સિંધુ જળ સંધિ સ્થગિત થવાથી પાકિસ્તાનમાં ત્રાહિમામ, સર્જાયુ મોટુ જળ સંકટ, શાહબાઝ અને મુનીર સામે ખેતી બચાવવાનો મોટો પડકાર
સિંધુ જળ સંધિ સ્થગિત થવાને કારણે પાકિસ્તાનમાં મોટુ જળ સંકટ સર્જાયુ છે. ખાસ કરીને ખેતી પર તેની માઠી અસરો વર્તાવાની શરૂ થઈ ચુકી છે. પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ખેડૂતો પાસે ડાંગરની ખેતી માટે સિંચાઈનું પાણી જ ઉપલબ્ધ નથી. જેના કારણે ખાદ્ય સંકટ ઉભુ થવાની આશંકા સેવાઈ રહી છે.

જમ્મુકાશ્મીરમાં પહલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનને તેનુ અસલી સ્થાન તો બતાવી દીધુ. સાથોસાથ ભારત મજબુત નેતૃત્વ અને નિર્ણાયક શક્તિનો પરચો આપતા શિમલા કરાર દરમિયાન કરવામાં આવેલી INDUS WATER TREATY એટલે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી. આ સંધિ રદ થતા તેની અસરો હવે પાકિસ્તાન પર દેખાવાની શરૂ થઈ ગઈ છે.
પાકિસ્તાનના અન્ન ઉત્પાદક વિસ્તારોમાં સિંચાઈના પાણીની ભારે અછત વર્તાઈ રહી છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે જો સિંધુ જળ સંધિને ફરી એક્ટિવ કરવામાં નહીં આવે તો પાકિસ્તાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેની અસર ખાદ્ય સુરક્ષા પર થશે. જે પાકિસ્તાન માટે પહેલેથી જ ચિંતાનો વિષય છે. પાકિસ્તાન સરકાર સામે આતંકવાદને પ્રોત્સાહન આપવું કે પોતાની જનતાને પાણી પૂરૂં પાડવું તેમાંથી કોઈપણ એક વિકલ્પની પસંદગી કરવાનુ દબાણ વધી રહ્યુ છે.
પાકિસ્તાનની કૃષિ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે સિંધુ જળ સંધિ
સિંધુ જળ સંધિ રદ થવાની સૌથી વધુ અસર ખૈબર પખ્તુનખ્વા અને સિંધ પ્રાંતમાં જોવા મળી રહી છે. આ વિસ્તારોમાં ઘઉંની લણણી બાદ હવે ચોખાના ઉત્પાદન પર અનિશ્ચિતતાના વાદળો મંડરાઈ રહ્યા છે. ચોખાની ખેતી સંપૂર્ણપણે સિંચાઈના પાણી વિના નાશ પામે તેવી સ્થિતિ છે. પાકિસ્તાન દર વર્ષે આશરે 7.5 મિલિયન ટન ચોખા પેદા કરે છે અને વિશ્વના અગ્રણી ચોખા ઉત્પાદક દેશોમાં 10મા ક્રમે છે. પાણીની અછતને કારણે માત્ર ખેતી જ નહીં, પરંતુ પશુપાલન અને ખાદ્ય સુરક્ષાના ભવિષ્ય પણ જોખમમાં મુકાયુ છે.
નિષ્ણાતોના મતે, સિંધુ જળ સંધિ પાકિસ્તાનની કૃષિ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. કૃષિ સંશોધનના ભૂતપૂર્વ મહાનિદેશક ડો. અબ્દુલ રઉફે ચેતવણી આપી છે કે પાણીના પ્રવાહમાં લાંબા ગાળાનો અવરોધ ચોખા, કેરી અને તરબૂચ જેવા પાકો પર માઠી અસર કરી શકે છે. વર્ષ 1960માં વિશ્વ બેંકની મધ્યસ્થીથી ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી આ સંધિ મુજબ, ત્રણ પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ, સતલજ) ભારતને અને ત્રણ પશ્ચિમી નદીઓ (સિંધુ, જેલમ, ચિનાબ) પાકિસ્તાનને ફાળવવામાં આવી હતી.
પાકિસ્તાન સરકાર સામે માત્ર બે વિકલ્પ
હાલમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુનીર આ સ્થિતિથી અત્યંત પરેશાન છે. પાકિસ્તાને આ મામલો આંતરરાષ્ટ્રીય લવાદ અદાલતમાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતે આમાં કોઈ પણ ત્રીજા પક્ષની ભૂમિકાને સ્પષ્ટપણે નકારી કાઢી છે. હવે પાકિસ્તાન સરકાર સામે આતંકવાદને પ્રોત્સાહન આપવું કે પોતાની જનતાને પાણી પૂરૂં પાડવું, તેમાંથી એકની પસંદગી કરવાનું દબાણ વધી રહ્યું છે. પાકિસ્તાન તરફથી અવારનવાર યુદ્ધની ધમકીઓ આપવામાં આવે છે, પરંતુ ભારત પર તેની કોઈ અસર થતી દેખાતી નથી.
