લખીમપુર ખીરી હિંસા કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને લગાવી ફટકાર
ખેડૂતોનો એક સમૂહ ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યની યાત્રા વિરૂદ્ધ 3 ઓક્ટોબરના પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે લખીમપુર ખીરીમાં એક એસયૂવી ગાડીએ ચાર ખેડૂતોને કચડી નાખ્યા હતા.
લખીમપુર ખીરી હિંસા (Lakhimpur Khiri violence case) બાબતે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ઉત્તર પ્રદેશ સરકારના વકીલને ફટકાર લગાવી સાથે જ કોર્ટે આગામી અઠવાડીયા સુધી અદાલતમાં તપાસ સંબંધી રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે.
સુનાવણીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ઉપસ્થિત રહેલા વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, “અમે સીલ કવરમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી છે.” જેના પર સીજેઆઈએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે “ઓછામાં ઓછા એક દિવસ પહેલા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો હતો. અમે સીલ કવરમાં દાખલ કરવાનું કહ્યું નથી. તેના માટે ગત મોડી રાત સુધી મેં સ્થિતિ રિપોર્ટની રાહ જોઈ હતી.”
આ દરમિયાન હરીશ સાલ્વેએ કહ્યું કે “સુનાવણીને શુક્રવાર સુધી લંબાઈ દેવામાં આવે” જેના પર સીજેઆઈએ કહ્યું કે, “ના અમે શુક્રવાર શનિવાર સાંભળીશું નહીં, રિપોર્ટ અત્યારે જ વાંચીશું.” હકીકતમાં કોર્ટે આ બાબતમાં જાતે જ સંજ્ઞાન લીધુ હતું અને છેલ્લી સુનાવણીમાં તપાસમાં અસંતોષકારક કામગીરી માટે ઉત્તર પ્રદેશ પોલીસને ઠપકો પણ આપ્યો હતો.
સીજેઆઈએ નારજગી વ્યક્ત કરતાં કહ્યું કે “ઓછામાં ઓછા એક દિવસ પહેલા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો હતો. અમે સીલકરવરમાં દાખલ કરવા નથી કહ્યું.” સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ એનવી રમણા (NV Raman)એ ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું કે “ફાઈલિંગ માટે જજ મોડી રાત સુધી રાહ જોવે છે. જે અત્યારે અમને મળી છે.” સાલ્વેની રજૂઆત બાદ ન્યાયાધીશોએ બાબતને શુક્રવાર માટે સ્થગિત કરવાનો ઈન્કાર કરી દીધો છે.
આ મામલે કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાને લખીમપુર ખીરીના તિકુનિયા ગામમાં બનેલી ઘટનામાં આરોપી હોવા પર છ દિવસ બાદ પોલીસે ધરપકડ કરી હતી. આરોપ લગાવામાં આવ્યો કે આરોપીની રાજનીતિક સ્થિતિને ધ્યાને રાખતા પોલીસ કાર્યવાહી કરવામાં મોડુ કર્યું છે.
આ પહેલા 8 ઓક્ટોબરે થઈ હતી સુનાવણી
અદાલતે 8 ઓક્ટોબરના લખીમપુર ખીરી હિંસા બાબતે સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારને આરોપીઓની ધરપકડ ના કરવાના પગલાને લઈ સવાલ ઉઠાવ્યો હતો અને સાક્ષીઓને સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે કાયદો તમામ આરોપીઓ વિરૂદ્ધ સમાન રૂપથી લાગૂ થવો જોઈએ અને 8 લોકોની નિર્મમ હત્યાની તપાસમાં વિશ્વાસ વધારવા માટે સરકારે આ સંબંધમાં તમામ પગલા લેવા પડશે. રાજ્ય સરકાર તરફથી વકીલે 8 ઓક્ટોબરના સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતમાં એસ.ટી.કર્મચારીઓની આજ મધરાતથી હડતાળ પર જવાની ચીમકી, 8 હજાર એસ.ટી. બસના પૈડાં થંભી જશે