Breaking News : ફરી તૂટવાના આરે NCP-SP પાર્ટી! શું શરદ પવાર NDAમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે?
શરદ પવારનો પક્ષ ફરી એકવાર વિભાજનના આરે છે. પક્ષની અંદર એક જૂથ કેન્દ્ર સરકારને સાથ આપવાની માંગ કરી રહ્યું છે. દરમિયાન શરદ પવારે NDAને સમર્થન આપવાની નીતિ અપનાવી છે.

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. સૂત્રો અનુસાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) આ ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકારના બે સૌથી મહત્વપૂર્ણ બિલોના પક્ષમાં મતદાન કરી શકે છે. મહિલા અનામત બિલ અને પરિસીમન (Delimitation) બિલના પક્ષમાં મતદાન કરી શકે છે તેવી શક્યતા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ ચંદ્ર પવાર) પાસે કુલ આઠ લોકસભા સાંસદ છે. હાલમાં, શરદ પવારની પાર્ટી NDAનો ભાગ નથી. હકીકતમાં શરદ પવાર જૂથની અંદર એક જૂથ સરકારનો સાથ આપવાની માંગ કરી રહ્યું છે.
શરદ પવારની પાર્ટીમાં ક્યારે-ક્યારે ભાગલા પડ્યા
મહારાષ્ટ્રના રાજકારણમાં અનુભવી નેતા શરદ પવારે તેમની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં(NCP)સૌથી મોટો ભાગલો 2 જુલાઈ, 2023ના રોજ થયો હતો. જ્યારે તેમના ભત્રીજા અજિત પવારે બળવો કર્યો હતો. અજિત પવાર, પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોને પોતાની સાથે લઈને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા હતા. આ ભાગલા પછી, ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક એનસીપી તરીકે માન્યતા આપી અને તેમને પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક (ઘડિયાળ) આપ્યું. આ પછી, શરદ પવારના નેતૃત્વ હેઠળના જૂથને એક નવી ઓળખ અપનાવવી પડી. જે હવે NCP-SP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર) તરીકે ઓળખાય છે અને એક નવું ચૂંટણી ચિહ્ન તૂરાઈ વગાડતો માણસ આપવામાં આવ્યું.
2019માં પડવાના હતા NCPમાં ભાગલા
અગાઉ નવેમ્બર 2019માં, અજિત પવારે અચાનક સવારે દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. જોકે, તે સમયે શરદ પવારે લગભગ 80 કલાકમાં પરિસ્થિતિ સંભાળી લીધી હતી. વધુ પાછળ જઈએ તો, સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે કોંગ્રેસથી અલગ થયા પછી શરદ પવારે પોતે 1999માં NCPની સ્થાપના કરી હતી. જો કે 2023માં થયેલા આ મોટા વિભાજનથી મૂળ NCP બે જૂથોમાં વિભાજીત થઈ ગયું. જેના પરિણામે શરદ પવારનો પક્ષ NCP-SP બન્યો. તે જ સમયે આ વર્ષે જાન્યુઆરી 2026માં અજિત પવારનું અચાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
ઉદ્ધવ ઠાકરેના (Shivsena UBT) પાર્ટીમાં પણ જોવા મળ્યા ભાગલા
અગાઉ, ઉદ્ધવ ઠાકરેના શિવસેના-યુબીટીમાં (Shivsena UBT) ભાગલા જોવા મળ્યા હતા. હવે, શરદ પવારના એનસીપી-એસપીમાં (NCP – SP) ભાગલા પડવાના સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં, ઉદ્ધવ ઠાકરેના પક્ષના છ સાંસદો એકનાથ શિંદેના જૂથમાં જોડાયા હતા. આ પછી, હવે શરદ પવારના પક્ષના ધારાસભ્યો અને સાંસદો પણ પક્ષ બદલી શકે છે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
