ગુજરાતી અસ્મિતાના સેતુ સમાન ડૉ. હેમરાજ શાહ અનંત સફરે, શિવાજી પાર્ક ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાયા ‘અંતિમ સંસ્કાર’
મહારાષ્ટ્ર અને બૃહદ મુંબઈના ગુજરાતી સમુદાયના અગ્રણી નેતા, વરિષ્ઠ પત્રકાર અને ગુજરાતી-મરાઠી સંસ્કૃતિના સેતુ સમાન ડૉ. હેમરાજ શાહનું 84 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. દાદર સ્થિત ઐતિહાસિક શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સ્નેહીજનોની ઉપસ્થિતિમાં તેમને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

મહારાષ્ટ્ર અને બૃહદ મુંબઈના ગુજરાતી સમુદાયના અગ્રણી નેતા, વરિષ્ઠ પત્રકાર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના વગદાર ઓર્ગેનાઇઝર ડૉ. હેમરાજ શાહનું 84 વર્ષની વયે મંગળવારે (8 સપ્ટેમ્બર) દુઃખદ અવસાન થયું છે.
મહારાષ્ટ્રની ધરતી પર ગુજરાતી અને મરાઠી સમુદાય વચ્ચે પરસ્પર પ્રેમ અને સાંસ્કૃતિક સંવાદિતાનો મજબૂત સેતુ બાંધનારા ડૉ. શાહના જવાથી સમગ્ર સામાજિક અને રાજકીય વર્તુળમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.
શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે ‘અંતિમ સંસ્કાર’
તેમના પાર્થિવ દેહને મુંબઈના દાદર સ્થિત ઐતિહાસિક શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સંપૂર્ણ વિધિ-વિધાન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ વિદાય વેળાએ શિવસેના (UBT) સહિત વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ, મહારાષ્ટ્ર અને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના પદાધિકારીઓ, સાહિત્યકારો તેમજ મોટી સંખ્યામાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.
शिवसेना संघटक हेमराज शहा ह्यांना भावपूर्ण श्रध्दांजली! pic.twitter.com/9HbXMaFl41
— Shivsena UBT Communication (@ShivsenaUBTComm) September 8, 2026
તમામ મહાનુભાવોએ આ સામાજિક ક્રાંતિકારી અને ગુજરાતી સમાજના ભીષ્મ પિતામહને અશ્રુભીની આંખે આખરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેઓ પોતાની પાછળ બે પુત્રો (અરવિંદ શાહ અને ઉદય શાહ), પુત્રવધૂઓ તેમજ પૌત્રો સહિતનો મોટો પરિવાર છોડી ગયા છે.
સામાજિક અને સાંસ્કૃતિક સફર
જન્મ: 22 માર્ચ 1941 ના રોજ કચ્છ ખાતે જન્મ થયો હતો. તેઓ જીવનપર્યંત કચ્છ તેમજ કચ્છીયત પ્રત્યે અગાધ પ્રેમ ધરાવતા હતા.
139 સંસ્થાઓનું મહાસંગઠન: ડૉ. હેમરાજ શાહે મુંબઈમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે બાંધવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. તેઓ મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ (જ્યાં તેમણે 35 વર્ષ સુધી પ્રમુખપદ સંભાળ્યું) અને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના આજીવન પ્રમુખ રહ્યા હતા. તેમણે મુંબઈની 139 જેટલી સ્થાનિક ગુજરાતી સંસ્થાઓનું એક અજેય ફેડરેશન ઊભું કર્યું હતું.