Breaking News: ભર ઉનાળે ત્રાટક્યો આકાશી કહેર! ઉત્તર પ્રદેશમાં વરસાદ-કરાથી 18નાં મોત
ઉત્તર પ્રદેશમાં ઉનાળાની વચ્ચે અચાનક આવેલા વાવાઝોડા, ભારે વરસાદ અને કરાએ 18 લોકોના જીવ લીધા છે, જ્યારે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે.

ઉત્તર પ્રદેશમાં ઉનાળાની કડકડતી ગરમી વચ્ચે અચાનક બદલાયેલા હવામાનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે. બુધવારે સાંજથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને જોતજોતામાં જોરદાર પવન, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને કરા પડવાની શરૂઆત થઈ હતી. સામાન્ય રીતે ઉનાળામાં આવી પરિસ્થિતિ ઓછી જોવા મળે છે, પરંતુ આ વખતે હવામાનના આકસ્મિક બદલાવએ લોકો માટે આફતનું સ્વરૂપ ધારણ કર્યું.
ઉત્તર પ્રદેશના કયા જિલ્લા થાય પ્રભાવિત?
અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. અનેક લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના પ્રયાગરાજ, વારાણસી, લખનૌ, સુલ્તાનપુર, અમેઠી, અયોધ્યા સહિત 30થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવનનો પ્રકોપ જોવા મળ્યો હતો. ઘણા વિસ્તારોમાં કરા પડવાથી ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
60 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાયો પવન
સુલ્તાનપુર જિલ્લામાં પવનની ઝડપ આશરે 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી પડ્યા હતા અને વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર આવેલ ટોલ પ્લાઝાની છત ઉડી જવાની ઘટના આ તોફાનની તીવ્રતા દર્શાવે છે. આ જ જિલ્લામાં 7 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે.
અમેઠી અને અયોધ્યામાં પણ વરસાદ અને ધૂળભરી આંધીએ ભારે તબાહી મચાવી હતી. અહીં ઘરોના છાપરાં ઉડી ગયા, હોર્ડિંગ્સ તૂટી પડ્યા અને રસ્તાઓ અવરોધિત થઈ ગયા. બંને જિલ્લાઓમાં 3-3 લોકોના મોત નોંધાયા છે. તે ઉપરાંત પ્રયાગરાજ અને ગાઝીપુર જિલ્લામાં પણ એક-એક વ્યક્તિના મૃત્યુ થયાના અહેવાલો મળ્યા છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર
હવામાન વિભાગના નિષ્ણાતો મુજબ, બંગાળની ખાડીમાંથી આવતાં ભેજયુક્ત પવનો અને પશ્ચિમ તરફથી આવતી ઠંડી હવાના મિલનથી આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સંયોગને કારણે વાતાવરણ અસ્થિર બન્યું અને તોફાની પરિસ્થિતિ ઉભી થઈ. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં પણ આવી જ પરિસ્થિતિ રહી શકે છે.
58 જિલ્લાઓ માટે એલર્ટ
તેના આધારે રાજ્યના પૂર્વાંચલ, અવધ, બુંદેલખંડ અને બ્રજ વિસ્તારના કુલ 58 જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી પડવાની અને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા, ખુલ્લા મેદાનોમાં ઉભા ન રહેવા અને સલામત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત લોકોને સહાય પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ કુદરતી આફતને પગલે રાજ્યમાં ચિંતા અને ભયનું વાતાવરણ ફેલાયું છે, જ્યારે લોકો આગામી દિવસોમાં હવામાન કેવી રીતે વળાંક લેશે તેની રાહ જોઈ રહ્યા છે.
30 એપ્રિલના મહત્વના સમાચાર : પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં 91.62 જેટલુ મતદાન, તો એક્ઝિટ પોલમાં આસામમાં NDAને મળી શકે છે 100 જેટલી બેઠકો
