ઉત્તરપ્રદેશમાં ભાજપ વિધાનસભાની પેટાચૂંટણીમાં મુસ્લિમને આપશે ટિકિટ ?
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભાની 10 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને તમામ પ્રભારી મંત્રીઓને મળ્યા હતા. તેમણે તેમના વિસ્તારમાં અલગ-અલગ દરેક જૂથની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. આ બેઠકમાં મુસ્લિમ ઉમેદવારોનો મુદ્દો પણ સામે આવ્યો હતો. બેઠકમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકાય કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથસ લોકસભાની ચૂંટણી પરિણામો ભાજપ માટે બહુ ઉત્સાહજનક ના આવ્યા બાદ, વિધાનસભાની 10 બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને એક્શનમાં છે. યોગી ઝડપથી સરકાર અને સંગઠન તેમજ સામાજીક અગ્રણીઓ સાથે બેઠકો યોજી રહ્યો છે. યોગી આદિત્યનાથે આજે, બુધવારે મંત્રીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં મુસ્લિમ ઉમેદવારોનો મુદ્દો પણ સામે આવ્યો હતો. બેઠકમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠકો પર મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકાય કે કેમ તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત બેઠકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, પ્રમાણિક અને વિજેતા થાય તેવા જ ઉમેદવારોની જ પસંદગી કરવી જોઈએ. ભલામણ કરનાર ઉમેદવારને પાર્ટીએ ટિકિટ આપવી જોઈએ નહીં. બેઠકમાં પેટાચૂંટણીના વિસ્તારોમાં જ્ઞાતિ સમીકરણ શું છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના ઉમેદવારો કોણ હોઈ શકે તેની ચર્ચા હતી. બેઠકમાં હાલની સ્થિતિ શું છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
CMએ મંત્રીઓને આપી સૂચના
બેઠકમાં યોગી આદિત્યનાથે તેમના વિસ્તારમાં અલગ-અલગ દરેક વસ્તી જૂથની સ્થિતિ વિશે પૂછપરછ કરીને જરૂરી જાણકારી મેળવી હતી. સીએમ યોગી દ્વારા તમામ જૂથોને સૂચના પણ આપવામાં આવી હતી કે ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી દરેક વ્યક્તિએ અઠવાડિયામાં બે દિવસ તેમના તાબા હેઠળના વિસ્તારમાં રાત્રિ વિરામ કરવાનો રહેશે. જ્યારે, મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને પણ સૂચના આપી છે કે દરેક જૂથે કાર્યકરો સાથે વાતચીત કરવી પડશે અને બૂથને મજબૂત કરવા પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
આ બેઠકમાં એવા મંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા, જે લોકસભાની ચૂંટણી જીતેલા ધારાસભ્ય કે જેમના રાજીનામાના કારણે 9 ધારાસભ્યોની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત સિસમાઈ બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. સપાના ધારાસભ્ય ઈરફાન સોલંકીને ગેરલાયક ઠેરવ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં મિલ્કીપુર, કટેહારી, ફુલપુર, મંઝવા, ગાઝિયાબાદ સદર, મીરાપુર, ખેર અને કુંડારકીનો સમાવેશ થાય છે.
મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી
ભાજપ સંગઠને આ તમામ બેઠકો પર ચૂંટણીની તૈયારીઓ માટે રાજ્ય સરકારના મંત્રીઓ અને સંગઠનના વરિષ્ઠ અધિકારીઓને ફરજ પર મૂક્યા છે. પેટાચૂંટણી માટે, સંગઠનના અધિકારીઓ સાથે યુપી સરકારના 16 મંત્રીઓની એક ટીમ બનાવવામાં આવી હતી અને દરેકને પોતપોતાની બેઠકો પર જીત નોંધાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. મંત્રીઓની ટીમમાં ભાજપ ઉપરાંત સહયોગી પક્ષોના મંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
વાસ્તવમાં 10 વિધાનસભા બેઠકો પરની પેટાચૂંટણી જીતવી એ ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. તેથી મંત્રીઓને કોઈપણ ભોગે જીત નોંધાવવા માટે હવેથી તેમના વિસ્તારોમાં અડગ ઊભા રહેવાનું કહેવામાં આવ્યું છે.