસે દેશવ્યાપી વિશાળ ગ્રાહકવર્ગ છે જે લગભગ 28 કરોડનો હોવાનું કહેવાય છે. જો વોડાફોન આઈડિયા કંપની બંધ થાય, તો આ ગ્રાહકોની મોબાઈલ ફોન પણ બંધ થાય તે સ્વાભાવિક છે. જોકે, Jio, Airtel જેવી અન્ય કંપનીઓ ચોક્કસપણે આનો લાભ મેળવી શકે છે. કારણ કે તેઓ આ વિશાળ ગ્રાહકવર્ગને પોતાના તરફ આકર્ષવા માંગશે.
કેમ કંપની બંધ થવાની વાત છે
હકીકતમાં, કંપનીનું દેવું વધી રહ્યું છે, તેમજ નવા રોકાણ ના થવાને કારણે સમસ્યાઓ વધી છે. જેના કારણે વોડાફોન-આઈડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કંપનીમાં પોતાનો હિસ્સો સરકારને વેચવાની ઓફર કરી હતી. પરંતુ સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ ન મળતા તેમણે રાજીનામું આપ્યું હતું. બિરલાના રાજીનામા બાદ એક વાત વેગ પકડી રહ્યું છે કે શું કંપની હવે બંધ થવા જઈ રહી છે. જોકે, વોડાફોન ઇન્ડિયાના સીઇઓએ તેમના કર્મચારીઓને ખાતરી આપી છે કે ગભરાવાની જરૂર નથી. મામલો હજુ પણ તમામ પ્રકારના નિયંત્રણમાં છે. પરંતુ જે આંકડાઓ છે તે કઈક જૂદુ જ દર્શાવી રહ્યાં છે.
મર્જરથી સમસ્યા હલ થઈ નથી
વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે. નાણાંકીય ભંડોળ એકત્ર કરવાના તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. બિરલાએ તાજેતરમાં દેવામાં ડૂબી ગયેલી કંપનીને બહાર કાઢવા માટે તાત્કાલિક સરકારી પેકેજની માંગ કરી હતી. 31 ઓગસ્ટ, 2018 ના રોજ વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરનું મર્જર થયું હતુ. ત્યારથી આ કંપની સતત ખોટમાં ચાલી રહી છે, તેના પર 1.80 લાખ કરોડનું દેવું છે. વોડાફોનને આઈડિયા સાથે એટલા માટે જોડી દેવાઈ હતી કે, આમ કરવાથી કંપની પરની મુશ્કેલીઓ ઓછી થઈ શકે પરંતુ મુશ્કેલીઓ ઘટવાને બદલે વધતી જ રહી છે.
આ પણ વાંચોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકીની ઐતિહાસિક જીત બાદ MS Dhoni છવાયો, કારણ છે 7 વર્ષ જૂનું
આ પણ વાંચોઃ મહેન્દ્ર સિંહ ધોનીના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું, અચાનક આવું થતા કરોડો ચાહકોમાં નિરાશા