કોરોના સંક્રમણને પગલે એલર્ટ: આ રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે કડક નિયમો લાગુ
ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શુક્રવારે રાજ્યમાં 88 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરુવારે માત્ર 59 કેસ નોંધાયા હતા.
Uttarakhand: ઉત્તરાખંડ સરકાર કોરોનાના (Coronaa Case) વધતા જતા કેસોને લઈને એલર્ટ મોડ પર છે. મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ (CM Pushkarsingh Dhami) યુપી, દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે નિયમો કડક કર્યા છે. CM ધામીએ કહ્યું કે આ તમામ રાજ્યોમાંથી આવતા મુસાફરોનો એરપોર્ટ (Airport) અને રેલવે સ્ટેશનો પર કોરોના ટેસ્ટ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે, જેને કારણે સાવચેતીના ભાગ રૂપે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુસાફરોની તપાસ કરવા આદેશ
વધુમાં CM પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે નવા વેરિઅન્ટની (Omicron Varint) અસર ઉત્તરાખંડમાં ધીરે ધીરે વધી રહી છે. અધિકારીઓને સૂચના આપતા તેણે કહ્યું કે રેલ્વે સ્ટેશનો, એરપોર્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરોની તપાસ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. તમને જણાવવુ રહ્યું કે રાજ્યમાં એક સપ્તાહમાં સ્થાપિત થનારા ડાયાલિસિસ સેન્ટરો શરૂ કરવા હાલ સરકારે સૂચના આપી છે. ઉપરાંત 3 જાન્યુઆરીથી ઉત્તરાખંડમાં 15 થી 18 વર્ષ સુધીના બાળકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે.
બાળકોના વેક્સિનેશન માટે રાજ્ય સરકાર તૈયાર
સ્વાસ્થ્ય મંત્રી ધન સિંહ રાવતે કહ્યું કે રાજ્યના 6.50 લાખ બાળકોને આવનારા સમયમાં રસી આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે જે હોસ્પિટલોમાં વોર્ડ બોયની જગ્યાઓ ખાલી છે, ત્યાં આઉટસોર્સ દ્વારા ભરતીની વ્યવસ્થા કરવી જોઈએ. બીજી તરફ આરોગ્ય સચિવ ડો.પંકજ પાંડેએ જણાવ્યું છે કે બાળકોના રસીકરણ અભિયાનને સફળ બનાવવા અઠવાડિયામાં બે વખત મેગા રસીકરણનું આયોજન કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે બાળકો બાદ ફ્રન્ટલાઈન કામદારોને બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
વધતા કોરોના સંક્રમણે વધારી ચિંતા
તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. શુક્રવારે 88 નવા કેસ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે માત્ર 59 કેસ નોંધાયા હતા. દર્દીઓની સંખ્યામાં અચાનક ઉછાળો આવતા તંત્રની ચિંતા વધી છે. તમને જણાવી દઈએ કે શુક્રવાર પહેલા 6 જુલાઈએ રાજ્યમાં કોરોનાના 89 કેસ નોંધાયા હતા. હાલમાં રાજ્યમાં કોરોનાના નવા કેસ આવ્યા બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 302 થઈ ગઈ છે. લગભગ સાડા ત્રણ મહિના પછી આ આંકડો 300ને પાર પહોંચતા રાજ્ય સરકાર સતર્ક જોવા મળી રહી છે.
આ પણ વાંચો : વૈષ્ણોદેવી મંદિર ઘટના: તમામ મૃતકોની થઈ ઓળખ, 11 લોકોના મૃતદેહ સ્વજનોને સોંપાયા, બે કરાયા એરલિફ્ટ