આમને આમ જ બરબાદ થશે પાકિસ્તાન, ભારતના ડરથી ઘ્રુજ્યું કરાચીનું સ્ટોક એક્સચેન્જ
કહેવાય છે કે, દેશ માટેના સારા અને ખરાબ સમાચાર સૌથી પહેલા શેરબજારને જાણવા મળે છે. પાકિસ્તાનનુ કરાચી શેરબજાર પણ આવા સમાચારોની અસર હેઠળ સતત ગગડી રહ્યું છે. 22 એપ્રિલના રોજ પહેલાગમના બૈસરન ખાતે હિન્દુ પ્રવાસીઓને ટાર્ગેટ કરીને કરાયેલ આતંકી હુમલાનો બદલો લેવાની વાત ભારતે કરી છે. ભારત સરકાર દ્વારા રોજબરોજ યોજાતી બેઠકો અને તેના આધારે ભારત દ્વારા લેવાતા નિર્ણયોની અસર પાકિસ્તાનના કરાચીના શેરબજારમાં પડી રહી છે. જુઓ આ અહેવાલ

પહેલગામનાબૈસરનમાં કરાયેલા આતંકી હુમલા બાદ, ભારતે હુમલાખોરોનો અને તેમને સાથ આપનારનો ખાત્મો બોલાવવાની લીધેલી પ્રતિજ્ઞા બાદ, પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોરચે કાર્યવાહી કરાઈ રહી છે. ભારત દ્વારા વિવિધ ક્ષેત્રે પાકિસ્તાન વિરુદ્ધ થઈ રહેલ કામગીરીને કારણે પાકિસ્તાન ફરી એકવાર આર્થિક સંકટમાં ફસાયેલું દેખાય છે. તાજેતરમાં, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, કરાચી સ્ટોક એક્સચેન્જ (KSE) માં મોટો કડાકો બોલી ગયો છે.
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવે પાકિસ્તાનના શેરબજારને હચમચાવી નાખ્યું છે. આ હુમલા બાદ, પાકિસ્તાનના બેન્ચમાર્ક KSE-100 ઇન્ડેક્સમાં 23 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન 7,100 પોઈન્ટ અથવા લગભગ 6%નો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
સૌથી મોટો કડાકો 30 એપ્રિલે આવ્યો
૩૦ એપ્રિલના રોજ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી, જ્યારે KSE-100 ઇન્ડેક્સ 3.09% અથવા 3545 પોઈન્ટ ઘટીને 1,11,326.57 ઉપર બંધ થયો હતો. તાજેતરના અઠવાડિયામાં આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો માનવામાં આવે છે. આ ઘટાડામાં કેટલીક મોટી કંપનીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેમાં LUCK, ENGROH, UBL, PPL અને FFCનો સમાવેશ થાય છે. આ હેવીવેઇટ શેરોએ મળીને ઇન્ડેક્સમાં 1,100 પોઈન્ટથી વધુનો ઘટાડો કર્યો.
બજારમાં કામચલાઉ રાહત
2 મેના રોજ કરાચીના શેર બજારને થોડી રાહત મળી, જ્યારે KSE-100 ઇન્ડેક્સમાં 2,785 પોઈન્ટ અથવા 2.5%નો વધારો નોંધાયો અને ઇન્ડેક્સ 1,14,119 પર બંધ થયો. જોકે, નિષ્ણાતો માને છે કે આ તેજી ટકાઉ ન પણ હોય અને તેને “ડેડ કેટ બાઉન્સ” (એટલે કે કામચલાઉ રિકવરી) તરીકે પણ જોઈ શકાય છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો નહીં થાય તો બજાર ફરીથી ઘટી શકે છે.
ભારત સાથેનો તણાવ ઘટાડાનું સૌથી મોટું કારણ બન્યું
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા (LoC) પર કેટલીક ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ જોવા મળી હતી, સતત નવમાં દિવસે પાકિસ્તાન તરફથી સિઝ ફાયરનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જેના જવાબમાં ભારતે કડક વલણ અપનાવ્યું છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં યુદ્ધનો ભય ફેલાયો છે. આ સમાચારથી પાકિસ્તાની રોકાણકારોની ચિંતા વધી ગઈ છે, જેના કારણે તેમણે ગભરાટમાં શેર વેચવાનું શરૂ કરી દીધું છે.
શેરબજારમાં નહીં અન્ય ક્ષેત્રે રોકાણ કરી રહ્યાં છે રોકાણકારો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક તણાવની સીધી અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી છે. બજારમાં અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ છે, જેના કારણે રોકાણકારોએ મોટા પાયે વેચાણ શરૂ કરી દીધું છે. વિદેશી રોકાણકારો પણ આ પરિસ્થિતિથી ચિંતિત છે અને તેઓ તેમના નાણાં સુરક્ષિત બજારોમાં ખસેડી રહ્યા છે.
માત્ર સ્થાનિક રોકાણકારો જ નહીં, પરંતુ વિદેશી રોકાણકારોએ પણ પાકિસ્તાનમાંથી તેમના પૈસા પાછા ખેંચવાનું શરૂ કરી દીધું છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓના અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં રાજકીય અને આર્થિક અસ્થિરતાને કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ સતત નબળો પડી રહ્યો છે. આના કારણે કરાચી સ્ટોક એક્સચેન્જ પર ભારે દબાણ છે.
અર્થતંત્ર પહેલેથી જ નાજુક
પાકિસ્તાન પહેલાથી જ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ફુગાવો ચરમસીમાએ છે, વિદેશી હૂંડિયામણનો ભંડાર લગભગ ખતમ થઈ ગયો છે અને IMFની કડક શરતોએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. આવી સ્થિતિમાં, ભારત સાથે વધતા તણાવે રોકાણકારોને વધુ ડરાવી દીધા છે.
શું પાકિસ્તાન હવે આર્થિક રીતે બેઠુ થઈ શકશે?
આર્થિક નિષ્ણાતો કહે છે કે જો પરિસ્થિતિ જલ્દી સુધરશે નહીં તો પાકિસ્તાનને મોટી આર્થિક તબાહીનો સામનો કરવો પડી શકે છે. શેરબજારનો કડાકો તો માત્ર શરૂઆત છે. જો રોકાણકારોનો વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી જશે, તો માત્ર બજાર જ નહીં પરંતુ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને પણ સંભાળવી મુશ્કેલ બની જશે.
આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.