Breaking News: ‘ઓપરેશન સિંદૂર’ થી રામ મંદિર સુધી, વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રા બન્યા પ્રથમ CEO
અયોધ્યાના ભવ્ય રામ મંદિર પરિસરમાં સુરક્ષા અને સંચાલનને વધુ મજબૂત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિરના પ્રથમ પૂર્ણકાલિક CEO તરીકે નિયુક્ત કર્યા છે.

અયોધ્યાના ભવ્ય રામ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ અને ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાને રામ મંદિરના પ્રથમ પૂર્ણકાલિક મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તરીકે નિયુક્ત કર્યા છે.
આ સાથે જ ટ્રસ્ટમાં ત્રણ નવા સભ્યોને પણ જોડવામાં આવ્યા છે. બુધવારે યોજાયેલી ટ્રસ્ટની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. CEO પદ માટે દેશભરમાંથી 5,585 થી વધુ અરજીઓ મળી હતી. પસંદગી પ્રક્રિયા બાદ અંતે પસંદ કરાયેલા ત્રણ ટોચના દાવેદારોમાંથી એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર સંમતિ બની હતી.
‘ઓપરેશન સિંદૂર’ માં અગત્યની ભૂમિકા ભજવી
બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ, સ્વામી કમલનયન દાસ, વચગાળાના મહાસચિવ ડૉ. કૃષ્ણ મોહન, ટ્રસ્ટી મહંત દીનેન્દ્ર દાસ અને કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી સહિતના પ્રમુખ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે, જિતેન્દ્ર મિશ્રાએ ‘ઓપરેશન સિંદૂર’ માં અગત્યની ભૂમિકા ભજવી હતી. મળતી માહિતી મુજબ, ટાઇગર હિલ અને ‘ઓપરેશન સફેદ સાગર’ દરમિયાન તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
કોણ છે જિતેન્દ્ર મિશ્રા?
6 ડિસેમ્બર 1986 ના રોજ ભારતીય વાયુસેનાની ફાઇટર સ્ટ્રીમમાં કમિશન મેળવનારા જિતેન્દ્ર મિશ્રા પાસે લગભગ 40 વર્ષની લાંબી અને નિષ્કલંક લશ્કરી કારકિર્દી છે. તેઓ 1 જાન્યુઆરી 2025 ના રોજ વાયુસેનાની પશ્ચિમી વાયુ કમાન (Western Air Command) ના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચિફ બન્યા હતા અને 30 એપ્રિલ 2026ના રોજ આ પદ પરથી નિવૃત્ત થયા હતા.
3,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ
તેમની પાસે 3,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે અને તેઓ એક કુશળ ફાઇટર કોમ્બેટ લીડર તેમજ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઇલટ રહ્યા છે. પોતાની કારકિર્દી દરમિયાન તેમણે 18 થી વધુ પ્રકારના લડાયક વિમાનો, પરિવહન વિમાનો અને હેલિકોપ્ટર ઉડાવ્યા છે.
લશ્કરી કારકિર્દી દરમિયાન તેમણે માત્ર વિમાન જ નથી ઉડાવ્યા પરંતુ વ્યુહાત્મક આયોજન (Strategic Planning) અને કમાન વ્યવસ્થાપનની મોટી જવાબદારીઓ પણ નિભાવી છે. શિસ્ત, સુરક્ષા અનુભવ અને વહીવટી ક્ષમતાને ધ્યાનમાં રાખીને જ તેમને રામ મંદિરની કમાન સોંપવામાં આવી છે.
