EPF વ્યાજ દરમાં 10%નો જંગી વધારો ? લોકસભામાં સરકારે આપ્યો એવો જવાબ કે કરોડો કર્મચારીઓ ચોંકી ગયા!
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કરોડો કર્મચારીઓ માટે શું ખુશખબર છે? લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્ને સૌનું ધ્યાન ખેંચ્યું છે કે શું PF પર 10% વ્યાજ મળશે? જાણો કેન્દ્રીય મંત્રીએ આ મામલે શું ખુલાસો કર્યો અને ક્યારે તમારા ખાતામાં જમા થશે વ્યાજની રકમ.

ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પીએફ (PF) એ નિવૃત્તિ પછીની સૌથી મોટી બચત છે. લાંબા સમયથી ચર્ચા હતી કે શું સરકાર પીએફ પરના વ્યાજ દરમાં ધરખમ વધારો કરીને તેને 10% સુધી લઈ જશે? આ સસ્પેન્સ પરથી લોકસભામાં સરકારે પડદો ઉઠાવ્યો છે.
લોકસભામાં શું પૂછાયો સવાલ?
સાંસદ વિજયકુમાર ઉર્ફે વિજય વસંતે સરકારને સીધો સવાલ પૂછ્યો હતો કે શું સરકાર પીએફ પર વ્યાજ દર વધારીને 10 ટકા કરવા જઈ રહી છે? આ પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી.
સરકારનો જવાબ:
મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારને આ અંગે લેબર યુનિયનો તરફથી કોઈ ઔપચારિક દરખાસ્ત મળી નથી. હાલમાં EPFO એ નાણાકીય વર્ષ 2025-26 માટે 8.25% વ્યાજ દરને મંજૂરી આપી છે, જે 2023-24 થી સતત ચાલ્યો આવે છે. એટલે કે, હાલમાં 10% વ્યાજ મળવાની કોઈ શક્યતા નથી.
વ્યાજ દર કેવી રીતે નક્કી થાય છે?
મંત્રીએ વધુમાં સમજાવ્યું કે EPFનો વ્યાજ દર કોઈ બીજા પરિબળ પર નહીં, પરંતુ પ્રોવિડન્ટ ફંડ કોર્પસ દ્વારા કરવામાં આવેલી વાસ્તવિક આવક પર નિર્ભર છે. આ દરની ભલામણ EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા કરવામાં આવે છે, જેમાં સરકાર, કંપની અને કર્મચારીઓના પ્રતિનિધિઓ સામેલ હોય છે.
છેલ્લા કેટલાક વર્ષોના વ્યાજ દરની એક ઝલક:
| નાણાકીય વર્ષ | વ્યાજ દર (%) |
| 2005-10 | 8.50% |
| 2010-11 | 9.50% |
| 2021–22 | 8.10% |
| 2022–23 | 8.15% |
| 2023–24 | 8.25% |
| 2024–25 | 8.25% |
તમારા ખાતામાં પૈસા ક્યારે આવશે?
વ્યાજ દરને CBTની મંજૂરી મળ્યા બાદ ફાઈલ નાણા મંત્રાલયને મોકલવામાં આવે છે. ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ શ્રમ મંત્રાલય સત્તાવાર નોટિફિકેશન બહાર પાડશે. સામાન્ય રીતે વર્ષના મધ્ય ભાગમાં વ્યાજની રકમ સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા કરવામાં આવે છે.
તમારા માટે કામની વાત:
તમારી બેઝિક સેલરીના 12% પીએફમાં જાય છે અને તેટલું જ યોગદાન કંપની આપે છે. કંપનીના આ 12% માંથી 8.33% હિસ્સો કર્મચારી પેન્શન યોજના (EPS) માં જમા થાય છે, જે તમને નિવૃત્તિ પછી પેન્શન તરીકે મળે છે.
