Lawyer અને Advocate વચ્ચે શું તફાવત છે ? કોર્ટમાં કેસ લડવાની મંજૂરી કોને હોય છે? જાણી લો બંને વચ્ચેનો મોટો તફાવત
શું દરેક વકીલ કોર્ટમાં કેસ લડી શકે છે? કાયદાકીય દુનિયામાં 'Lawyer અને Advocate' શબ્દો ભલે એક સમાન લાગતા હોય, પરંતુ તેમની જવાબદારીઓ અને અધિકારોમાં મોટું અંતર છે. જાણો વિગતે.

કાયદાકીય જગતમાં ‘લોયર’ (Lawyer) અને ‘એડવોકેટ’ (Advocate) શબ્દો અવારનવાર એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. મોટાભાગના લોકો માને છે કે બંને એક જ છે, પરંતુ કાયદાકીય દ્રષ્ટિએ તેમના રોલ અને જવાબદારીઓ અલગ-અલગ હોય છે. ચાલો સમજીએ કે આ બંને વચ્ચે શું તફાવત છે અને કાયદાકીય સલાહ કે કોર્ટમાં પ્રતિનિધિત્વ માટે તમારે કોનો સંપર્ક કરવો જોઈએ.
લોયર (Lawyer) કોણ હોય છે?
સામાન્ય રીતે ‘લોયર’ શબ્દ વકીલ માટે વપરાય છે. લોયર એવો પ્રોફેશનલ વ્યક્તિ છે જેણે કાયદાનો અભ્યાસ કર્યો છે અને બેચલર ઓફ લો (LLB) જેવી ડિગ્રી મેળવી છે. લોયર ક્લાયન્ટ્સને કાયદાકીય બાબતોમાં સલાહ આપી શકે છે અને દસ્તાવેજો તૈયાર કરી શકે છે. જોકે, માત્ર લોયર બનવાથી કોઈ વ્યક્તિ સીધી કોર્ટમાં જઈને કેસ લડી શકતી નથી. તેના માટે ‘બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા’ની પરીક્ષા પાસ કરવી અને લાયસન્સ લેવું ફરજિયાત છે.
એડવોકેટ (Advocate) કોણ હોય છે?
એડવોકેટ એટલે કે ‘અધિવક્તા’ એવા વ્યક્તિ છે જેમને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) તરફથી પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ મળી ગયું હોય. તેમણે બાર એક્ઝામ પાસ કરી હોય છે અને તેઓ સિવિલ, ક્રિમિનલ કે બંધારણીય કેસોમાં દલીલો કરી શકે છે. એડવોકેટનું કામ માત્ર સલાહ આપવાનું જ નહીં, પણ કોર્ટમાં ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરવાનું, કેસમાં દલીલો કરવાનું અને જજ સામે પુરાવા રજૂ કરવાનું હોય છે.
લોયર અને એડવોકેટ વચ્ચેના મુખ્ય તફાવત:
- મૂળભૂત તફાવત: દરેક એડવોકેટ વકીલ (Lawyer) હોય જ છે, પરંતુ દરેક વકીલ એડવોકેટ હોતા નથી.
- ડિગ્રી વિરુદ્ધ લાયસન્સ: લોયર પાસે માત્ર LLBની ડિગ્રી હોય છે, જ્યારે એડવોકેટ પાસે ડિગ્રીની સાથે બાર કાઉન્સિલનું લાયસન્સ પણ હોય છે.
- કોર્ટમાં હાજરી: લોયર માત્ર કાયદાકીય સલાહ આપી શકે છે કે ડ્રાફ્ટિંગ કરી શકે છે, જ્યારે એડવોકેટ કોર્ટમાં હાજર રહી કેસ લડવા માટે લાયક (Qualified) હોય છે.
- નોંધણી: એડવોકેટ બાર કાઉન્સિલમાં નોંધાયેલા હોય છે, જ્યારે કાયદાકીય સલાહકાર તરીકે કામ કરતા વકીલ માટે આવી નોંધણી કદાચ જરૂરી ન પણ હોય.
કોર્ટમાં કેસ કોણ લડી શકે?
કોર્ટમાં ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ માત્ર એ જ વકીલ કરી શકે છે જે બાર કાઉન્સિલમાં એડવોકેટ તરીકે નોંધાયેલા હોય. જે વકીલ પાસે સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ (COP) નથી, તેઓ સીધા કોર્ટમાં જઈને દલીલો કરી શકતા નથી. ત્યાં સુધી તેમની ભૂમિકા માત્ર કાયદાકીય સલાહકાર સુધી મર્યાદિત રહે છે.
લોયર અને એડવોકેટ કેવી રીતે બનાય?
વકીલ બનવા માટે ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી Bachelor of Laws (LLB) પૂર્ણ કરવું પડે છે. ત્યારબાદ તેઓ લીગલ એડવાઈઝર કે કોર્પોરેટ લીગલ પ્રોફેશનલ તરીકે કામ કરી શકે છે. પરંતુ, એડવોકેટ બનવા માટે લો ગ્રેજ્યુએટ થયા બાદ ‘સ્ટેટ બાર કાઉન્સિલ’માં નોંધણી કરાવવી પડે છે અને ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE) પાસ કરવી પડે છે. આ પ્રક્રિયા બાદ જ વ્યક્તિ જજ સમક્ષ પોતાના ક્લાયન્ટનો પક્ષ રજૂ કરવા માટે અધિકૃત ગણાય છે.
