દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો દેશનો સૌથી અજીબોગરીબ કિસ્સો: કોમામાં રહેલા પતિના સ્પર્મથી પત્ની બનવા…..
દિલ્હીની એક મહિલાએ કોમામાં રહેલા પતિના સ્પર્મથી માતા બનવાની જીદ પકડી છે. કાયદાની ગૂંચ અને લાગણીઓની લડાઈ વચ્ચે દિલ્હી હાઈકોર્ટમાં થશે મોટો નિર્ણય. શું વિજ્ઞાન અને કાયદો મળીને આ મહિલાનું સપનું પૂરું કરશે?

રાજધાની દિલ્હીમાં એક એવી કાયદાકીય અને ભાવનાત્મક લડાઈ શરૂ થઈ છે, જેણે ન્યાયતંત્ર અને તબીબી જગતને વિચારતા કરી દીધા છે. એક લાચાર પત્ની તેના કોમામાં રહેલા પતિના અંશને સાચવી રાખવા માટે અને ભવિષ્યમાં તેના બાળકની માતા બનવા માટે દિલ્હી હાઈકોર્ટના દ્વારા પહોંચી છે. આ કિસ્સો માત્ર ભાવનાત્મક નથી, પરંતુ જટિલ કાયદાકીય ગૂંચવણોથી ભરેલો છે.
શું છે સમગ્ર મામલો?
પીડિત મહિલાના પતિ ગયા વર્ષના માર્ચ મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. કમનસીબે, તેઓ અત્યારે ‘વેજિટેટિવ સ્ટેટ’ એટલે કે અર્ધબેભાન અવસ્થામાં છે અને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જીવન ટકાવી રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમની હાલત અત્યંત નાજુક છે. આવી સ્થિતિમાં, પત્નીએ તેના પતિના ‘સ્પર્મ’ (શુક્રાણુ) મેળવવા અને તેને સુરક્ષિત રાખવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગી છે. મહિલાની ઈચ્છા છે કે તેના પતિની હયાતીમાં કે ગેરહાજરીમાં પણ તે તેમના જ સંતાનને જન્મ આપે.
સમય સામેની રેસ અને મેડિકલ પડકારો
મહિલાના વકીલ અરિજીત ગૌરે કોર્ટમાં દલીલ કરી હતી કે જો શુક્રાણુના સેમ્પલ લેવામાં જરા પણ વિલંબ થશે, તો તેની ગુણવત્તા બગડી શકે છે અને મહિલાની માતૃત્વની આશા કાયમ માટે છીનવાઈ શકે છે. આ પ્રક્રિયામાં સ્પર્મને ‘સેમિનિફેરસ ટ્યુબ્યુલ્સ’ માંથી કાઢીને લેબમાં -196 ડિગ્રી સેલ્સિયસ પર થીજવી દેવામાં આવે છે. IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયામાં ઘણીવાર એકથી વધુ પ્રયત્નોની જરૂર પડતી હોવાથી સેમ્પલનું સુરક્ષિત રહેવું અનિવાર્ય છે.
કાયદો અને સંમતિનો પેચ
ભારતમાં 2021માં લાગુ થયેલા નવા નિયમો મુજબ, પ્રજનન પ્રક્રિયા માટે પતિ અને પત્ની બંનેની સ્પષ્ટ લેખિત સંમતિ હોવી જરૂરી છે. અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જે વ્યક્તિ કોમામાં છે તે પોતાની સંમતિ કેવી રીતે આપી શકે? અરજદારે આ મામલે એક નિષ્ણાત મેડિકલ કમિટી બનાવવાની દરખાસ્ત પણ મૂકી છે, જે તપાસ કરશે કે શું આ સ્થિતિમાં શુક્રાણુ સુરક્ષિત રીતે કાઢી શકાય તેમ છે કે નહીં.
કેન્દ્ર સરકારના વકીલ આયુષ ગૌરે કોર્ટને જણાવ્યું છે કે આ મામલો ગંભીર છે અને તેની તપાસ ચાલી રહી છે. દિલ્હી હાઈકોર્ટ આ મામલે 9 એપ્રિલે સુનાવણી હાથ ધરશે. શું કોર્ટ માનવીય સંવેદનાઓને પ્રાધાન્ય આપશે કે કાયદાના કડક નિયમો આ પત્નીની ઈચ્છા પર પાણી ફેરવી દેશે? આ ફેંસલો આવનારા સમયમાં સરોગસી અને પ્રજનન કાયદાઓ માટે એક મોટું ઉદાહરણ સાબિત થશે.
