Badrinath Dham: વૈદિક મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની ધૂન સાથે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ, હજારો શ્રદ્ધાળુઓ પહોંચ્યા દર્શનાર્થે
કપાટ ખુલતા પહેલા હજારો ભક્તો બદ્રીનાથ ( Badrinath) પહોંચી ગયા છે. બે વર્ષ બાદ બાબા બદ્રીનાથનું ધામ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. અહીં એક દિવસમાં 15 હજાર ભક્તો બદ્રીનાથના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઉત્તરાખંડમાં (Uttarakhand) આજે બ્રહ્મ મુહૂર્ત પર ભગવાન બદ્રી વિશાલના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. અગાઉ કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા છે. બદ્રીનાથના ( Badrinath) દરવાજા ખુલ્યા બાદ હવે યાત્રાળુઓ રાજ્યના ચાર ધામના (Char Dham) દર્શન કરી શકશે. મળતી માહિતી મુજબ, દરવાજા ખુલ્યા પહેલા હજારો શ્રદ્ધાળુઓ બદ્રીનાથ પહોંચી ગયા છે. આ સાથે યાત્રાળુઓ આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા છે અને જ્યાંથી તેઓ આજે ભગવાન બદ્રી વિશાલના દર્શન કરશે.
બદ્રીનાથ મંદિરના દરવાજા આજે બ્રહ્મ મુહૂર્ત પર સવારે 6:15 વાગ્યે ખોલવામાં આવ્યા હતા અને આગામી છ મહિના સુધી ભક્તો મંદિરમાં ભગવાન બદ્રીનાથના દર્શન કરી શકશે. આજે આ પવિત્ર અવસરને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બદ્રીનાથ પહોંચ્યા છે. આજે સવારે બદ્રીનાથ મંદિરના દરવાજા ખુલતાની સાથે જ ધામ જય બદ્રીનાથના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું અને સૌથી પહેલા ધામમાં પીએમ નરેન્દ્ર મોદી વતી પૂજા અને મહાભિષેક કરવામાં આવ્યા હતા. આ સાથે તેમના વતી વિશ્વ કલ્યાણ અને સ્વાસ્થ્યની ભાવનાથી પૂજા અને મહાભિષેક કરવામાં આવ્યો હતો.
બદ્રીનાથ ધામમાં દરરોજ 15 હજાર ભક્તો બદ્રીનાથના દર્શન કરી શકશે. શિવભક્તો માટે તમામ તૈયારી પૂર્ણ કરી લેવાઈ છે. બદ્રીનાથમાં શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવા માટેની પુરતી વ્યવસ્થા કરાઈ છે. ગત બે વર્ષમાં કોરોનાના કારણે યાત્રામાં મુશ્કેલી પડી હતી. આ વર્ષે યાત્રાળુઓ માટે કોરોનાની કોઈ ગાઈડલાઈન ફરજિયાત નથી રખાઈ, પરંતુ તમામ ભક્તોને માસ્ક પહેરવા સૂચન કરાયું છે. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
શનિવારે પહોંચી હતી કળશ યાત્રા
શનિવારે, પાંડુકેશ્વરના યોગ ધ્યાન બદ્રી મંદિરથી, બદ્રીનાથના રાવલ (મુખ્ય પૂજારી), ઈશ્વરી પ્રસાદ નંબૂદિરી, નાયબ રાવલ શંકરન નંબૂદિરી, ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ અને બદ્રીનાથના વેદપતિ આચાર્ય બ્રાહ્મણોની આગેવાની હેઠળ ભગવાન ઉદ્ધવજીની ડોલી અને આદિ ગુરુ શંકરાચાર્યની ગાદી અને તેલ કળશ યાત્રા બદ્રીનાથ ધામ પહોંચી હતી.
કુબેરજીની ડોલી બદ્રીનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી
કુબેરજીની ડોલી રાત્રી રોકાણ માટે બામણી ગામ પહોંચી હતી અને કુબેરજીની ડોલી રવિવારે સવારે 5 વાગે બદ્રીનાથ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી હતી. હર્ષોલ્લાસ સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.