Breaking News: આકાશમાંથી વરસી ‘રશિયન તબાહી’! હાઇપરસોનિક મિસાઈલથી આખું યુક્રેન ધ્રુજી ઉઠ્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ભયાનક સ્તરે પહોંચી ગયું છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ (Kyiv) પર અત્યાર સુધીનો સૌથી મોટો અને વિનાશક હવાઈ હુમલો કર્યો છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે એકવાર ફરી ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. યુક્રેનની રાજધાની કિવ (Kyiv) પર રશિયાએ મિસાઈલો અને આત્મઘાતી ડ્રોન (Missiles and Drones) વડે અત્યાર સુધીનો સૌથી મોટો તેમજ વિનાશક હુમલો કર્યો છે. કિવને નિશાન બનાવીને કરવામાં આવેલા આ એર સ્ટ્રાઈકમાં રહેણાંક ઈમારતો અને શાળાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. આ હુમલામાં 4 લોકોના મોત થયા હોવાની આશંકા છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલય અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ પુષ્ટિ કરી છે કે, રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભીષણ હવાઈ હુમલો કરીને પોતાની સૌથી ઘાતક હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઈલ ‘ઓરેશ્નિક’ (Oreshnik) દાગી છે.
આ મોટા હવાઈ હુમલા બાદ આખા કિવ શહેરમાં એર રેડ સાયરન ગુંજી ઉઠ્યા હતા અને આકાશમાં સતત ધડાકા સંભળાતા હતા. યુક્રેનિયન પ્રશાસને નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત બંકરોમાં આશ્રય લેવાની ચેતવણી જાહેર કરી છે.
JUST IN: Large fire seen in Kyiv, Ukraine following Russian strikes. pic.twitter.com/N5eeXRwJHE
— BRICS News (@BRICSinfo) May 24, 2026
આકાશમાંથી વરસી તબાહી
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, રશિયાએ આ હુમલામાં એકસાથે ડઝનબંધ ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોની સાથે-સાથે ‘કામિકાઝે’ (Kamikaze) ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ હુમલાનો મુખ્ય હેતુ યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલી (Air Defense System)ને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવાનો હતો. કિવના આકાશમાં યુક્રેનિયન એર ડિફેન્સ મિસાઈલો રશિયન જોખમોને હવામાં જ તોડી પાડવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી, જેના કારણે આખી રાત કિવનું આકાશ ધડાકા અને આગની જ્વાળાઓથી લાલચોળ રહ્યું હતું.
ઊર્જા મથકો અને રહેણાંક વિસ્તારોને બનાવ્યા નિશાન
અહેવાલો મુજબ, રશિયાના આ મોટા હુમલાની ઝપેટમાં યુક્રેનના ઘણા મહત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ, ખાસ કરીને વીજળી અને ઊર્જા કેન્દ્રો (Energy Infrastructure) આવ્યા છે. હુમલાના તરત જ બાદ કિવના ઘણા ભાગોમાં બ્લેકઆઉટ થઈ ગયું અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો. આ ઉપરાંત કેટલીક રહેણાંક ઈમારતો પર મિસાઈલોનો કાટમાળ પડવાના કારણે ભારે નુકસાન થયું હોવાની અને લોકોના જાનહાનિ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે, તેમની સેનાએ ઘણા રશિયન ડ્રોન અને મિસાઈલોને તોડી પાડી છે પરંતુ હુમલાની તીવ્રતા એટલી વધારે હતી કે, કેટલીક મિસાઈલો પોતાના લક્ષ્યને ભેદવામાં સફળ રહી હતી.
પ્રાદેશિક મંત્રાલય વહીવટીતંત્રના વડા માયકોલા કલાશ્નિકે જણાવ્યું હતું કે, “આજે રાત્રે કિવ પ્રદેશ એકવાર ફરી સ્ટ્રાઈક ડ્રોન, ક્રૂઝ મિસાઈલો અને બેલિસ્ટિક મિસાઈલોથી થઈ રહેલા દુશ્મનના મોટાપાયા પરના હુમલાનો સામનો કરી રહ્યો છે.”
સૂર્યોદય પછી પણ હુમલો ચાલુ રહ્યો હતો અને કિવ પર વધુ મિસાઈલો-ડ્રોનથી હુમલા થવાની આશંકા છે. કિવના લશ્કરી વહીવટી વડા તૈમૂર તકાચેન્કોએ ટેલિગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે, રાજધાનીના ઓછામાં ઓછા નવ જિલ્લાઓમાં રહેણાંક મકાનો સહિત અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.
‘રશિયન સેનામાં જોડાયા 217 ભારતીય, 49 ના મોત’
તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન અત્યાર સુધીમાં 217 ભારતીય નાગરિકો રશિયન સેનામાં જોડાયા છે, જેમાંથી 49 લોકોના મોત થઈ ચૂક્યા છે.
139 ભારતીયોને રશિયાથી પરત લાવવામાં આવ્યા
સરકારે એમ પણ જણાવ્યું કે, સતત રાજદ્વારી પ્રયાસો દ્વારા 139 ભારતીયોને રશિયન સેનાના કરારમાંથી મુક્ત કરાવીને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે.
