મધ્યપ્રદેશની ભાજપની સરકાર અને પ્રધાનને સુપ્રીમ કોર્ટની ફટકાર, વિજય શાહની માફી નહીં, કાયદા મુજબ થશે કામ, તપાસ કરવા SITની રચના
મધ્યપ્રદેશની ભાજપની સરકારના પ્રધાન વિજય શાહ દ્વારા કર્નલ સોફિયા પર ઉચ્ચારેલા વિવાદાસ્પદ નિવેદન અંગે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે, વિજય શાહની માફી નકારી કાઢી છે અને SIT ને તપાસનો આદેશ આપ્યો છે, જેમાં એક મહિલા સહીત ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓનો સમાવેશ કરાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિજય શાહે બેજવાબદાર નિવેદન આપ્યું છે, જેનાથી સમગ્ર રાષ્ટ્રને દુઃખ થયું છે. વિજય શાહની હાલમાં ધરપકડ કરવા સામે મનાઈ ફરમાવી છે.

આજે સોમવારે, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશની ભાજપની સરકારના પ્રધાન વિજય શાહની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે તમે વિચાર્યા વિના બોલો છો અને હવે તમે માફી માંગી રહ્યા છો. અમને તમારી માફી જોઈતી નથી. વાસ્તવમાં, વિજય શાહે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જસ્ટિસ સૂર્યકાંતની બે સભ્યોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં વિજય શાહ વતી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહ હાજર રહ્યા હતા.
આદેશ આપતી વખતે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમને ખાતરી છે કે FIR ની તપાસ SIT દ્વારા થવી જોઈએ, જેમાં MP કેડરમાંથી સીધા ભરતી કરાયેલા 3 વરિષ્ઠ IPC અધિકારીઓનો સમાવેશ થાય છે, પરંતુ જેઓ MP સાથે સંબંધિત નથી. આ 3 માંથી 1 મહિલા IPS અધિકારી હોવી જોઈએ. ડીજીપી, એમપીને 10 વાગ્યા પહેલા SIT ની રચના કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેનું નેતૃત્વ એક IGP દ્વારા કરવામાં આવશે અને બે સભ્યો પણ SP કે તેથી ઉપરના હોદ્દાના હશે.
કોર્ટે કહ્યું કે FIRની તપાસ SITને સોંપવામાં આવશે. અરજદારને તપાસમાં જોડાવવા અને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્દેશ આપવામાં આવે છે. વિજય શાહની ધરપકડ કરવા સામે હાલ પુરતી મનાઈ રહેશે. સ્થાપિત કાયદાનું પાલન કરીને, અમે તપાસનું સીધું નિરીક્ષણ કરવાના નથી, પરંતુ ચોક્કસ તથ્યોને ધ્યાનમાં રાખીને, અમે SIT ને તેની તપાસનું પરિણામ સ્ટેટસ રિપોર્ટ દ્વારા સબમિટ કરવાનો નિર્દેશ આપીએ છીએ. આ મામલો 28 મેના રોજ થયો હતો.
શું તમે મગરના આંસુ વહાવવા માંગો છો – સુપ્રીમ કોર્ટ
અગાઉ, વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે દલીલ કરી હતી કે, વિજય શાહ માફી માંગી રહ્યા છે. આના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે તમારી માફી ક્યાં છે? મામલાના સ્વરૂપને ધ્યાનમાં લેતા, તમે કેવા પ્રકારની માફી માંગવા માંગો છો, તમે કયા મગરના આંસુ વહાવવા માંગો છો?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે વિચાર્યા વિના કર્યું અને હવે તમે માફી માંગી રહ્યા છો. અમને તમારી માફી જોઈતી નથી. હવે અમે કાયદા મુજબ તેનો સામનો કરીશું. જો તમે ફરી માફી માંગશો તો અમે તેને કોર્ટનો તિરસ્કાર ગણીશું. તમે એક જાહેર વ્યક્તિ છો, રાજકારણી છો અને તમે શું કહો છો? આ બધું પુરાવા સ્વરૂપે વીડિઓમાં છે અને તમે ક્યાં જશો અને ક્યાં રોકશો. વ્યક્તિએ સંવેદનશીલ હોવું જોઈએ અને પોતાની જવાબદારી સમજવી જોઈએ. આ ખૂબ જ બેજવાબદારીભર્યું છે. અમને અમારી સેના પર ગર્વ છે અને તમે સમય જુઓ, તમે શું કહ્યું ?
લોકો દુઃખી થયા છે, આખો દેશ ગુસ્સે છે – સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે લોકોને દુઃખ પહોંચાડ્યું છે અને હજુ પણ સહમત નથી. આટલા મોટા લોકશાહીમાં નેતાઓ હોય છે. આપણા નેતાઓ પાસેથી સારા વર્તનનો અવકાશ છે. તમે જે ઈચ્છો તે કરો, અમે તમારી માફી સ્વીકારવાના નથી. તમે આ કમનસીબ નિવેદન કઈ તારીખે આપ્યું હતું? તમારા નિવેદનથી આખો દેશ ગુસ્સે છે. તમે લોકોને તે દેખાડ્યું. તમે તમારો વીડીયો જોયો?
મધ્યપ્રદેશની સરકારને પણ લીધી આડે હાથ
સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, રાજ્ય સરકાર વતી કોણ હાજર થયું? કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારે હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ FIR દાખલ કરી, તમે પહેલા શું કરી રહ્યા હતા ? સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના વકીલને પૂછ્યું કે, તમે અત્યાર સુધી કઈ તપાસ કરી છે ? લોકો માને છે કે રાજ્ય સરકારે નિષ્પક્ષ રહેવું જોઈએ. આ એક ગંભીર મામલો છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે. રાજ્ય સરકારે જાતે જ પગલાં લેવા જોઈતા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા અવનાવ કેસમાં કરાતુ ઐતિહાસિક અવલોકન, આપવામાં આવતા નિર્દેશ, આદેશ, હુકમ, લેન્ડમાર્ક જજમેન્ટ સહીત ટિપ્પણીઓ અંગેના તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.