ઈરાન-ઈઝરાયેલ-યુએસ યુદ્ધને કારણે રોળાયું ભારતીય ખેલાડીઓનું સપનુ, વર્લ્ડકપમાંથી રમ્યા વિના જ થયા આઉટ
પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ભારતીય જુનિયર બોક્સિંગ ટીમના પાસપોર્ટ યુએઈમાં ફસાઈ ગયા, જેના પગલે મોન્ટેનેગ્રોમાં આયોજિત યુથ વર્લ્ડ કપમાં તેઓ સામેલ ન થઈ શક્યા. વહીવટી વિલંબ અને લોજિસ્ટિક સમસ્યાઓને કારણે 10 ખેલાડીઓનુ વર્લ્ડકપમાં રમવાનું સપનું રોળાઈ ગયુ.

એકતરફ જ્યારે સમગ્ર દેશ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટે ઉત્સુક છે, ત્યારે ભારતીય બોક્સિંગ જગતમાંથી નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા લશ્કરી સંઘર્ષ અને તણાવે ભારતીય જુનિયર બોક્સિંગ ટીમના વર્લ્ડ કપમાં ભાગ લેવાના સ્વપ્નને રોળી કરી નાખ્યું છે.
યુદ્ધની ભેટ ચડી ગયા ખેલાડીઓના સપના
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 10 સભ્યોની ભારતીય જુનિયર બોક્સિંગ ટીમ (5 છોકરાઓ અને 5 છોકરીઓ) મોન્ટેનેગ્રોના બુડવામાં યુથ વર્લ્ડ કપ (3-11 માર્ચ) માં ભાગ લેવાની હતી. જોકે, પશ્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિને કારણે લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે ટીમને ટુર્નામેન્ટમાંથી ખસી જવાની ફરજ પડી.
પાસપોર્ટ અને વિઝા સમસ્યાઓ
મોન્ટેનેગ્રોનું ભારતમાં દૂતાવાસ ન હોવાથી, બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) એ UAE માં મોન્ટેનેગ્રો દૂતાવાસમાં વિઝા માટે અરજી કરી. નિયમો અનુસાર, ફિઝિકલ પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવવો આવશ્યક છે, તેથી તમામ ખેલાડીઓના પાસપોર્ટ 20 ફેબ્રુઆરીએ UAE મોકલવામાં આવ્યા હતા. જોકે, મધ્ય પૂર્વમાં અચાનક તણાવ વધવાને કારણે, પાસપોર્ટ સમયસર ભારત પરત કરી શકાયા નહીં, જેના કારણે ટીમ મોન્ટેનેગ્રો જઈ શકી નહીં.
BFI અને વિદેશ મંત્રાલયના પ્રયાસો નિષ્ફળ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ખેલાડીઓના વિઝા પહેલાથી જ ઇમેઇલ દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યા હતા, અને ફ્લાઇટ ટિકિટો સ્ટેન્ડબાય પર હતી. પાસપોર્ટ ઝડપી બનાવવા માટે BFI મોન્ટેનેગ્રો સત્તાવાળાઓ અને ભારતના વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત સંપર્કમાં રહ્યું, પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિએ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. આ વહીવટી અને ભૂ-રાજકીય અવરોધે ભારતના ઉભરતા બોક્સરોને રિંગમાં પ્રવેશ્યા વિના પણ વર્લ્ડ કપમાંથી બહાર નીકળવાની ફરજ પાડી.
