રેવડી કલ્ચર શું છે? સુપ્રીમ કોર્ટે પક્ષ અને વિપક્ષ પાસેથી માંગ્યા સૂચનો, સોમવારે જાહેર કરશે આદેશ
આમ આદમી પાર્ટીએ (AAP) સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે નિષ્ણાત સમિતિની રચનાની માગનો વિરોધ કર્યો હતો.
ચૂંટણીમાં ફ્રીબીઝ અથવા ‘રેવડી કલ્ચર’ પર પ્રતિબંધની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) બુધવારે સુનાવણી દરમિયાન, કોર્ટે તમામ પક્ષકારોની દલીલો સાંભળી અને તેમની પાસેથી સૂચનો માંગ્યા હતા. કોર્ટ હવે આ મામલે સોમવારે પોતાનો ચુકાદો આપશે. આ મામલાની સુનાવણી CJI NV રમનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ કરી રહી છે, જેમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને હિમા કોહલીનો સમાવેશ થાય છે. અરજદારે ફરી એકવાર નિષ્ણાત સમિતિની રચના કરવાની માગ કરી, પરંતુ બેન્ચે કહ્યું કે પહેલા અન્યના સૂચન પર પણ વિચાર કરવામાં આવશે. CJIએ કહ્યું કે સવાલ એ છે કે માન્ય વચન શું છે? ફ્રીબીઝ શું છે અને શું તે કલ્યાણ રાજ્ય માટે સારું છે? CJIએ વધુમાં કહ્યું, જે લોકો અરજીની તરફેણમાં છે કે વિરૂદ્ધ છે, તેઓએ તેમના સૂચનો આપવા જોઈએ.
અગાઉ, આમ આદમી પાર્ટીએ (AAP) સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે નિષ્ણાત સમિતિની રચનાની માગનો વિરોધ કર્યો હતો. એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી ભાષણ પર વહીવટી અથવા ન્યાયિક રીતે પ્રતિબંધ મૂકવો એ બંધારણની કલમ 19 1A હેઠળ ભાષણની સ્વતંત્રતાની ગેરંટી વિરુદ્ધ છે. છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા મફત ભેટનું વચન એક ગંભીર મુદ્દો છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને માર્ગદર્શિકા બનાવવાનો આદેશ આપ્યો હતો
અશ્વિની ઉપાધ્યાયે રેવડી કલ્ચરને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. આ મામલાની સુનાવણી ખુદ ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી છે. પ્રથમ સુનાવણીમાં, CJIએ કહ્યું હતું કે ફ્રીબીઝની જોગવાઈ એ એક ગંભીર આર્થિક મુદ્દો છે અને મફત યોજનાનું બજેટ ચૂંટણી સમયે નિયમિત બજેટ કરતાં ઉપર જાય છે. ખંડપીઠે ચૂંટણી પંચને આ મામલે માર્ગદર્શિકા બનાવવાનું કહ્યું હતું, પરંતુ ચૂંટણી પંચે જવાબ આપ્યો હતો કે કાયદાની ગેરહાજરીમાં, તે સત્તામાં રહેલા રાજકીય પક્ષો દ્વારા મફત લાભોના વચનોનું નિયમન કરી શકતું નથી.
AAP, DMKએ સુપ્રીમ કોર્ટમાં આ દલીલ આપી હતી
આ અરજીને પગલે દિલ્હી અને પંજાબ સરકારે એક એફિડેવિટ દાખલ કરી અને દલીલ કરી કે લાયક અને વંચિત લોકો માટેની સામાજિક-આર્થિક કલ્યાણ યોજનાઓને મફત ભેટ તરીકે વર્ણવી શકાય નહીં. બંને સરકારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અશ્વિની ઉપાધ્યાય કાયદાકીય માધ્યમથી રાજકીય એજન્ડા હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે સ્પષ્ટ ટિપ્પણી કરી નથી અને કહ્યું છે કે તેના પર ચર્ચા થવી જોઈએ.