Breaking News : ભરૂચ ભાજપના પૂર્વ મહિલા હોદ્દેદારે પ્રમુખને કહ્યું માંફી માંગો! સસ્પેન્શન લેટર વાયરલ થતા નોટિસ ફટકારી
ભરૂચ : જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નયના વકીલનું કહેવું છે કે તેમની સામે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા કે પક્ષીય નીતિ-નિયમોનું પાલન કર્યા વગર સીધું સસ્પેન્શન લેટર વાયરલ કરવામાં આવ્યું જેના કારણે તેમના સ્વાભિમાન અને માન-સન્માનને ઠેસ પહોંચી છે. આ સમગ્ર મામલે તેમણે પ્રકાશ મોદીને કાનૂની નોટિસ પાઠવી માફી માંગવાની માંગણી પણ કરી છે.
ભરૂચ : જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ સહ-મંત્રી નયના વકીલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. નયના વકીલનું કહેવું છે કે તેમની સામે કોઈપણ કાયદાકીય પ્રક્રિયા કે પક્ષીય નીતિ-નિયમોનું પાલન કર્યા વગર સીધું સસ્પેન્શન લેટર વાયરલ કરવામાં આવ્યું જેના કારણે તેમના સ્વાભિમાન અને માન-સન્માનને ઠેસ પહોંચી છે. આ સમગ્ર મામલે તેમણે પ્રકાશ મોદીને કાનૂની નોટિસ પાઠવી માફી માંગવાની માંગણી પણ કરી છે.

પ્રકાશ મોદીએ લીગલ નોટિસનો જવાબ આપ્યો
નયના વકીલે જણાવ્યું કે તેમની નોટિસના જવાબમાં પ્રકાશ મોદી તરફથી સંતોષકારક સ્પષ્ટતા આપવામાં આવી નથી. તેમના કહેવા મુજબ, નોટિસમાં ઉલ્લેખિત મુખ્ય મુદ્દાઓને અવગણી ઉડાઉ જવાબ આપવામાં આવ્યો છે.
તેમણે ચેતવણી આપી કે હવે તેઓ પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે અને જરૂર પડશે તો કાયદાકીય રીતે પણ આગળની કાર્યવાહી હાથ ધરશે. એક મહિલા એડવોકેટ તરીકે તેમના સ્વાભિમાનને પહોંચી થયેલી ઠેસ માટે તેઓ ન્યાય મેળવવા લડત ચાલુ રાખશે.
“મારા પતિનો નિર્ણય બંધારણીય અધિકાર” : નયના વકીલ
નયના વકીલે પોતાના પતિ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવાના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તે તેમના પતિનો સ્વતંત્ર અને બંધારણીય અધિકાર હેઠળ લેવાયેલ નિર્ણય હતો. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપે અગાઉ સ્વરાજની ચૂંટણીમાં એક જ પરિવારના સભ્યોને ટિકિટ ન આપવાની નીતિ ઘડી હોવા છતાં ભરૂચ જિલ્લામાં અનેક સ્થળે એ નિયમોનું ઉલ્લંઘન થયું છે. તેમણે દાવો કર્યો કે કેટલાક મોટા હોદ્દેદારોના પરિવારમાં પણ ટિકિટ ફાળવાઈ અને ઉમેદવારો જીત્યા છે.

“મને ટાર્ગેટ બનાવાઈ” : મહિલા અગ્રણીનો આક્ષેપ
નયના વકીલે જણાવ્યું કે માત્ર તેમના પરિવાર સામે જ નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે અન્ય નેતાઓના પરિવારોને ટિકિટ આપવામાં આવી શકે તો તેમના પરિવાર સામે જ કાર્યવાહી કેમ?
તેમણે ધર્મેશ ચાવડા અને નિતેન્દ્રસિંહ દેવધરા જેવા નેતાઓના નામો ઉલ્લેખીને કહ્યું કે તેમના પરિવારમાં પણ ટિકિટ ફાળવાઈ હતી. તેથી જિલ્લા કક્ષાએ પસંદગીપૂર્વક કાર્યવાહી કરીને તેમને ટાર્ગેટ બનાવાયા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે.

પક્ષની શિસ્તના ભાગરૂપે કાર્યવાહી કરાઈ : પ્રકાશ મોદી
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ નયના વકીલના તમામ આક્ષેપોને ફગાવ્યા છે. તેમણે જણાવ્યું કે નયના વકીલ દ્વારા મોકલાયેલી નોટિસ તેમને વ્યક્તિગત રીતે પાઠવાઈ છે જ્યારે કાર્યવાહી ભાજપ જિલ્લા પ્રમુખ અને પક્ષની શિસ્તના ભાગરૂપે કરવામાં આવી હતી.
તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપ એક લોકશાહી પક્ષ છે અને ટિકિટ ફાળવણીનો અંતિમ નિર્ણય પક્ષની પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવે છે. તેથી તે માટે વ્યક્તિગત રીતે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં.
પ્રકાશ મોદીએ જણાવ્યું કે નયનાબેનના પતિએ અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જે પક્ષની શિસ્ત વિરુદ્ધનું કાર્ય ગણાય છે.
તેમણે કહ્યું કે નયના વકીલ જિલ્લા સહ-મંત્રી જેવા જવાબદાર પદ પર હતા અને પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય તે માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ નિર્ણય પક્ષનો સામૂહિક નિર્ણય હતો અને તેમણે માત્ર તેનો અમલ કર્યો હતો.
નયના વકીલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બદનક્ષી સમાન ગણાવાયા
સોશિયલ મીડિયા પર સસ્પેન્શન લેટર વાયરલ કરવા મુદ્દે પ્રકાશ મોદીએ જણાવ્યું કે વોટ્સએપ દ્વારા લેટર મોકલવો અને સોશિયલ મીડિયા પર તેનો પ્રસાર કરવો પક્ષનો આંતરિક અને સત્તાવાર નિર્ણય હતો.
તેમણે કહ્યું કે તેમાં નયનાબેનની બદનક્ષી કરવાનો કે માનસિક હેરાનગતિ કરવાનો કોઈ ઇરાદો નહોતો. ઉલટાનું નયના વકીલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તેમની પોતાની બદનક્ષી સમાન હોવાનું પણ તેમણે જણાવ્યું.

વિવાદ કાનૂની લડત સુધી પહોંચે તેવી શક્યતા
આ સમગ્ર વિવાદ હવે ભાજપના જિલ્લા સંગઠનથી આગળ પ્રદેશ કક્ષાએ પહોંચે તેવી શક્યતા ઊભી થઈ છે. એક તરફ નયના વકીલ ન્યાય માટે કાનૂની લડતની ચેતવણી આપી રહ્યા છે તો બીજી તરફ પ્રકાશ મોદી પણ કોઈપણ કાનૂની કાર્યવાહીનો “સખત સામનો” કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. ભરૂચ ભાજપમાં ઊભેલા આ આંતરિક વિવાદે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.
