Congress Chintan Shivir: ચિંતન શિબિરનો છેલ્લો દિવસ, કોંગ્રેસે કહ્યું- અમારી સરકાર આવશે તો EVMથી ચૂંટણી નહીં થાય
Congress Chintan Shivir: બેઠક દરમિયાન ઘણા નેતાઓએ EVMનો વિરોધ કર્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ ચૂંટણીમાં તેમની હાર માટે EVMને જવાબદાર ઠેરવ્યા હતા.
રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ (Congress) દ્વારા આયોજિત ત્રણ દિવસીય કોંગ્રેસ ચિંતન શિબિરનો (Chintan Shibir) આજે છેલ્લો દિવસ છે. ‘ચિંતન શિબિર’માં છેલ્લા દિવસે EVMનો મુદ્દો સામે આવ્યો હતો. આ શિબિર દરમિયાન બેલેટ પેપર પર ચૂંટણીની (Election) માગ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ પેટા જૂથે તેને નકારી કાઢ્યો અને કહ્યું કે આ તમામ પક્ષોની ચિંતા છે અને સર્વપક્ષીય બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. બેઠક દરમિયાન ઘણા નેતાઓએ EVMનો વિરોધ કર્યો હતો. ઘણા રાજકીય પક્ષોએ ચૂંટણીમાં તેમની હાર માટે EVMને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે જો તેમની સરકાર આવશે તો EVMથી ચૂંટણી નહીં કરાવવામાં આવે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટેના તેના ઢંઢેરામાં વચન મુજબ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ને બેલેટ પેપરથી બદલવું જોઈએ અને આ મુદ્દાને જનતા સુધી પણ લઈ જવો જોઈએ. પક્ષના ચિંતન શિબિર માટે રચવામાં આવેલી રાજકીય બાબતોની સંકલન સમિતિના સભ્ય ચૌહાણે કહ્યું કે આ તેમનો અંગત અભિપ્રાય છે, જો કે ઘણા નેતાઓ તેમની સાથે પણ સંમત થયા હતા.
‘અમે સત્તામાં આવીશું તો ઇવીએમ હટાવીને બેલેટ પેપર તરફ આગળ વધીશું’
મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, ‘EVM પર ઘણી ચર્ચા થઈ છે. ઘણી છેતરપિંડી થઈ રહી છે. તેમણે જણાવ્યુ કે મારો અંગત અભિપ્રાય એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરવાથી EVMને દૂર નહીં કરી શકાય. આપણે તેમને હરાવવા પડશે. આપણે આપણા ચૂંટણી ઢંઢેરામાં લખવું પડશે કે જો અમે સત્તામાં આવીશું તો અમે ઈવીએમને હટાવી દઈશું અને બેલેટ પેપર લાવીશું.
15 ઓગસ્ટથી રાહુલ ગાંધી કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરશે
આ ચિંતન શિબિરમાં પાર્ટીએ તેના ભાવિ કાર્યક્રમો માટે એક વ્યાપક રૂપરેખા તૈયાર કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ વર્ષે 15 ઓગસ્ટથી લોકો સાથે જોડાવા માટે કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા શરૂ કરે તેવી શક્યતા છે. ચિંતન શિબિર દરમિયાન આ યાત્રા વિશે ચર્ચા થઈ હતી. પ્રજાલક્ષી એજન્ડાને આગળ વધારવા અને સરકારની નિષ્ફળતાઓ અને લોકોની દુર્દશાને ઉજાગર કરવા રાજ્યના નેતાઓ દ્વારા દરેક રાજ્યમાં સમાન પદયાત્રાઓનું આયોજન કરવામાં આવશે. આખરી નિર્ણય CWC દ્વારા લેવામાં આવશે, જો કે પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ મોંઘવારી અને આર્થિક મુદ્દાઓ પર સરકાર સામે જન આંદોલન કાર્યક્રમની ચર્ચા કરી છે.