તુર્કીને પાકિસ્તાનનો સાથ ભારે પડ્યો? ઓપરેશન સિંદૂર પછી તુર્કીની કંપનીને એક જ દિવસમાં 4,700 કરોડનું નુકસાન
ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે સુરક્ષા મંજૂરી રદ કરતા તુર્કીની એવિએશન સર્વિસ કંપની સેલેબીને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ એક જ દિવસમાં તેની હજારો કરોડ રૂપિયાની મૂડી અને વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 2025માં થયેલા તણાવ બાદ તુર્કીની એવિએશન સર્વિસ કંપની સેલેબીને મોટો આર્થિક ફટકો પડ્યો હોવાનું સામે આવ્યું છે. કંપનીના અધ્યક્ષ કાનન સેલેબીઓગ્લૂના જણાવ્યા અનુસાર ભારત દ્વારા સુરક્ષા મંજૂરી રદ કરવામાં આવતા કંપનીને એક જ દિવસમાં અંદાજે 50 કરોડ ડોલર એટલે કે આશરે 4,700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
સેલેબી છેલ્લા બે દાયકાથી ભારતમાં એરપોર્ટ ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સેવાઓ સાથે જોડાયેલી હતી. પરંતુ મે 2025માં ભારત સરકારે કંપનીની સુરક્ષા મંજૂરી રદ કર્યા બાદ દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ સહિત દેશના નવ મુખ્ય એરપોર્ટ પર તેનું સંચાલન બંધ કરવું પડ્યું.
કંપનીના અધ્યક્ષે જણાવ્યું કે વર્ષોની મહેનતથી ઉભું કરાયેલું સમગ્ર નેટવર્ક એક જ ઝાટકે ખતમ થઈ ગયું. કંપનીના સાધનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કામગીરી પર અસર પડી, જ્યારે આશરે 10,000 કર્મચારીઓને અન્ય કંપનીઓમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા.
આ નિર્ણય પાછળ ભારત અને તુર્કી વચ્ચે વધેલો રાજકીય તણાવ મુખ્ય કારણ માનવામાં આવે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું અને ભારતની કાર્યવાહી અંગે ટીકા કરી હતી. ત્યારબાદ બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો હતો.
ઓપરેશન સિંદૂર એપ્રિલ 2025માં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ કરવામાં આવ્યું હતું. ભારતે હુમલાખોરોના પાકિસ્તાન સાથેના સંબંધોનો આરોપ લગાવ્યો હતો, જ્યારે પાકિસ્તાને આ આરોપોને નકારી કાઢ્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી મિસાઇલ અને ડ્રોન હુમલાઓ થયા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભારતમાં તુર્કી સંબંધિત વ્યવસાયો અને ઉત્પાદનો સામે વિરોધનો માહોલ સર્જાયો હતો. જોકે સેલેબી કંપનીએ વારંવાર સ્પષ્ટતા કરી હતી કે તેનો તુર્કી સરકાર સાથે કોઈ સીધો સંબંધ નથી. કંપનીએ એ પણ નકાર્યું હતું કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તાયિપ એર્દોગાનના પરિવારની તેમાં કોઈ ભાગીદારી છે.
ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષા મંજૂરી રદ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ સેલેબીનું ભારતમાં વર્ષોથી ચાલતું સંચાલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું અને કંપનીને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું.
