વેક્સિન બાદ વળતર માટે લાઈન : આ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થયેલા લોકોના વળતર માટે લાગી લાંબી લાઈન
રાજ્યમાં અત્યાર સુધીમાં 1.10 લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે. તેમાંથી 1.01 લાખ લોકોને વળતર મળી ચૂક્યુ છે. મળેલી અરજીઓ અનુસાર લગભગ 1.5 લાખ અરજીઓ સાચી હોવાનું જાણવા મળ્યુ છે.
Maharashtra : મહારાષ્ટ્ર સરકારે કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા(Corona Death) લોકોના પરિવારોને 50,000 રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી હતી. સરકારની (Maharashtra Government) આ જાહેરાત બાદ લોકોએ અરજીઓ મોકલવાનું શરૂ કર્યું હતુ, પરંતુ હવે આ અરજીઓ સરકાર માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે.
વળતર માટે 34 ટકા વધુ અરજીઓ આવી
રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે સરકાર પાસે વધુ અરજીઓ આવી રહી છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 50 હજારથી વધુ ખોટી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર હાલમાં એક લાખ 10 હજાર અરજીઓ મંજૂર કરવાની બાકી છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્ય સરકાર પાસે 18 જાન્યુઆરી સુધીમાં 2.17 લાખ અરજીઓ આવી છે, જે રાજ્યમાં મૃત્યુના કેસ કરતાં 34 ટકા વધુ છે.
1 લાખથી વધુ લોકોને વળતર મળ્યુ
રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જે અરજીઓ આવી છે તેમાંથી 30 ટકા અરજીઓ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યુ છે. અમને 2.17 લાખ અરજીઓ મળી છે, તેનો અર્થ એ નથી કે રાજ્યમાં કોરોનાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે કે લોકો વળતરની રકમ મેળવવા માટે ખોટી અરજીઓ મોકલી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 1.10 લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે. તેમાંથી 1.01 લાખ લોકોને વળતર મળી ચૂક્યું છે. અત્યાર સુધી મળેલી અરજીઓ અનુસાર લગભગ 1.5 લાખ અરજીઓ સાચી હોવાનું જાણવા મળે છે.
ઓમિક્રોનના આટલા કેસ નોંધાયા
ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 37 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. રાજ્યમાં હાલ 2,58,569 સક્રિય કેસ છે. જો કે કોરોના કેસ વચ્ચે રાહતના સમાચાર એ છે કે 24 કલાકમાં 52,025 દર્દીઓ કોરોના સંક્રમણમાંથી સાજા પણ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સાથે ઓમિક્રોનનો ખતરો પણ ઘટી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોન સંક્રમિત 125 દર્દીઓ સામે આવ્યા છે.