મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં તહેનાત તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂજાની તાલીમ તાત્કાલીક અસરથી રદ કરી દેવામાં આવી છે. પૂજા ખેડકરને મસૂરી એકેડમીમાં પાછા બોલાવવામાં આવ્યા છે. 23મી જુલાઈ સુધીમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે. લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (ઉત્તરાખંડ) એ મહારાષ્ટ્રમાંથી પૂજાનો તાલીમ કાર્યક્રમ રદ કર્યો છે. એકેડમીએ મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને આ અંગેનો પત્ર લખીને જાણ કરી છે.
નાયબ નિયામક એસ. નેવલ દ્વારા મહારાષ્ટ્ર સરકારના મુખ્ય સચિવને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે IAS-2023 બેચની પૂજા ખેડકરની ટ્રેનિંગ રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગળની જરૂરી કાર્યવાહી માટે તેને તાત્કાલિક એકેડેમીમાં બોલાવવામાં આવે છે. રાજ્ય સરકારે પ્રોબેશનરને તાત્કાલિક મુક્ત કરવા વિનંતી છે. પૂજા ખેડકરને બને એટલી વહેલી તકે એકેડમીમાં પાછા જોડાવવા માટે સલાહ આપવામાં આવી છે.
એક અધિકારીએ મંગળવારે કહ્યું કે પુણે પોલીસ પૂજા ખેડકર દ્વારા આપવામાં આવેલા મેડિકલ સર્ટિફિકેટની સત્યતાની તપાસ કરવામાં આવશે. 2023 બેચના અધિકારી ખેડકરે યુપીએસસીને અનેક મેડિકલ સર્ટિફિકેટ આપ્યા હતા. આમાંનું એક સર્ટિફિકેટ વિકલાંગતાનું છે.
પૂજા ખેડકર ઉપર એવો આરોપ છે કે 34 વર્ષની પૂજા ખેડકરે નોકરી મેળવવા માટે અયોગ્ય ફાયદો ઉઠાવ્યો છે અને તેણે પોતાને વિકલાંગ અને અન્ય પછાત વર્ગની હોવાનું જણાવ્યું હતું. વિકલાંગ વ્યક્તિઓ માટેના મુખ્ય કમિશનરના કાર્યાલયે આ પ્રમાણપત્રોની તપાસ કરવા માટે પુણે પોલીસ અને જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે. પૂજા ખેડકર પર તેમની પોસ્ટિંગ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે.