સ્પીકરના નિવેદનથી વિવાદ વકર્યો! શું ઓમ બિરલા ખુરશી ગુમાવશે? વિપક્ષી નેતાઓની અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના એક નિવેદન બાદ અત્યારે ભારે વિવાદ સર્જાયો છે. વિપક્ષી દળોનો આરોપ છે કે, સ્પીકર પક્ષપાત કરી રહ્યા છે.

સૂત્રોએ સોમવારે (9 ફેબ્રુઆરી) જણાવ્યું હતું કે, લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે, લોકસભા સ્પીકર તેમને બોલવાની તક આપી રહ્યા નથી. વિપક્ષે તેમના પર પક્ષપાતભર્યા વર્તનનો આરોપ લગાવ્યો છે. તેમનો દાવો છે કે, સ્પીકરના નિર્ણયો સતત સરકારની તરફેણમાં રહ્યા છે, જેના કારણે વિપક્ષને ગૃહની કાર્યવાહી પર પ્રભાવ પાડવાની બહુ ઓછી તક મળી છે.
કાવતરું ઘડવાનો આરોપ
થોડા દિવસો પહેલા ઓમ બિરલાએ કોંગ્રેસના સાંસદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ “અણધારી ઘટના”નું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, વિપક્ષની મહિલા સાંસદોએ અપમાનિત અનુભવ્યું હતું, જ્યારે સ્પીકરે કથિત રીતે કહ્યું હતું કે, તેમણે મહિલા સાંસદો દ્વારા સંભવિત હંગામાની ચિંતાના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમાં આવતા રોક્યા હતા.
ઓમ બિરલાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, કોંગ્રેસના ઘણા સભ્યો ગૃહના નેતાની બેઠક પાસે પહોંચીને કોઈ અણધારી ઘટનાને અંજામ આપવા માંગતા હતા, તેથી તેમની વિનંતી પર વડાપ્રધાન મોદી ગૃહમાં આવ્યા નહોતા. બિરલાએ ગુરુવારે એમ પણ કહ્યું હતું કે, બુધવારે વિપક્ષના કેટલાક સભ્યોએ તેમના ચેમ્બરમાં આવીને જે રીતે વર્તન કર્યું, તેવું લોકસભાની શરૂઆતથી આજ સુધી ક્યારેય બન્યું નથી. આ દ્રશ્ય એક કાળા ડાઘ સમાન હતું.
ઘણી તીખી ચર્ચાઓ થઈ
બિરલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ બુધવારે ગૃહમાં ન આવીને તેમના આગ્રહને માન આપ્યું અને લોકસભાને એક અપ્રિય દ્રશ્યથી બચાવી લીધી. આ માટે તેઓ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરે છે. ગયા અઠવાડિયે વિપક્ષ અને ઓમ બિરલા વચ્ચે ઘણી તીખી ચર્ચાઓ થઈ હતી. સ્પીકરે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાના પૂર્વ વડા જનરલ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તકમાંથી અવતરણ ટાંકવાની અથવા તેના વિશે બોલવાની મંજૂરી આપી ન હતી.
રાહુલ ગાંધીને પુસ્તકમાંથી ક્વોટ (અવતરણ ટાંકવાની) કરવાની મંજૂરી ન મળ્યા બાદ વિપક્ષે કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો. રાહુલ ગાંધીને બોલવા ન દેવા બદલ વિપક્ષ સ્પીકરથી ઘણો નારાજ છે. આ ઉપરાંત, ગૃહના તિરસ્કારના મામલે આઠ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા અને અન્ય મુદ્દાઓ પર ગૃહમાં મડાગાંઠની સ્થિતિ જળવાઈ રહી હતી. ગુરુવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પર નીચલા ગૃહમાં આભાર પ્રસ્તાવ વડાપ્રધાન મોદીના જવાબ વિના જ પસાર કરવામાં આવ્યો હતો.
પ્રશ્નકાળ ચાલી શક્યો નહીં
લોકસભામાં સોમવારે કોંગ્રેસના સભ્યોના હંગામાને કારણે પ્રશ્નકાળ ચાલી શક્યો ન હતો. બેઠક શરૂ થયાની પાંચ મિનિટમાં જ બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બેઠક શરૂ થતાની સાથે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સભ્યોએ પાટલીઓ થપથપાવીને ટીમની જીતની પ્રશંસા કરી હતી.
ત્યારબાદ સ્પીકરે જેવો પ્રશ્નકાળ શરૂ કરાવ્યો કે, તરત જ કોંગ્રેસના સભ્યો ગૃહમાં હાજર વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોલવાની મંજૂરી આપવાની માંગ કરવા લાગ્યા. આ બાબતે લોકસભા સ્પીકરે કહ્યું કે, પ્રશ્નકાળમાં માત્ર પ્રશ્નો જ પૂછવામાં આવે છે. ક્યારેય કોઈ સભ્યને અન્ય કોઈ વિષય ઉઠાવવાની મંજૂરી આપવામાં આવતી નથી.
