Breaking News : ભારતમાં હવે તમામ સિરપના વેચાણ પર પ્રતિબંધ? ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હશે તો જ મળશે- જુઓ Video
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મોટો આદેશ કર્યો છે કે હવે કફ સિરપ સહિત તમામ પ્રકારના સિરપ મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નહીં મળે. આ નિર્ણયને અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે આવકાર્યો છે. આ નિર્ણય નાગરિકોના સ્વાસ્થ્ય માટે ઘણો સારો સાબિત થશે.

દેશભરમાં દવાઓના વેચાણને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ હવે કફ સિરપ સહિત કોઈપણ પ્રકારનો સિરપ મેડિકલ સ્ટોરમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ખરીદી શકાશે નહીં. સરકારના આ આદેશ બાદ “ઓવર ધ કાઉન્ટર” એટલે કે સીધા કાઉન્ટર પરથી સિરપ વેચાણ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.
કફ સિરપ વેચાણ પર પ્રતિબંધ
અત્યાર સુધી ઘણા લોકો સામાન્ય ઉધરસ, શરદી કે અન્ય તકલીફ માટે મેડિકલ સ્ટોર પર જઈને સીધુ સિરપ ખરીદી લેતા હતા. પરંતુ હવે આ રીત બંધ થવા જઈ રહી છે. હવેથી દર્દીએ પહેલા ડોક્ટરની સલાહ લેવી પડશે અને ત્યારબાદ મળેલા માન્ય પ્રિસ્ક્રિપ્શનના આધારે જ સિરપ ખરીદી શકાશે. સરકારનું માનવું છે કે દવાઓનો બિનજરૂરી અને ખોટો ઉપયોગ અટકાવવા માટે આ પગલું જરૂરી બન્યું છે.
કેમિસ્ટ એસોસિએશનને સરકારના આ નિર્ણયને આવકાર્યો
અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ અમિતભાઈ પટેલે સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય થોડો મોડો આવ્યો હોવા છતાં જનહિતમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમના જણાવ્યા મુજબ દવાઓનો ઉપયોગ હંમેશા નિષ્ણાત ડોક્ટરની સલાહ અનુસાર જ થવો જોઈએ, કારણ કે ખોટી દવા અથવા વધુ માત્રામાં લેવાતી દવા સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
કેમિસ્ટ પહેલાથી જ નિયમોનું પાલન કરે
અમિતભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે મોટા ભાગના કેમિસ્ટ પહેલાથી જ નિયમોનું પાલન કરે છે અને પ્રિસ્ક્રિપ્શન વગર ગંભીર દવાઓ વેચતા નથી. ખાસ કરીને કોડીન ધરાવતા કફ સિરપ જેવી દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. જોકે કેટલાક સ્થળોએ નિયમોના ભંગની ફરિયાદો સામે આવતી હોવાથી સરકારે હવે સમગ્ર દેશમાં વધુ કડક વલણ અપનાવ્યું છે.
સરકારના આ નવા આદેશનો મુખ્ય હેતુ
દવાઓના દુરુપયોગને રોકવાનો, નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો અને દવા વેચાણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો છે. હવે કોઈપણ વ્યક્તિ મેડિકલ સ્ટોર પર જઈને મનપસંદ સિરપ ખરીદી શકશે નહીં. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન બતાવવું ફરજિયાત રહેશે.
આથી નાગરિકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. જો તમને ઉધરસ, શરદી અથવા અન્ય કોઈ તકલીફ હોય તો સીધા સિરપ લેવાને બદલે ડોક્ટરની સલાહ લો. કારણ કે હવે નિયમ સ્પષ્ટ છે, પ્રિસ્ક્રિપ્શન વગર સિરપ નહીં મળે અને નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે.
ધાર્મિક ધરોહરનું કાયદાકીય કવચ! સાળંગપુર હનુમાનજી મંદિરના નામ અને સ્વરૂપોની બૌદ્ધિક સંપત્તિ તરીકે થઇ નોંધણી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
