Breaking news: બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસા, 4ના મોત, 400થી વધુ TMC ઓફિસમાં તોડફોડ
West Bengal Violence: પરિણામો જાહેર થતાં જ પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, અને 400 થી વધુ ટીએમસી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી છે. આ અથડામણમાં ભાજપ અને ટીએમસી બંનેના કાર્યકરો માર્યા ગયા હતા. રાજ્ય સરકારે હિંસાની તપાસ માટે એક તથ્ય શોધ સમિતિની રચના કરી છે.

વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી બંગાળમાં હિંસા ફાટી નીકળી છે. અત્યાર સુધીમાં વિવિધ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. 400 થી વધુ સ્થળોએ ટીએમસી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, 4 મેથી ઓછામાં ઓછા એક ડઝન સ્થળોએ ચૂંટણી સંબંધિત હિંસા થઈ છે. હિંસા બાદ રાજ્ય સરકારે 10 સભ્યોની ફેક્ટ ફાઈડિંગ સમિતિની જાહેરાત કરી.
કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું
આસનસોલના ગોધુલી વિસ્તારમાં ટીએમસીના એક કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે, જ્યારે હાવડાના ડુમુરજલામાં પણ એક કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. ટોલીગંજ, કસ્બા, બરુઈપુર, કામરહાટી, બારાનગર, હાવડા અને બહેરામપુરમાં ટીએમસી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
બીરભૂમ (ટીએમસી સમર્થકો), ન્યુટાઉન (ભાજપ સમર્થકો) અને અન્ય બે સ્થળોએ કાર્યકરોની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે.
BJP-TMC કાર્યકરોની હત્યા
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે કોલકાતાના ન્યુ ટાઉન વિસ્તારમાં વિજય સરઘસ દરમિયાન ટીએમસી કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યા બાદ ભાજપ કાર્યકર મધુ મંડલનું મૃત્યુ થયું હતું. બીરભૂમના નાનૂરમાં ભાજપ કાર્યકર દ્વારા ટીએમસી કાર્યકર અબીર શેખ પર કથિત રીતે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી.
- સંદેશખાલી: નજત પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સરબેરિયા-અગરહાટી ગ્રામ પંચાયતના બામનઘેરી વિસ્તાર (વોર્ડ નં. 14)માં ગઈકાલે મોડી રાત્રે રાજકીય તણાવ ફાટી નીકળ્યો હતો. કેન્દ્રીય સુરક્ષા દળો સાથે પોલીસ ટીમ જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગઈ હતી, ત્યારે કેટલાક બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ છે.
- આસનસોલ: પશ્ચિમ બર્ધમાનમાં આસનસોલના કોર્ટ મોર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યાલયમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
બંગાળમાં ભાજપનો જંગી વિજય
પશ્ચિમ બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. પહેલી વાર તે અહીં સરકાર બનાવી રહી છે. 9 મેના રોજ નવી સરકાર શપથ લેશે. ભાજપે 207 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો, જ્યારે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ. મમતા બેનર્જી પોતાની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગયા. ભવાનીપુરમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. સુવેન્દુએ તેમને 15,114 મતોથી હરાવ્યા.
