IAS પૂજા ખેડકરઃ તાલિમાર્થી નોકરીમાં હોવા છતા, VIP નંબરની ઓડી પર લગાવી લાલ લાઈટ, નોકરી માટે બોગસ પ્રમાણપત્રનો પણ છે આક્ષેપ
મહારાષ્ટ્ર કેડરની IAS ઓફિસર પૂજા ખેડકરે UPSCમાં 821મો રેન્ક મેળવ્યો હતો. નોકરીમાં પ્રોબેશન સમય દરમિયાન પૂજા પર હોદ્દાનો દુરુપયોગ કરવાનો આરોપ લાગેલો છે. પૂજા ખેડકરનો વિવાદ વકરતા તેની પુણેથી વાશિમ ખાતે બદલી કરી દેવામાં આવી છે. જાણો શા માટે IAS પૂજા ખેડકર છે વિવાદમાં ?
મહારાષ્ટ્ર કેડરની IAS ઓફિસર પૂજા ખેડકર હાલમાં સમાચારની સુર્ખિયોમાં ચમકી રહી છે. સનદી અધિકારી તરીકેના હોદ્દાના દુરુપયોગને કારણે, મહારાષ્ટ્ર સરકારે પૂજા ખેડકરની પુણેથી વાશિમ ખાતે બદલી કરી નાખી છે. આ તાલીમાર્થી સનદી અધિકારીએ પ્રોબેશનના સમય દરમિયાન ત્રાહિમામ પોકરાવી દીધો હતો. પ્રોબેશન દરમિયાન જ તેણે ઓડીકાર ઉપર VIP નંબર લગાવ્યો હતો. ઘર અને કારની પણ માંગણી કરી હતી. જે તેને મળી ના હતી. આ સિવાય પૂજાએ, પુણેમાં અલાયદી ઓફિસ અને અલગથી સ્ટાફની પણ માંગણી કરી હતી.
પૂજા ખેડકર પુણેમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે પ્રોબેશન પર હતી. એવું કહેવાય છે કે, પૂજા ખેડકરે, નોકરીના પ્રોબેશન દરમિયાન જ એડિશનલ કલેકટરની ઓફિસ પર કબજો જમાવી દીધો હતો. પ્રોબેશન દરમિયાન પૂજા ખેડકર એવી વસ્તુઓની માંગ કરતી હતી જે તેને પ્રોબેશન દરમિયાન મળી શકે નહીં. આ સિવાય પૂજા પર હોદ્દાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લાગેલો છે. ચાલો જાણીએ IAS ઓફિસર પૂજા ખેડકર શા માટે સમાચારમાં છે?
વિવાદ બાદ પૂજાની ટ્રાન્સફર
મહારાષ્ટ્ર કેડરની IAS ઓફિસર પૂજાએ UPSCમાં 821મો રેન્ક મેળવ્યો હતો. પૂજા ખેડકરને લઈને વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે તેણે તેની ખાનગી ઓડી કાર ઉપર લાલ-વાદળી લાઇટ લગાવી. એટલુ જ નહીં, પ્રોબેશન દરમિયાન તેણે તેની ઓડી કાર ઉપર મહારાષ્ટ્ર સરકાર પણ લખાવી દીધું. નોકરીમાં જોડાયા બાદ, પ્રોબેશન સમયગાળા દરમિયાન પૂજાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું અને વિવિધ માંગણીઓ કરવા લાગી, જે એક ટ્રેઇની IAS ઓફિસરને આપવા માટે શક્ય નથી. આ પછી પૂજાની માંગણીઓ વધતા અને વિવાદ વકરતા તેની પુણેથી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં બદલી કરી નાખવામાં આવી હતી.
IAS પૂજા ખેડકર પર આ આરોપો લગાવવામાં આવ્યા હતા
IAS ઓફિસર પૂજા ખેડકર પર નકલી પ્રમાણપત્ર દ્વારા નોકરી મેળવવાનો આરોપ છે. તેમની સામે આરોપ છે કે તેણે અનામત મેળવવા માટે બોગસ પછાતવર્ગના વિકલાંગ હોવાનું પ્રમાણપત્ર બનાવ્યું હતું. સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા માટે પૂજાએ નકલી વિકલાંગતા અને OBC પ્રમાણપત્રો સબમિટ કર્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે પૂજા ખેડકરે OBC અને દૃષ્ટિહીન વર્ગો હેઠળ સિવિલ સર્વિસિસની પરીક્ષા આપી હતી.
પૂજા ખેડકરે માનસિક બીમારીનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું હતું. તેને વિકલાંગતા પ્રમાણપત્રની ચકાસણી માટે એઈમ્સ દિલ્હી જવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે કોરોનાનુ બહાનું કાઢીને તેમ કર્યું ના હતું. પૂજાના પિતા બાબાસાહેબ આંબેડકરના પૌત્રની પાર્ટીના નેતા છે. તેમણે ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરેલ એફિડેવિટમાં રૂપિયા 40 કરોડ રૂપિયાની આવક દર્શાવી હતી.