PM મોદીનો દક્ષિણ ભારત પ્રવાસ, દેશની 5મી ‘વંદે ભારત ટ્રેન’ને લીલી ઝંડી બતાવી
દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બેંગલુરુ થઈને મૈસૂર અને ચેન્નાઈ વચ્ચે દોડશે. PM MODIએ ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી, જે રેલવેની ભારત ગૌરવ ટ્રેન નીતિ હેઠળ કર્ણાટકના મુઝરાઈ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી દક્ષિણ ભારતના 4 રાજ્યોના બે દિવસીય પ્રવાસ પર છે અને આ દરમિયાન તેઓ ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. દરમિયાન PM મોદીએ આજે સવારે બેંગલુરુના KSR સ્ટેશનથી દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે તેઓ ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે.
આ પહેલા પીએમ મોદી શુક્રવારે સવારે બેંગલુરુના HAL એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ, ઘણા કેબિનેટ સભ્યો, કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી, ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્ય એકમના અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, BJP સંસદીય બોર્ડના સભ્ય બીએસ યેદિયુરપ્પા, પાર્ટીના ધારાસભ્યો અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.
PM મોદી આજે સવારે ક્રાંતિવીર સંગોલી રાયન્ના (KSR) રેલવે સ્ટેશન ગયા અને ત્યાં તેમણે મૈસૂર-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. આ દેશની પાંચમી અને દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે. અહીંથી પીએમ મોદીએ ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી.
દક્ષિણ ભારતની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બેંગલુરુ થઈને મૈસૂર અને ચેન્નાઈ વચ્ચે દોડશે. પ્રધાનમંત્રીએ ભારત ગૌરવ કાશી દર્શન ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી, જે રેલવેની ભારત ગૌરવ ટ્રેન નીતિ હેઠળ કર્ણાટકના મુઝરાઈ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે. સાઉથ વેસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર, “તે કાશીની મુસાફરી કરવા ઈચ્છતા ઘણા પ્રવાસીઓનું સપનું પૂરું કરશે.”
સંત કનક અને મહર્ષિ વાલ્મીકિને પુષ્પાંજલિ
આ પહેલા પીએમ મોદીએ વિધાનસૌધા સંકુલમાં સંત-કવિ કનક દાસ અને મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાઓ પર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના પ્રવાસની શરૂઆત કરી હતી. સંત કવિ કનક દાસની આજે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સંત-કવિ કનક દાસની જન્મજયંતિ નિમિત્તે, મોદીએ આજે અહીં વિધાનસૌધા નજીક ધારાસભ્ય ગૃહ સંકુલમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે પરિસરમાં આવેલી રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
એટલું જ નહીં, તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે અને પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનેલા કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન મોદી બેંગલુરુમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2નું ઉદ્ઘાટન કરશે, જેનું નિર્માણ લગભગ રૂ. 5,000 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. તેના ઉદઘાટન સાથે, એરપોર્ટ પર મુસાફરોની ક્ષમતા વાર્ષિક ધોરણે પાંચથી છ કરોડ સુધી વધવાની અપેક્ષા છે. અત્યારે તે 2.5 કરોડ વાર્ષિક છે.
પીએમ મોદી અહીંથી નજીકના સ્થળે પહોંચશે અને ત્યાં નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. પ્રતિમાનું અનાવરણ કર્યા પછી, વડાપ્રધાન એક જાહેર સભામાં ભાગ લેશે, જેમાં લાખો લોકો પહોંચવાની અપેક્ષા છે. આ પછી તેઓ તામિલનાડુના ડિંડીગુલ જશે.વડાપ્રધાન મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં અને સ્થળોએ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.