શું એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ કોઈને કચડી નાખે તો સજા નથી થતી? જાણો બાળપણમાં સાંભળેલી આ વાતમાં કેટલું છે સત્ય
બાળપણમાં આપણે વારંવાર સાંભળ્યું છે કે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડથી કોઈનું મૃત્યુ થાય તો ડ્રાઈવરને સજા નથી થતી. પરંતુ શું ખરેખર કાયદો તેમને 'લાપરવાહી' કરવાની છૂટ આપે છે? જાણો આ દાવાની સત્યતા અને અકસ્માત સમયે લાગુ પડતી કાયદાકીય કલમો વિશે.

એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી કટોકટીની સેવાઓ માટે કેટલીક છૂટછાટો આપવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ ક્યારે નથી કે તેમને લાપરવાહીથી વાહન ચલાવવાની મંજૂરી છે.
એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી સાત લોકોને કચડી નાખે તો પણ તેના ડ્રાઈવરને સજા થતી નથી – બાળપણમાં ઘણીવાર બાળકો વચ્ચે આવી વાતો થતી હતી. એવી માન્યતા હતી કે જો કોઈ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી ઈમરજન્સી સ્થિતિમાં જતી હોય અને તે દરમિયાન કોઈને ટક્કર લાગી જાય તો ડ્રાઈવર પર કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી. પરંતુ શું આ વાત સાચી છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.
શું આ વાત સાચી છે?
ભારતમાં જો એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ કોઈ વ્યક્તિને ટક્કર મારે છે, તો સ્થિતિ અને ઘટનાના પાસાઓ પર નિર્ભર કરે છે કે ડ્રાઈવરને કેટલી સજા મળશે. હકીકતમાં, ભારતીય કાયદા હેઠળ, તમામ વાહનોના ચાલકો – પછી તે કટોકટીની સેવાઓ સાથે જોડાયેલા હોય કે નહીં – તેમણે માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે.
જોકે, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાઓ માટે કેટલીક છૂટછાટો આપવામાં આવે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમને બેદરકારીથી વાહન ચલાવવાની પરવાનગી છે. એટલે કે, જો આ વાહનોના ડ્રાઈવરોની લાપરવાહીને કારણે કોઈનું મૃત્યુ થાય છે, તો તેમના પર કાર્યવાહી થશે જ.
કયા કાયદા હેઠળ કાર્યવાહી થશે?
જો કોઈ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડીના ચાલકની લાપરવાહીથી અથવા સાવચેતી વગર વાહન ચલાવવાથી કોઈનો જીવ જાય છે અથવા કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે, તો તેને ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 304A હેઠળ લાપરવાહીથી મૃત્યુ નિપજાવવાનો ગુનો ગણી શકાય છે. આ કલમ હેઠળ જો ડ્રાઈવર દોષિત સાબિત થાય તો તેને બે વર્ષની જેલ અથવા દંડ, અથવા બંને થઈ શકે છે.
આટલી છૂટ મળે છે
એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી ઇમરજન્સી સેવાવાળી ગાડીઓને ઘણી રીતે છૂટછાટ પણ મળે છે. જેમ કે-
- આ ગાડીઓ કટોકટીની સ્થિતિમાં રેડ લાઈટ તોડી શકે છે.
- જરૂરી હોય ત્યારે રોંગ સાઈડ (સામા પ્રવાહમાં) પણ ગાડી દોડાવી શકે છે.
- જો કોઈ વ્યક્તિ જાણીજોઈને આ ગાડીઓનો રસ્તો રોકે, તો તેના પર 10,000 રૂપિયાનો દંડ લાદવામાં આવી શકે છે.
- આ ઉપરાંત, રસ્તો રોકનાર વ્યક્તિને ઓછામાં ઓછી 6 મહિનાની જેલ પણ થઈ શકે છે.
