ભારતમાં પણ વિનાશક ભૂકંપનો ભારે ભય : BIS એ જાહેર કરેલા સિસ્મેક ઝોનના નવા નકશાએ મચાવી છે હલચલ
ભારતમાં ભૂકંપનો ભય પહેલા કરતાં નોંધપાત્ર રીતે વધુ ગંભીર બન્યો છે. ભારતીય માનક બ્યુરો (BIS) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ભૂકંપને લગતા સિસ્મેક ઝોનના નવા નકશા દ્વારા આ ખુલાસો થયો છે. ભૂકંપીય ઝોનેશન નકશાએ, એક અર્થમાં, સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. નકશા અનુસાર, કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી સમગ્ર હિમાલય ભૂસ્તરીય શ્રેણી, હવે સૌથી જોખમી શ્રેણી ઝોન VI માં આવી ગઈ છે. હવે આ પ્રદેશોમાં રહેતા લોકો માટે એક મહત્વપૂર્ણ ચેતવણી ગણી શકાય.

ભૂકંપને લગતા સિસ્મેક ઝોનના નવા નકશાએ એક મોટા પરિવર્તનનો સંકેત આપ્યા છે. દેશના 61 ટકા ભૂમિ વિસ્તાર હવે સિસ્મેક ઝોન III થી ઝોન VI સુધીના જોખમી ક્ષેત્રમાં આવી ગયા છે. સિસ્મેક ઝોન III થી VI વિસ્તારની વસ્તીના 75 ટકા વસ્તી એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં ભૂકંપ જીવલેણ સાબિત થઈ શકે છે. જ્યારે અગાઉના નકશામાં હિમાલયને ઝોન IV અને V હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, ત્યારે નવા સંશોધનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રદેશમાં ટેક્ટોનિક પ્લેટો 200 વર્ષથી બંધ છે. એટલે કે તણાવ એકઠો થઈ રહ્યો છે. આગામી મોટો ભૂકંપ 8.0 કે તેથી વધુ તીવ્રતા સુધીનો આ વિસ્તારમાં આવી શકે છે.
નવી ઇમારતો માટે લાગુ 2025 નો નવો કોડ
ભૂકંપ ઝોનેશન નકશો IS 1893 (ભાગ 1) : 2025 કોડનો ભાગ છે, જે જાન્યુઆરી 2025 થી દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, નવી બનતી તમામ ઇમારતો, પુલો અને હાઇવે ભૂકંપ-પ્રતિરોધક હોય. આના કારણે જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે જાનમાલનું નુકસાન ઓછું થાય. વૈજ્ઞાનિકો હવે માને છે કે, બાહ્ય હિમાલયમાં ઉદ્ભવતા મોટા ભૂકંપના દક્ષિણ તરફ તરંગ વહી શકે છે, હિમાલયના ફ્રન્ટલ થ્રસ્ટ સુધી પહોંચી શકે છે.
નવા નિયમોમાં સલામતી પર વિશેષ ધ્યાન
ભારતની લગભગ ત્રણ-ચતુર્થાંશ વસ્તી ભૂકંપ-સંભવિત વિસ્તારોમાં રહે છે, તે જોતાં, ભારતીય માનક બ્યુરો (BIS) એ તમામ નવી ઇમારતો માટે નવા 2025 કોડના અમલીકરણને ફરજિયાત બનાવ્યું છે. નવા નિયમો માળખાકીય અને બિન-માળખાકીય સલામતી બંને પર ખાસ ભાર મૂકે છે. પહેલી વાર, એક નિયમ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કોઈપણ ભારે ઇમારતના ઘટકો જે માળખાના કુલ વજનના 1% થી વધુ હોય તેને ભૂકંપ દરમિયાન તૂટી પડતા અટકાવવા માટે સુરક્ષિત રીતે કવર કરવામાં આવે છે.

સિસ્મિક ઝોનેશન મેપ શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો, તે ભૂકંપના જોખમના આધારે દેશને મુખ્ય ચાર ઝોનમાં વર્ગીકૃત કરે છે : ઝોન II ( ભૂકંપનું ઓછું જોખમ હોય તેવો વિસ્તાર), ઝોન III (મધ્યમ પ્રકારનુ જોખમ ધરાવતો વિસ્તાર), ઝોન IV (ભૂકંપનો વધુ જોખમ ધરાવતો વિસ્તાર ગણી શકાય), અને ઝોન V (ભૂકંપનું ખૂબ ઊંચું જોખમ ધરાવતો વિસ્તાર. આ એવો વિસ્તાર છે કે જ્યાં અવારનવાર ભૂકંપ આવે અને તે પણ મોટી તીવ્રતાના. હવે બીઆઈએસ દ્વારા નવા નક્કી કરાયેલા ઝોનદીઠ વિસ્તારમાં એક એવો ઝોન ઉમેરવામાં આવ્યો છે કે જ્યાં ભૂંકપની તીવ્રતા ખૂબ વધુ હોઈ શકે અને મોટો વિનાશક ભૂંકપ આવવાની સંભાવના અનેકગણી વધુ હોઈ શકે. આવા વિસ્તાર માટે બીઆઈએસ દ્વારા નવો ઝોન VI ઉમેરવામાં આવ્યો છે.
લોકસભામાં જીતેન્દ્રસિંહે એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે, દેશનો 59 ટકા વિસ્તાર ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં આવે છે. દેશમાં ભૂકંપના ઇતિહાસને ધ્યાનમાં લેતા, ભારતના કુલ 59% ભૂમિ વિસ્તાર કે જે ભારતના તમામ રાજ્યોને આવરી લે છે, વિવિધ તીવ્રતાના ભૂકંપ માટે સંવેદનશીલ છે. દેશના ભૂકંપ ઝોનિંગ નકશા મુજબ, કુલ વિસ્તારને ચાર ભૂકંપ ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. ઝોન V ભૂકંપની દ્રષ્ટિએ સૌથી સક્રિય પ્રદેશ છે. જ્યારે ઝોન II સૌથી ઓછો છે. દેશનો આશરે ~11% વિસ્તાર ઝોન V માં, ~18% ઝોન IV માં, ~30% ઝોન III માં અને બાકીનો ઝોન II માં આવે છે.
