કેવી રીતે શોધાયો ઓપરેશન સિંદુરનો ટાર્ગેટ, સોશિયલ મીડિયામાં કરાયેલ પોસ્ટને રિપોસ્ટ કરાતા જ મળી ગયુ ઠામ ઠેકાણું
પહેલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં કુલ 9 સ્થળોએ ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓના ગઢને તોડી પાડવામાં આવ્યો. પહેલગામના હુમલાખોરો અને પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા વચ્ચે સીધો સંબંધ હોવાનુ કેવી રીતે સામે આવ્યું તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના ફરી એકવાર આતંકવાદીઓ માટે દુઃસ્વપ્ન બની ગઈ છે. 22 એપ્રિલના હુમલાનો બદલો લેવા માટે, ત્રણેય ભારતીય સશસ્ત્ર દળોએ સંયુક્ત કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં નવ સ્થળોએ એર સ્ટ્રાઈક કરી, જેમાં 100 થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સેના અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ, ઓપરેશન સિંદૂર હાથ ધરાયા બાદ આજે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર ઓપરેશનની સંપૂર્ણ વિગતો મીડિયા સમક્ષ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે સોશિયલ મીડિયામાં કરાયેલ એક પોસ્ટ અને એ પોસ્ટને કરાયેલ રિપોસ્ટ, આતંકવાદીઓ માટે સમસ્યા બની ગઈ.
વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, પહેલગામ હુમલાની જવાબદારી પોતાને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ તરીકે ઓળખાવતા એક જૂથે સ્વીકારી હતી. આ જૂથ પાકિસ્તાની આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબાનો એક ભાગ છે. તેમણે કહ્યું કે ભારતે મે અને નવેમ્બર 2024 માં યુએનને ટીઆરએફ વિશે માહિતી આપી હતી, જેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો માટે કવર તરીકે તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
એક પોસ્ટ અને ફરીથી પોસ્ટ
વિદેશ સચિવે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલાની તપાસમાં પાકિસ્તાનથી આતંકવાદીઓને મોકલવામાં આવેલી નોટ્સનો ખુલાસો થયો છે. રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા કરવામાં આવેલા દાવાઓ અને લશ્કર-એ-તૈયબાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા તેને ફરીથી રીપોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જે પોતે જ બોલે છે બન્ને વચ્ચે સંબંધ છે. વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓએ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે કાર્યવાહી કરી હતી.
તેમણે કહ્યું કે આપણી ગુપ્તચર એજન્સીઓએ કાવતરાખોરોની તસવીર તૈયાર કરી હતી. આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન તરીકે જાણીતું છે. તે આતંકવાદીઓ માટે સલામત ઘર છે. તે દુનિયાને ગેરમાર્ગે દોરે છે. સાજિદ મીર કેસ આનું ઉદાહરણ છે. પાકિસ્તાને આ આતંકવાદીને મૃત જાહેર કર્યો હતો અને પછી આંતરરાષ્ટ્રીય દબાણને કારણે તેને ફરીથી જીવિત કરીને ધરપકડ કરવામાં આવી હતી.
હુમલા માટે આટલો સમય કેમ?
વિક્રમ મિશ્રીએ કહ્યું કે, પહેલગામના બૈસરનમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા હુમલાથી લોકોમાં ગુસ્સો ફેલાયો છે. આ હુમલા પછી, ભારત સરકારે સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન સામે કાર્યવાહી કરી. હુમલાના 14 દિવસ પછી પણ પાકિસ્તાને આતંકવાદીઓ સામે કોઈ કાર્યવાહી કરી નથી. તેના બદલે, તેમણે ફક્ત ઇનકાર અને આરોપોમાં જ વ્યસ્ત રહ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી મોડ્યુલો પર અમારી ગુપ્તચર દેખરેખ દર્શાવે છે કે ભારત સામે વધુ હુમલા થવાની શક્યતા છે.
7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.