Punjab: અમૃતસર એરપોર્ટ પરથી પકડાયો અમૃતપાલનો સાથી, લંડન જવા માટે ભાગી રહ્યો હતો
Amritpal Singh: પંજાબ પોલીસે (Punjab Police) અમૃતપાલ સિંહ સાથે ગુરિન્દર સિંહને અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તે સમયે પકડ્યો, જ્યારે તે લંડન ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
હાલમાં અમૃતપાલ સિંહ પંજાબના રાજકારણમાં સતત ચર્ચામાં છે. તેના એક હંગામાએ તેમને ચર્ચાનું કેન્દ્ર બનાવી લીધું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીની સરકાર પર તેમની સામે કડક કાર્યવાહી કરવાનું દબાણ છે. પંજાબ પોલીસે હવે અમૃતપાલના નજીકના ગુરિંદર સિંહની અટકાયત કરી છે. તે દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયો. તેમની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી, તેથી તેમના માટે કોઈપણ રીતે દેશ છોડવો મુશ્કેલ હતો.
પંજાબ પોલીસે આજે એટલે કે 9 માર્ચે ખાલિસ્તાની નેતા અમૃતપાલ સિંહના એક સહયોગીને અમૃતસરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અટકાયત કરી છે. તે દેશમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંઘના સહયોગી ગુરિન્દર સિંહ શ્રી ગુરુ રામદાસ જી ઈન્ટરનેશનલ એરપોર્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટથી લંડન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.
ગુરિન્દર સિંહ વિરુદ્ધ પહેલા જાહેર કરી હતી લુકઆઉટ નોટિસ
પોલીસે ગુરિન્દર સિંહ વિરુદ્ધ પહેલા લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. તે જલંધરનો રહેવાસી છે અને અમૃતપાલનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરે છે.
ફેબ્રુઆરીથી હતો ફરાર
ગુરિન્દર બ્રિટનમાં રહેનાર એનઆરઆઈ છે અને જલંધર પોલીસ તેને શોધી રહી હતી. તે ધરપકડથી બચી રહ્યો છે અને કોર્ટમાં હાજર થઈ રહ્યો ન હતો. જલંધર પોલીસે સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કરવા બદલ તેની વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188 હેઠળ કેસ નોંધ્યો હતો. ત્યારથી તે ફરાર હતો.
એરપોર્ટ અધિકારીઓએ તેને પકડીને કર્યો પોલીસને હવાલે
આ પછી જ્યારે તે આજે એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે એરપોર્ટ અધિકારીઓએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેનો મોબાઈલ કબજે કરી લીધો છે. તેના વિદેશી કટ્ટરપંથીઓ સાથેના સંબંધો જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો : Delhi: કેજરીવાલ સરકારમાં બે નવા મંત્રીઓએ શપથ લીધા, આતિશી શિક્ષા મંત્રી અને સૌરભ ભારદ્વાજ બન્યા સ્વાસ્થ્ય મંત્રી
ગયા મહિને ફેબ્રુઆરીમાં કર્યો હતો હંગામો
ગયા મહિને ફેબ્રુઆરીમાં અમૃતપાલે તેના સાથીદાર લવપ્રીત સિંહ તુફાનની મુક્તિ માટે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનમાં તેના સમર્થકો સાથે હંગામો કર્યો હતો. ત્યારબાદ પોલીસે લવપ્રીતને છોડી દીધો હતો.