ઉત્તરાખંડમાં મારા કાર્યક્રમ સ્થળે ભાજપે શુદ્ધિયજ્ઞ કર્યો, ખરગેના દાવાને જે પી નડ્ડાએ નકારતા કહ્યુ- ભાજપ પણ નિંદા કરે છે, અમે તેમા નહોતા
ગુરુવારે રાજ્યસભામાં ખડગેના તેમના મંચના "શુદ્ધિ યજ્ઞ" અંગેના નિવેદન પર ભારે હોબાળો થયો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ભાજપના સભ્યોએ ઉત્તરાખંડમાં તેમણે જે મંચનો ઉપયોગ કર્યો હતો તેને "શુદ્ધ" કરવા માટે શુદ્ધિયજ્ઞ યોજયો હતો. નડ્ડાએ આવા દાવાને ખોટો ગણાવીને કહ્યું કે, ભાજપ આમાં નહોતું. અમે પણ આવા કાર્યક્રમની નિંદા કરીએ છીએ.

આજે સંસદના ચોમાસા સત્રનો અંતિમ દિવસ હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ચમમક જરી હતી. ખડગેએ આરોપ લગાવ્યો કે ઉત્તરાખંડમાં તેમના મંચને ભાજપના સભ્યો દ્વારા “શુદ્ધ” કરવા માટે શુદ્ધિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિવેદન સામે ગૃહના નેતા જેપી નડ્ડા ગુસ્સે થયા હતા. જેમણે કહ્યું કે આ મામલો ગંભીર છે અને ભાજપ આવી કાર્યવાહીને સમર્થન આપતું નથી. આવા કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો જોડાયા નહોતા.
ખડગેનું સંપૂર્ણ નિવેદન
ખડગેએ કહ્યું, “હું હલ્દવાનીમાં હતો, જ્યાં મેં રામલીલા મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. લાખો લોકો હાજર હતા. તે સમયે, મેં કોઈ સમુદાય કે ધર્મનું નામ લીધું ન હતું. મેં ફક્ત સરકાર સંબંધિત મુદ્દાઓનો પુનરાવર્તન કર્યું હતું. જોકે, મારા ભાષણ પછી, ભાજપના સભ્યોએ સ્ટેજને ‘શુદ્ધ’ કરવા માટે હવન કર્યો. શું લોકશાહીમાં આવું થાય છે ? તમે બંધારણનું રક્ષણ કેવી રીતે કરી રહ્યા છો ? હું વિરોધ પક્ષનો નેતા છું.” ખડગેએ ઉમેર્યું, “મેં ક્યારેય મારી જાતને પીડિત તરીકે જોયું નથી. મેં ક્યારેય દલિત કાર્ડ રમીને સહાનુભૂતિ માંગી નથી. હું આને રાજકીય મુદ્દામાં ફેરવવા માંગતો નથી.”
જે પી નડ્ડાની પ્રતિક્રિયા
ખડગેના નિવેદનનો જવાબ આપતા, જેપી નડ્ડાએ કહ્યું કે, ખડગે દ્વારા એવો દાવો કરવો ખોટો છે કે ભાજપ આવી પ્રથાઓમાં સામેલ છે. “હું આવા કૃત્યોની નિંદા કરું છું. ભાજપ આવા વર્તનને સમર્થન આપતું નથી. અમે આરોપોની તપાસ કરીશું. જો ખરેખર આવું થયું હોય, તો કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે તેની તપાસ કરીશું.”
8 ઓગસ્ટે હતો કાર્યક્રમ
ગત 8 ઓગસ્ટના રોજ હલ્દવાનીમાં ખડગેની રેલી યોજાઈ હતી. બે દિવસ પછી, 10 ઓગસ્ટના રોજ, ‘શ્રી રામ સેના ધર્માર્થ સેવા ન્યાસ સંગઠન’ સાથે સંકળાયેલા વ્યક્તિઓએ તેમને “શુદ્ધ” કરવા માટે જમીન અને સ્ટેજ પર ગંગાજળ છાંટ્યું. તેઓએ સ્થળ પર હવન પણ કર્યો. કોંગ્રેસે આની સખત નિંદા કરી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે આ એક ક્ષુદ્ર માનસિકતા અને અસ્પૃશ્યતાની ભાવના દર્શાવે છે, કારણ કે ખડગે દલિત સમુદાયના છે. ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે ગૃહમાં હોબાળો થયો હતો.
