કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી સંસ્થા NTA ની સ્થાપનાથી લઈને NEET વિવાદ સુધીની ઇનસાઇડ સ્ટોરી
દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સી NTA નો ઉદ્દેશ્ય પારદર્શિતા લાવવાનો હતો, પરંતુ તાજેતરના NEET પેપર લીક કાંડે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો છે. જાણો આ સંસ્થા કઈ રીતે કામ કરે છે, તે કઈ પરીક્ષાઓ લે છે અને આગામી રી-એક્ઝામનો પ્લાન શું છે.

ભારતમાં દર વર્ષે કરોડો વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ અને સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આપે છે. આ પરીક્ષાઓને નિષ્પક્ષ, પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ એજન્સીની રચના કરવામાં આવી હતી, જેને આપણે NTA (National Testing Agency) તરીકે ઓળખીએ છીએ. પરંતુ, જે એજન્સીને પેપર લીક અને ગેરરીતિઓ રોકવા માટે બનાવવામાં આવી હતી, આજે તે પોતે જ કરોડો વિદ્યાર્થીઓના આક્રોશનો સામનો કરી રહી છે.
NTA શું છે અને તેની સ્થાપના ક્યારે થઈ?
NTA નું પૂરું નામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી) છે. તે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી એક સંપૂર્ણ સ્વાયત્ત (સ્વતંત્ર) પરીક્ષા સંસ્થા છે. આ એજન્સીની સ્થાપના વર્ષ 2017 માં કરવામાં આવી હતી. આ પહેલાં અલગ-અલગ સંસ્થાઓ વિવિધ પરીક્ષાઓ યોજતી હતી, જેના કારણે વ્યવસ્થા પર સવાલો ઉઠતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે એક પ્રોફેશનલ એજન્સી તરીકે NTA ની શરૂઆત કરી.
સ્થાપના પાછળનો મુખ્ય હેતુ શું હતો?
પહેલાની પરીક્ષા પદ્ધતિમાં વહીવટી તંત્રને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, જેમ કે:
- પેપર લીક થવાની વારંવાર બનતી ઘટનાઓ.
- જુદા જુદા રાજ્યોમાં પરીક્ષાની અલગ-અલગ અને અસમાન વ્યવસ્થા.
- પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામીઓ સર્જાવી.
- પરિણામો જાહેર કરવામાં થતો લાંબો વિલંબ.
સરકારનો ઉદ્દેશ્ય આ બધી ખામીઓને દૂર કરી એક એવી સિસ્ટમ બનાવવાનો હતો જે સમયસર અને ડિજિટલ મોડમાં સચોટ મૂલ્યાંકન સાથે પરીક્ષા પૂર્ણ કરી શકે.
NTA કઈ કઈ મોટી પરીક્ષાઓનું આયોજન કરે છે?
જ્યારથી NEET પેપર લીકનો મામલો સામે આવ્યો છે, ત્યારથી લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી છે કે આ સંસ્થા બીજી કઈ પરીક્ષાઓ લે છે. NTA દેશની આ ૫ મોટી રાષ્ટ્રીય પરીક્ષાઓનું સંચાલન કરે છે:
- NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ): મેડિકલ કોલેજોમાં MBBS, BDS અને અન્ય તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ભારતની સૌથી મોટી પરીક્ષા છે.
- JEE Main: દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજો જેવી કે NIT અને IIIT માં એડમિશન માટે આ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા પાસ કર્યા પછી જ JEE Advanced આપવાનો રસ્તો ખુલે છે.
- CUET (કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ): દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને અન્ય અગ્રણી વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ માટે આ પરીક્ષા દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડવામાં આવે છે.
- UGC NET: કોલેજો અને યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા તેમજ પીએચ.ડી. (Ph.D.) માં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે.
- CMAT અને GPAT: મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ માટે CMAT અને ફાર્મસી કોર્સ માટે GPAT પરીક્ષાનું આયોજન પણ આ જ સંસ્થા કરે છે.
એજન્સીની મુખ્ય જવાબદારીઓ અને કાર્યપદ્ધતિ
NTA મોટે ભાગે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) એટલે કે ડિજિટલ માધ્યમથી પરીક્ષાઓ લે છે, જેથી પરિણામ જલ્દી આવે અને ગેરરીતિ અટકે.
આ ઉપરાંત સંસ્થાની મુખ્ય જવાબદારીઓમાં નીચેની બાબતો શામેલ છે:
- દેશભરમાં સુરક્ષિત અને હાઇટેક પરીક્ષા કેન્દ્રોની પસંદગી કરવી.
- ઉમેદવારો માટે ઓનલાઈન એડમિટ કાર્ડ જારી કરવા.
- પરીક્ષા બાદ પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી (ઉત્તરોની ચાવી) જાહેર કરવી.
- સમયસર પરિણામો આપવા અને વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે હેલ્પલાઈન ચલાવવી.
- વિદ્યાર્થીઓ તમામ માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ nta.ac.in નો ઉપયોગ કરે છે.
વિદ્યાર્થીઓ સામે કયા પડકારો છે?
આધુનિક સિસ્ટમ હોવા છતાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ નડે છે, જેમ કે પરીક્ષા દરમિયાન અચાનક સર્વર ડાઉન થઈ જવું, ટેકનિકલ ખામીઓ આવવી, પરીક્ષા કેન્દ્રો ઘરથી ઘણા દૂર હોવા અને સૌથી મોટો પડકાર એટલે પેપર લીકના આક્ષેપો.
શું છે NEET 2026 પેપર લીકનો વિવાદ?
3 મે 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં દેશભરના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું લઈને બેઠા હતા. પરંતુ પરીક્ષાના થોડા જ દિવસોમાં પેપર લીક થયાની પુષ્ટિ કરતા સમાચારોએ દેશને હચમચાવી દીધો. આ ઘટનાના માત્ર 9 દિવસ બાદ આખી પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લેવાયો. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સીબીસી (CBC) (Central Bureau of Communication)ને સોંપવામાં આવી અને તાત્કાલિક ધરપકડનો દોર શરૂ થયો. આ ઘટનાથી દેશની મેડિકલ પ્રવેશ પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે 15 મેના રોજ નીટ યુજી 2026 ની રી-એક્ઝામની તારીખ જાહેર કરી દીધી છે. આ પરીક્ષા 21 જૂના રોજ યોજાશે. આ માટે ફરીથી એક્ઝામ સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ જાહેર કરાશે, જેની માહિતી પરીક્ષાના થોડા દિવસ પહેલા આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓએ ન નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે કે ન તો કોઈ ફી ચૂકવવી પડશે.
