રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થાય તો ભારત ઉપર થઈ શકે છે અસર, યુક્રેનમાં રહે છે 18 હજાર ભારતીય વિદ્યાર્થીઓ
અમેરિકન એજન્સીઓનો દાવો છે કે રશિયા યુક્રેન પર બહુ જલ્દી હુમલો કરી શકે છે. આવી સ્થિતિમાં જો યુદ્ધ થાય છે તો તેની અસર ભારત પર પણ થવાની છે.
Russia-Ukraine Crisis: યુક્રેન પર યુદ્ધના વાદળો ઘેરા થઈ રહ્યા છે. તાજેતરમાં, સંકટને દૂર કરવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન (Joe Biden) વચ્ચે લગભગ 50 મિનિટની વાતચીત પણ નિષ્ફળ જતી દેખાઈ રહી છે. એવું લાગે છે કે રશિયા ટૂંક સમયમાં યુક્રેન પર હુમલો કરશે. એવા અહેવાલો પણ છે કે રશિયા આ અઠવાડિયે અથવા વિન્ટર ઓલિમ્પિક પછી હુમલો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, રશિયાએ યુક્રેનની સરહદ પર લગભગ 1.30 લાખ સૈનિકો તૈનાત કર્યા છે.
જો યુદ્ધ થાય તો તેની સીધી અસર ભારત પર પણ પડશે. જેની અસર બન્ને બાજુ થઈ શકે છે. સૌથી સીધી અસર ત્યાં રહેતા ભારતીયો પર પડશે. જેમાં 18 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. આ પછી ભારત અને યુક્રેન વચ્ચેનો વેપાર જે $2.5 બિલિયનથી વધુ છે તેને અસર પહોચશે.
18 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ
ભારતીય દૂતાવાસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, યુક્રેનમાં લગભગ 18 હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે. જેઓ ત્યાં મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય ક્ષેત્રે અભ્યાસ કરે છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ વિદ્યાર્થીઓ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના છે. આવી સ્થિતિમાં જો યુદ્ધ ફાટી નીકળે તો આ ભારતીય વિદ્યાર્થીઓ માટે સંકટ વધી શકે છે.
વ્યવસાય પર અસર
જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય તો ભારત અને યુક્રેન વચ્ચેના વેપારને પણ ભારે અસર થશે. 2019-20માં બંને દેશો વચ્ચે લગભગ $2.52 બિલિયનનો વેપાર થયો છે. તેમાંથી ભારતે લગભગ $436.81 મિલિયનની નિકાસ કરી છે અને યુક્રેનથી $2060.79 બિલિયનની વિવિધ ચીજવસ્તુની આયાત કરી છે.
ભારતથી યુક્રેનમાં મુખ્ય નિકાસમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, રિએક્ટર, બોઈલર મશીનરી, તેલીબિયાં, ફળો, કોફી, ચા, મસાલા, લોખંડ અને સ્ટીલ વગેરે છે. જ્યારે યુક્રેનમાંથી ભારતમાં મુખ્યત્વે સૂર્યમુખી તેલ, રસાયણો, પ્લાસ્ટિક વગેરેની આયાત થાય છે.
યુક્રેનમાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓનો વ્યવસાય
જર્મની અને ફ્રાન્સ પછી ભારત મૂલ્યની દૃષ્ટિએ યુક્રેનને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોનો ત્રીજો સૌથી મોટો નિકાસકાર છે. રેનબેક્સી, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, સન ગ્રુપ વગેરે જેવી ઘણી ભારતીય કંપનીઓ યુક્રેનમાં તેમની ઓફિસ ધરાવે છે. આવી સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે જો યુદ્ધ થશે તો તેની સીધી અસર ભારતીય વેપાર પર પણ પડશે.
ભારત પર રાજદ્વારી અસર
જો રશિયા યુક્રેન પર હુમલો કરે તો નાટોના વલણથી સ્પષ્ટ છે કે પશ્ચિમી દેશો તેના પર પ્રતિબંધો લગાવશે. ભારતના રશિયા તેમજ નાટો દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની વગેરે સાથે સારા સંબંધો છે. આવી સ્થિતિમાં તેની સામે સૌથી મોટો પડકાર ચીનના રૂપમાં આવશે. કારણ કે જો રશિયા પર કોઈપણ પ્રકારની કડકાઈ આવશે તો ચીન રશિયાની પડખે ઊભું રહેશે તે સ્પષ્ટ છે.
જો ચીન પર રશિયાની નિર્ભરતા વધશે તો તે રશિયાથી ભારતને હથિયારોની સપ્લાયને પ્રભાવિત કરી શકે છે. ભારત તેની 50 ટકાથી વધુ શસ્ત્રોની જરૂરિયાતો રશિયા પાસેથી પૂરી કરે છે. તાજેતરમાં જ ભારતે અમેરિકાના દબાણ છતાં રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી હતી.
આ પણ વાંચોઃ
યુક્રેન પર યુદ્ધની લટકતી તલવાર, બ્રિટન આપશે સૈન્ય અને આર્થિક મદદ, પીએમ બોરિસ જોનસન કટોકટી નિવારવા જશે યુરોપ
આ પણ વાંચોઃ