“પહેલી વાત તો એ કે રેગિંગ થયુ જ નથી..” સુરત નવી સિવિલમાં આપઘાત કેસમાં જવાબદાર અનુજ મહેશ્વરીનો દાવો
સુરત નવી સિવિલમાં આપઘાત કેસમાં જવાબદાર ડૉ. અનુજ મહેશ્વરીએ દાવો કર્યો છે કે તેમના દ્વારા કે તેમના સહસાથીઓ દ્વારા જુનિયર સાથે રેગિંગ કરાયુ જ નથી. રેગિંગ જેવી કોઈ ઘટના બની જ નથી.

સુરતની નવી સિવિલમાં ડૉ હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં જવાબદાર 4 સિનિયર ડૉક્ટર પૈકી ડૉ અનુજ મહેશ્વરીનું આજ 14 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યુ છે. ખટોદરા પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવવા માટે આવેલા ડૉ અનુજ મહેશ્વરી પર ડૉ હર્ષ પંડ્યાનું રેગિંગ કરવાનો આરોપ છે. ત્યારે નિવેદનની કાર્યવાહી દરમિયાન ડૉ અનુજ મહેશ્વરીએ જણાવ્યુ કે સૌથી પહેલા તો આમાંથી રેગિંગ શબ્દ જ કાઢી નાખવો જોઈએ. રેગિંગ જેવી કોઈ ઘટના બની જ નથી. માત્ર જુનિયરને ઈન્સ્ટ્રક્શન આપવાને રેગિંગ ન કહી શકાય. ડૉ હર્ષ પંડ્યાનો આપઘાત એ અત્યંત શોકિંગ છે અને તેની પાછળ અને કારણો જવાબદાર હોઈ શકે. માત્ર રેગિંગ જ નહીં તમામ પાસાની તપાસ થવી જોઈએ, અમારે જુનિયર્સ સાથે માત્ર કામ બાબતે જ વાતચીત થતી હતી. અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે. સત્ય સામે આવશે.
અનુજ મહેશ્વરીએ તેના નિવેદનમાં દાવો કર્યો કે રેગિંગ થયુ જ નથી ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે
- જો રેગિંગ કરાયુ નથી. માનસિક રીતે ત્રાસ આપવાની કોઈ ઘટના બની જ નથી તો કોઈ આશાસ્પદ યુવક શા માટે મોતને વ્હાલુ કરી લે? બીજી તરફ ન માત્ર જુનિયર રેસિડેન્ટ ડૉ હર્ષ પંડ્યા પરંતુ અન્ય 7 થી 8 જુનિયર તબીબોએ પણ સિનિયર્સ દ્વારા રેગિંગ થતુ હોવાના આક્ષેપ કરી રહ્યા છે.
- સતત 15 કલાકની થકવી દેનારી ડ્યુટી બાદ શા માટે ડૉ હર્ષ પંડ્યાને એક રૂમમાં ગોંધી રાખવામાં આવ્યા હતા? એવી તો શું ઈન્સ્ટ્રક્શન આપવા માટે માત્ર એક જુનિયર તબીબને ચાર સિનિયર ડૉક્ટર દ્વારા ગોંધી રખાયા હતા. આ આરોપ ખુદ ડૉ હર્ષ પંડ્યાના પરિજનો અને તેની સાથેના અન્ય જુનિયર રેસિડેન્ટ લગાવી ચુક્યા છે.
- જો રેગિંગ જેવી કોઈ ઘટના બની જ નથી તો એન્ટી રેગિંગ કમિટીએ પોલીસને અને ડીનને સોંપેલા તેના રિપોર્ટની અંદર શું વિગતો છે?
- જો રેગિંગ નથી થયુ તો કેમ આજ સુધી સિવિલ દ્વારા એ દિવસના સીસીટીવી ફુટેજ જારી કરવામાં નથી આવ્યા?
- જો રેગિંગ નથી થયુ તો એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટ બાદ ક્યા બેઝ પર ચારેય ડૉક્ટર સામે FIR નોંધવામાં આવી? એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં પણ ચારેય સિનિયર ડૉક્ટરના નામનો ઉલ્લેખ કરાયો છે.
જુઓ વીડિયો
સિનિયર્સ સામે શું છે આરોપ?
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસીડન્ટ ડૉક્ટરે સિનિયર ડૉક્ટરોના ટોર્ચરથી કંટાળી જઈ આપઘાત કરી લીધો છે. સમગ્ર કેસમાં સિનિયર ડૉ. દીક્ષિતા ઘેવરિયા મુખ્ય સૂત્રધાર હોવાનો ખુલાસો થયો છે. સિનિયર તબીબો અમાનવીય વર્તન કરતા હોવાનો અને “અમે તમારા બોસ, તમે અમારા નોકર” કહી પરેશાન કરતા હોવાનો આરોપ પણ અન્ય જુનિયર રેસિડેન્ટ્સ દ્વારા લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા પાછળ જવાબદાર ચારેય તબીબ સામે રેગીંગ ના નામે ટોર્ચર કરવા બાબતે પહેલી ફરિયાદ નોંધાઈ છે અને એડી ઉપરથી બીજી ફરિયાદ નોંધાઈ તેવી પણ શક્યતા છે. ખટોદરા પોલીસે ચારેય રેસિડેન્ટ ડૉક્ટર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જુનિયર્સ પર સતત મૌખિક અને માનસિક અત્યાચાર ગુજારાતો
10 જુનિયર તબીબોને માનસિક ત્રાસ અપાતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. આપઘાતના બે દિવસ પહેલા જ HoDને આ બાબતે રજૂઆત કરાઈ હતી. છતાં કોઈ જ કડક પગલાં ન લેવાયાનો પણ ઘટસ્ફોટ થયો છે. આપઘાત કરનાર ડૉ. હર્ષ પંડ્યા ₹40 લાખના કડક બોન્ડમાં હતા. અસહ્ય માનસિક ત્રાસ હોવા છતાં બોન્ડને લીધે ડિપાર્ટમેન્ટ છોડી શકતા ન હતા. ઘટનાના 24 કલાક બાદ પણ હોસ્ટેલ અને વિભાગના CCTV સર્વર બંધ હાલતમાં જ હતા. સિવિલની એન્ટિ-રેગિંગ કમિટી માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યા છે. સુરત નવી સિવિલ કેમ્પસમાં છેલ્લા 7 વર્ષમાં 4 રેસિડેન્ટ ડૉક્ટર આપઘાત કરી ચુક્યા છે.
Input Credit- Baldev Suthar Surat
