Breaking News : અદાણી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયર દોષિત, કોર્ટે ફટકારી 1 વર્ષની જેલ અને દંડ
અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) એ દાવો કર્યો હતો કે રવિ નાયરે અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો ધરાવતા અનેક ટ્વીટ્સ પ્રકાશિત અને પ્રસારિત કર્યા હતા.

ગાંધીનગરના માણસા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટે, પત્રકાર રવિ નાયરને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને દંડ સાથે એક વર્ષની કેદની સજા ફટકારી છે.
આ કેસ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ ઉભો થયો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રવિ નાયરે AEL અને અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો ધરાવતી શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પ્રકાશિત અને પ્રસારિત કરી હતી. સોશિયલ મીડિયામાં બદનક્ષી ભરેલ સમાચાર વહેતા કરવાને કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.
AEL એ દલીલ કરી હતી કે વાંધાજનક ટ્વીટ્સ વાજબી ટિપ્પણી કે કાયદેસર ટીકા સમાન નથી, પરંતુ તેનો હેતુ જનતા અને રોકાણકારોની નજરમાં કંપનીની વિશ્વસનીયતાને નબળી પાડવાનો હતો.
સંપૂર્ણ સુનાવણી પછી, કોર્ટે ચુકાદો આપ્યો કે, AEL એ પોતાનો કેસ સફળતાપૂર્વક સાબિત કર્યો છે અને રવિ નાયરને ફોજદારી માનહાનિનો દોષી ઠેરવ્યો છે. કોર્ટે રવિ નાયરને દોષિત ઠેરવ્યા અને તેમને એક વર્ષની જેલ અને દંડની સજા ફટકારી.
માણસા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટે ફટકારેલી સજા અંગે વધુ માહિતી માટે રવિ નાયરનો તાત્કાલિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો તેમ પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
