Gujarati NewsNational| PM Narendra Modi chairs high level meeting to review Indian preparations on Ukraine crisis.
Russia Ukraine War: યુક્રેન સંકટની વચ્ચે સુરક્ષાની તૈયારીઓ માટે વડાપ્રધાન મોદીએ કરી હાઈ-લેવલ મીટિંગ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિત ઘણા મંત્રીઓ હાજર
આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ રવિવારે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ (Ukraine Crisis) વચ્ચે ભારતની સુરક્ષા તૈયારીઓ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. જ્યારથી રશિયાએ યુક્રેન પર (Russia Ukraine War) આક્રમણ શરૂ કર્યું. ત્યારથી વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો કરી છે.
આ બેઠકમાં વડાપ્રધાન મોદીની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હાજર રહ્યા હતા. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે બોલાવવામાં આવેલી આ બેઠકમાં ભારતની સુરક્ષા તૈયારીઓ અને વર્તમાન વૈશ્વિક વાતાવરણ પર ચર્ચા થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે સતત 18મા દિવસે યુદ્ધ ચાલુ છે. વૈશ્વિક દબાણ અને તમામ દેશો દ્વારા કડક પ્રતિબંધોની ઘોષણા છતાં રશિયા યુક્રેન પર હુમલાને વધુ તીવ્ર બનાવી રહ્યું છે અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.
મારીયુપોલમાં 1,500થી વધુ લોકોના મોત
રશિયાએ યુક્રેનના કેટલાક શહેરો પર બોમ્બ ધડાકાને વધુ તીવ્ર બનાવ્યું છે અને રાજધાની કિવની બહારના વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે, જેનાથી દેશના દક્ષિણમાં મારીયુપોલ પર તેની પકડ મજબૂત થઈ ગઈ છે. રશિયન આક્રમણથી મારીયુપોલ સૌથી વધુ પ્રભાવિત થયું છે. 4,30,000ની વસ્તી ધરાવતા શહેરમાં ખોરાક, પાણી અને દવા લાવવાના અને ફસાયેલા નાગરિકોને બચાવવાના પ્રયાસો સતત ગોળીબારથી નિષ્ફળ ગયા છે. મેયરના કાર્યાલયના જણાવ્યા અનુસાર હુમલામાં મારીયુપોલમાં 1,500થી વધુ લોકો માર્યા ગયા છે અને મૃતદેહોને સામૂહિક કબરોમાં દફનાવવાના પ્રયાસો પણ ગોળીબારના કારણે અવરોધાઈ રહ્યા છે.